દેશમાં કોરોના નબળો પડતા ચૂંટણી પંચે રેલીઓ-રોડ શો પરનો પ્રતિબંધ હટાવી લેતા રાજકીય પક્ષોને મોટી રાહત મળી છે.
ચૂંટણી પંચે વિધાનસભા ચૂંટણીના નિયમો હળવા કર્યાં
ચૂંટણી પંચે રેલી-રોડ શો પરનો પ્રતિબંધ હટાવ્યો
હવે રાજકીય પક્ષો મોટી જનસભાઓ કરી શકશે
દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો આવતા ચૂંટણી પંચે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં રોડ શો અને રેલીઓ પર લાગુ પ્રતિબંધોમાં છૂટ આપવાનો નિર્ણય લીધો છે. ચૂંટણી પંચ દ્વારા જારી ઓર્ડરમાં કહેવાયું કે અમે રાજકીય પક્ષો અને ઉમેદવારોની મીટિંગ, રેલીઓ અને રોડ શો પરની 50 ટકાની મર્યાદા હટાવી દેવાનો નિર્ણય કર્યો છે. હવે જિલ્લા ઓથોરિટીની પૂર્વમંજૂરી લઈને રોડ શો કરી શકાશે. ચૂંટણી પંચે કહ્યું કે ચૂંટણી પ્રચાર સંબંધિત બીજા નિયમો ચાલુ રહેશે.
સ્ટાર પ્રચારકોની સંખ્યા વધારાઈ
ચૂંટણી પંચે તમામ પક્ષોના સ્ટાર પ્રચારકોની સંખ્યાને લઈને મોટી રાહત આપી હતી. કોવિડ -19 ના કેસોમાં ઘટાડાને ટાંકીને, ચૂંટણી પંચે સ્ટાર પ્રચારકોની સંખ્યા પુન:સ્થાપિત કરી હતી, જે હવે તમામ પક્ષોને નિયમ મુજબ પહેલાની જેમ જ સ્ટાર પ્રચારકોની સંખ્યાને મેદાનમાં ઉતારવાની મંજૂરી આપી શકે છે. માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય અને રાજ્ય પક્ષો વધુમાં વધુ 40 સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારી શકે છે. અન્ય પક્ષો કે જેઓ નોંધાયેલા છે પરંતુ માન્યતા પ્રાપ્ત નથી તેમની પાસે હવે 20-સ્ટાર પ્રચારકો હોઈ શકે છે.