દેશની પ્રમુખ તપાસ એજન્સી CBIના હાલના ચીફ RK શુક્લાના કાર્યકાળનો આજે છેલ્લો દિવસ છે ત્યારે નવા બોસ કોણ હશે તેના પર સરકાર વિચાર કરી રહી છે જેમાં અસ્થાના જેવા અધિકારીઑના નામ લિસ્ટમાં છે.
CBIને જલ્દી મળશે નવા બોસ
સરકાર જે નામ પર વિચાર કરી રહી છે તેમાં રાકેશ અસ્થાના પણ સામેલ
હાઈપાવર કમિટી નવા ડિરેક્ટરના નામ પર મારશે મહોર
આજે શુક્લાના કાર્યકાળનો અંતિમ દિવસ
CBI (Central Bureau of Investigation of India)ના ચીફ RK શુક્લાનો બે વર્ષનો કાર્યકાળ આજે સમાપ્ત થઈ રહ્યો છે. ભારતની પ્રમુખ તપાસ એજન્સીના વડાના પદ પર ગુજરાત કેડરના IPS અધિકારી અને વર્તમાનમાં એડિશનલ ડિરેક્ટર પ્રવીણ સિંહાની નિયુક્તિ કરવામાં આવી શકે છે.
જલ્દી જ મળશે નવા બોસ
વર્ષ 2018માં RK શુક્લાની નિયુક્તિ કરવામાં આવી હતી, તેઓ મધ્યપ્રદેશ કેડરના અધિકારી છે અને તેમના બે વર્ષના કાર્યકાળનો આજે છેલ્લો દિવસ છે. જ્યાં સુધી CBIને નવા બોસ મળે ત્યાં સુધી વ્યવસ્થાની જવાબદારી સંભાળવા માટે સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે.
10-15 દિવસ માટે સિંહાને અપાશે ચાર્જ
સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર તપાસ એજન્સીના નવા ડિરેક્ટરની નિમણૂક કરે તે પહેલા સિંહાને 10થી 15 દિવસ માટે ચાર્જ આપવામાં આવશે. સરકારે નવા ડિરેક્ટરની નિયુક્તિ માટે પ્રક્રિયા ચાલુ કરી દીધી છે અને પદ સંભાળી શકે તેવા અધિકારીઓની એક પેનલ પણ તૈયાર કરવામાં આવી છે.
કયા કયા નામો સરકારના ધ્યાનમાં?
સીબીઆઇ ચીફ પદ પર નિમણૂક કરવા માટે સરકાર જે નામો પર વિચાર કરી રહી છે તેમાં સરકારના સૂત્રોએ આપેલ માહિતી અનુસાર BSF અને NCB ચીફ એવા ગુજરાત કેડરના IPS રાકેશ અસ્થાનાનું પણ નામ સામેલ છે. આ સિવાય NIA ચીફ YC Mody, CISFના વડા સુબોધ જયસ્વાલ અને કેરળના DGP લોકનાથ બેહેરાનું નામ પણ સામે આવી રહ્યું છે. નોંધનીય છે કે અસ્થાના, Mody અને બેહેરા પહેલા પણ સીબીઆઇમાં કામ કરી ચૂક્યા છે અને ઘણા ગંભીર કેસ પણ સંભાળ્યા હતા.
હાઈપાવર કમિટી લેશે નિર્ણય
નોંધનીય છે કે CBI એવી સંસ્થા છે જે દેશના રાજકારણને લગતા પણ ખૂબ મોટા કેસની તપાસ કરે છે ત્યારે આ પદ ખૂબ મહત્વનું બની જાય છે ત્યારે સરકાર આ મુદ્દે ખૂબ જલ્દી હાઇપાવર કમિટીની બેઠક બોલાવી શકે છે. આ કમિટીમાં વડાપ્રધાન, સર્વોચ્ચ અદાલતના ચીફ જસ્ટિસ અને લોકસભામાં વિપક્ષના નેતા સામેલ છે. કમિટીની બેઠકમાં નવા ડિરેક્ટરના નામ પર મહોર મારવામાં આવશે.
વર્ષ 2018માં અસ્થાનાએ કર્યો હતો વિવાદ
નોંધનીય છે કે બે વર્ષ પહેલા રાકેશ અસ્થાના સીબીઆઇમાં નંબર-2ની પોઝિશન પર હતા અને આલોક વર્મા તે સમયે સીબીઆઇના વડા હતા. તે સમયે આ બંને અધિકારીઑ વચ્ચેનો વિવાદ દેશની સામે આવી ગયો હતો અને તે બાદ સરકારે અડધી રાતે બંને ટોચના અધિકારીઓને પદ પરથી હટાવી દેવાની ફરજ પડી હતી તથા રાતોરાત નાગેશ્વર રાવને પ્રમુખ બનાવી દેવામાં આવ્યા હતા.