વિધાનસભાની ચુંટણીને લઈને ભાજપે એ, બી અને સી કેટેગરીમાં બુથોની વહેંચણી કરી કામગીરી આદરી છે.
વિધાનસભાની ચૂંટણી અગાઉ ભાજપ સક્રિય
નબળા બુથોને મજબૂત કરવા ગોઠવાઈ રણનીતિ
એ, બી અને સી કેટેગરીમાં બુથોની વહેંચણી કરાઈ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આંગણે ટકોર મારી રહી છે ત્યારે રાજકિય ગતિવિધિઓ તેજ બની છે. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતના રાજકિય પક્ષોના કાર્યકરો- આગેવાનો સક્રિય બની ચુંટણીલક્ષી કામગીરીમાં જોતરાયા છે. તેવા સંજોગો વચ્ચે ગુજરાત વિધાનસભાનો ગઢ જીતવા ભાજપ એક પછી એક દાવ ખેલી રહ્યું છે. હવે ભાજપે 2022ની ચૂંટણી પહેલા પોતાનું 'બ્રહ્માસ્ત્ર' કાઢ્યુ હોય તેમ બેઠક દીઠ બુથોની ત્રણ કેટેગરીમાં વહેચણી કરી છે અને MLA-MPથી માંડી પેજ પ્રમુખોને જવાબદારી સોંપી દેવામાં આવી છે.
ભાજપે બેઠક દીઠ બુથોને 3 ભાગમાં વર્ગીકૃત કર્યા
ગુજરાત વિધાનસભાની ચુંટણી 2022 ના આગમનને લઈને આગોતરા આયોજનના ભાગરુપે કમલમ ખાતે ભાજપ આગેવાનોની બેઠક યોજાઇ હતી. જેમાં વિધાનસભાની ચૂંટણી અગાઉ તમામને સક્રિય થઇ જવા હાંકલ કરવામાં આવી હતી. આ બેઠકમાં નબળા બુથોને મજબૂત કરવા રણનીતિ ગોઠવવામાં આવી હતી. અગાઉની ચુંટણીના પરિણામોના આધારે ભાજપ દ્વારા બેઠક દીઠ બુથોને 3 ભાગમાં વર્ગીકૃત કરવામાં આવ્યા હતા. એ, બી અને સી એમ ત્રણ કેટેગરીમાં બુથોની વહેંચણી કરવામાં આવી છે. એટલું જ નહી પરિણામને આધારે માઈનસ અને પ્લસ બુથોનું વર્ગીકરણ કરીને ચૂંટણીલક્ષી રણનીતિ ઘડી કાઢવામાં આવી છે.
માઈનસ બુથોને પ્લસ કરવા જૂના જોગીઓને સોંપાઈ જવાબદારી
બેઠક દીઠ બુથો 3 ભાગમાં વર્ગીકૃત કરાયા બાદ જે બૂથમાં ભાજપની વિચારધારાનો ફેલાવો ઓછો હોય તેવા માઈનસ બુથોને પ્લસ કરવા માટે ભાજપના જૂના જોગીઓને જવાબદારીની આપવામાં આવી છે. સિનિયર નેતાઓ ઉપરાંત સાંસદો અને ધારાસભ્યોને પણ બુથોની જવાબદારી ફાળવવામાં આવી છે. તો બીજી તરફ ભાજપના વિસ્તારકો અને પેજ પ્રમુખોને પણ એક્ટિવ કરવામાં આવ્યા છે.
શુ છે આ પેજ-પ્રમુખ ફોર્મ્યુલા?
ગુજરાત ભાજપમાં સૌપ્રથમ વખત પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે પેજ-પ્રમુખની ફોર્મ્યુલાને અપનાવી હતી. ચુંટણી દરમિયાન ચુંટણીપંચ દ્વારા મતદારયાદી બહાર પાડવામાં આવે છે. જેમાં એક પેજમાં 30 મતદારનાં નામ હોય છે. એ મતદાર યાદીમાંથી એક-એક પેજ-પ્રમુખની નિમણૂક કરવામાં આવે છે. એટલે કે, એક પેજ-પ્રમુખ માત્ર એના પેજના 30 મતદાર સાથે સીધો સંપર્કમાં રહે છે અને મતદાનના દિવસે આ 30 મતદારને મતદાન બુથ સુધી મત આપવા મોકલવા સહિતની જવાબદારી આ પેજ પ્રમુખના માથે હોય છે. નોંધનીય છે કે, સામાન્ય રીતે આ પેજ-પ્રમુખ જે-તે વિસ્તારની સોસાયટીનો ભાજપનો જ કાર્યકર હોય છે, જેથી તે એક પેજના મતદારો સાથે સંપર્કમાં જ હોય છે. આમ ભાજપની આ તળિયામાંથી મતદરોના સંપર્કમાં રહેવાની ફોર્મ્યુલા અગાઉની સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં એકદમ લાભદાય નીવડી હોવાથી હવે વિધાનસભાની ચુંટણીમાં પણ ભાજપ તેને અપનાવી રહ્યું છે.