પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસાનો સિલસિલો ચાલુ રહ્યો છે અને ઉત્તર ચોવીસ પરગણા જિલ્લામાં ભાજપના અગ્રણી નેતા મનીષ શુકલાની ગોળી મારીને હત્યા કરવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે. મનીષ શુકલાની હત્યાને લઇ સમગ્ર પશ્ચિમ બંગાળના ભાજપના કાર્યકરોમાં આક્રોશ પ્રવર્તે છે. આ ઘટનાની પશ્ચિમ બંગાળના રાજ્યપાલ ધનખડે સ્વયં નોંધ લીધી છે અને આ બનાવમાં સીએમથી લઇ એડિશનલ ચીફ સેક્રેટરી અને ડીજીપીને સમન્સ મોકલ્યા છે.
પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસા
પશ્ચિમ બંગાળના રાજ્યપાલ ધનખડેએ લીધી નોંધ
મનીષ શુક્લાની હત્યા પોલિસ સ્ટેશનની સામે થઇ
આ કેસની ગંભીરતા જોતાં રાજ્યપાલ જયદીપ ધનખડેએ કાયદો અને વ્યવસ્થા મુદ્દે વાત કરવા માટે પ્રદેશના ડીજીપી સહિત તમામ અધિકારીઓને સોમવારે રાજભવન બોલાવ્યા છે. બીજી તરફ ભાજપે આ મામલાને લઈ રાજ્યના બૈરકપુરમાં ૧૨ કલાકના બંધનું એલાન આપ્યું છે. ભાજપના વરિષ્ઠ નેતા કૈલાસ વિજયવર્ગીયે આ મામલાની તપાસ સીબીઆઈ પાસે કરાવવાની માગ કરી છે.
સૂત્રો પાસેથી મળતી જાણકારી મુજબ મનીષ શુક્લાની હત્યા જિલ્લાના ટીટાગઢ પોલીસ સ્ટેશન સામે થઈ છે. મનીષ શુક્લા રવિવાર રાતે લગભગ ૮.૩૦ વાગ્યે ટીટાગઢ પોલીસ સ્ટેશન સામે આવેલા પાર્ટી કાર્યાલયમાં બેઠા હતા. આ દરમિયાન ત્યાં પહોંચેલા બાઇકસવાર હુમલાખોરોએ તેમના પર તાબડતોડ ફાયરિંગ કર્યું. હુમલામાં ગંભીર રીતે ઘાયલ મનીષને પહેલાં બૈરકપુરની બીએન હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલત ગંભીર લાગતાં તેમને અપોલો હોસ્પિટલ રીફર કરવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કરી દીધા હતા.
શુક્લાની હત્યા જિલ્લાના ટીટાગઢ પોલીસ સ્ટેશન સામે જ થઈ હતી, ત્યારબાદ વિસ્તારમાં ખૂબ તણાવનો માહોલ છે. ઘટનાની ગંભીરતા જોતાં મધરાતથી જ અહીં ભારે સંખ્યામાં પોલીસ ફોર્સ તહેનાત કરી દેવામાં આવ્યો છે.
ભાજપના નેતાની હત્યા બાદ અહીં તણાવપૂર્ણ સ્થિતિ બનેલી છે. ઘટનાની ગંભીરતાને જોતાં અડધી રાતથી જ અહીં મોટી સંખ્યામાં પોલીસદળ તહેનાત કરવામાં આવ્યું છે.
ભાજપના વરિષ્ઠ નેતા કૈલાસ વિજયવર્ગીયે આ મામલાની તપાસ સીબીઆઈ પાસે કરાવવાની માગ કરી છે. વિજયવર્ગીયે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં ઘૂસણખોરોને આશ્રય ન આપી શકાય, જે દેશ વિરોધી ગતિવિધિઓમાં સામેલ છે. તેઓએ રાજ્યની તૃણમૂલ કોંગ્રેસ સરકાર પર વોટ બેન્ક માટે તુષ્ટીકરણની નીતિનું અનુકરણ કરવાનો આરોપ લગાવ્યો હતો.
પશ્ચિમ બંગાળ ભાજપના મહાસચિવ સંજયસિંહે આ ઘટનાને લઈ મમતા બેનરજી સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે એ વાતમાં કોઇ શંકા નથી કે આ એક રાજકીય હત્યા છે અને તેની પાછળ ટીએમસીનો હાથ છે. અત્રે ઉલ્લેખનીય છે કે એક વર્ષ પહેલાં ટીએમસીમાંથી ભાજપમાં સામેલ થનાર મનીષ શુકલા ભાજપના સાંસદ અર્જુનસિંહના નિકટના હોવાનું જણાય છે. તેઓ ટીટાગઢ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર પણ હતા.