બાયડમાં ભાજપમાં કોંગ્રેસના આયાતી ઉમેદવારનું પોસ્ટર વાઈરલ થયું છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જનાર પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા 30 તારીખે ફોર્મ ભરવા જઈ રહ્યા હોય તેવું એક પોસ્ટર સામે આવ્યું છે. વિધાનસભાની બાયડ બેઠક ઉપર પેટાચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ત્યારે 21 ઓક્ટબરે મતદાન યોજાવાની જાહેરાત કરી હતી. 24 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરવામાં આવશે. 30 સપ્ટેમ્બર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે.
બાયડ બેઠક ઉપર કોંગ્રેસ જીતે તેવો ઈતિહાસ છે
ભાજપ અને કોંગ્રેસમાં આવન જાવન કોમન
ધવલસિંહ ઝાલા અને મહેન્દ્રસિંહ વાઘેલાની ટક્કર થવાની શક્યતા
પેટાચૂંટણીના ઉમેદવારની જાહેરાત થાય તે પહેલા જ ધવલસિંહનું પોસ્ટર સામે આવ્યુ છે. 21 ઓક્ટોબરે બાયડની પેટાચૂંટણીની જાહેરાત થઈ છે. બાયડ બેઠક પરથી હજુ સુધી સત્તાવાર નામ જાહેર થયું નથી. નામ જાહેરાત પહેલા જ ધવલસિંહનું પોસ્ટર વાઈરલ થયુ છે.
બાયડ વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલાએ પેટા ચૂંટણીમાં ઊતરવાની તૈયારી કરી લીધી છે અને NCPમાંથી ચૂંટણી લડવાની પૂરેપુરી સંભાવના છે. જો મહેંદ્રસિંહ વાઘેલા બાયડમાંથી ચૂંટણી લડશે તો ભાજપના સંભવિત ઉમેદવાર ધવલસિંહ ઝાલાની ઊંઘ હરામ થઈ શકે છે.
2012માં મહેન્દ્રસિંહ વાઘેલા વિજેતા
વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં બાયડ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્રસિંહ વાઘેલા વિજેતા થયા હતા. શંકરસિંહ વાઘેલા UPA-1ની સરકારમાં કાપડ પ્રધાન હતા ત્યારે મહેન્દ્રસિંહ વાઘેલા સૌ પ્રથમ વખત ગાંધીનગર જિલ્લા પંચાયતની ચૂંટણી લડ્યા હતા અને જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા હતા
મહેન્દ્રસિંહે 2017 વિધાનસભાની ચૂંટણી પહેલા જ રાજીનામુ આપી દીધું
મહેન્દ્ર સિંહ ધારાસભ્ય બન્યા હતા પરંતુ 2017ની વિધાનસભાની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું અને ભાજપમાં પ્રવેશ કર્યો હતો.
ભાજપની મનની મનમાં જ રહી
ભાજપ વિધાનસભાની ચૂંટણીમાં બાયડ બેઠક પરથી મહેન્દ્રસિંહને ઉતારવા માંગતી હતી પરંતુ ટૂંકા ગાળામાં જ મહેન્દ્રસિંહે ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું.
2017માં કોંગ્રેસના ધવલસિંહ ઝાલા જીત્યા
આખરે આ બેઠક પરથી કોંગ્રેસના ધવલસિંહ ઝાલા જીત્યા હતા. પણ બાયડ વિધાનસભાની બેઠક પર ટિકિટ મેળવવામાં ઠાકોર સેનાના અલ્પેશ ઠાકોરે મદદ કરી હોવાથી આ વર્ષે યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ તરફી મતદાન કરીને ધવલસિંહે પણ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું.
આ વખતે પણ આયાતી ઉમેદવાર ધવલસિંહની ટિકિટ પાક્કી ગણાઈ રહી છે
ભાજપ બાયડ બેઠક પરથી ધવલસિંહ ઝાલાને ટિકિટ આપવાનું નક્કી કરી લીધું છે, બીજી બાજુ મહેન્દ્રસિંહ વાઘેલાએ પણ બાયડ બેઠક પરથી ચૂંટણી લડવાનું મન બનાવી દીધું છે અને NCPમાંથી ચૂંટણી લડે તેવી પૂરેપુરી શક્યતાઓ છે. જો મહેન્દ્રસિંહ બાયડ બેઠક પર ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવશે તો ધવલસિંહ ઝાલાને દિવસે તારા દેખાડશે.
શું કહે છે જાતી જ્ઞાતીનું ગણિત
બાયડ બેઠકની વાત કરવામાં આવે તો સૌથી વધુ મતદારો ઠાકોર સમાજના હોવાથી પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. બાયડ બેઠક પર જ્ઞાતિ સમીકરણોની વાત કરવામાં આવે તો 1 લાખ 26 હજાર ક્ષત્રિય મતદારો છે. તેમજ 15 હજાર લેઉવા અને 16 હજાર કડવા પાટીદાર મતદારો આ ઉપરાંત 9 હજાર આંજણા પટેલ મતદારો અને દલિત મતદારોની વાત કરવામાં આવે તો 12 હજાર દલિત મતદારો છે, 5 હજાર મુસ્લિમ મતદારો અને 48 હજાર ઈત્તર મતદારો છે. જો કુલ મતદારોની વાત કરવામાં આવે તો 2 લાખ 31 હજાર કુલ મતદારો છે. જો પક્ષના રીતે વાત કરવામાં આવે તો પારંપરિક કોંગ્રેસ બેઠક છે.