આસામ વિધાનસભામાં ચૂંટણી સમયે NRCના મુદ્દાને લઇને ભાજપ રાજ્યમાં સત્તા સુધી પહોંચ્યું હતું. જો કે હવે પાર્ટી માટે આ જ મુદ્દો સંકટમય બની ગયો છે. જેનું મુખ્ય કારણ છે કે રાજ્યમાં હવે પાર્ટીના જ કેટલાક નેતાઓ તેના વિરુધ્ધ મોરચો ખોલી બેસી ગયા છે.
આસામમાં NRCની અંતિમ યાદી પર ઘમાસાણ
ભાજપના કેટલાક નેતાઓએ પ્રક્રિયા પર ઉઠાવ્યાં સવાલ
યોગ્ય લોકોને કરાયાં બહા, અયોગ્યનો સમાવેશ કરાયાનો લગાવ્યો આરોપ
રાજ્યના કેટલાક ભાજપના નેતાઓએ NRC યાદીને લઇને નારાજગી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે મોટી સંખ્યામાં હિન્દુઓને યાદીમાંથી બહાર કરી દેવામાં આવ્યાં છે.
આસામમાં ભાજપ માટે સૌથી મજબૂત ચહેરો ગણાતાં એવા મંત્રી હેમંત વિશ્વશર્મા આ મુદ્દા પર સતત વિરોધ દર્શાવી રહ્યાં છે. ભાજપન નેતાએ જણાવ્યું કે 1971 પહેલા બાંગ્લાદેશથી શરણાર્થિયો તરીકે આવેલા તમામ ભારતીયોના નામ NRCને સામેલ કરવામાં આવ્યા નથી કારણ કે અધિકારીઓએ શરણાર્થી પ્રમાણપત્ર લેવાનો ઇનકાર કરી દીધો હતો.
આસામમાં NRCની યાદી બહાર પાડવામાં આવ્યા બાદ કેટલાક લોકોએ આરોપ લગાવ્યો છે કે ડેટામાં ફેરફાર કરી કેટલાક અપાત્ર લોકોને યાદીમાં સામેલ કર્યા છે.
કેટલાક નેતાઓએ NRC પર સવાલ ઉઠાવ્યા છે...
આસામમાં ભાજપના બીજા કેટલાક નેતાઓએ NRCની પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યા છે. ધારાસભ્ય સિલદિત્ય દેવએ તો NRC સોફ્ટવેરમાં છેડછાડ કરી હિન્દુઓને યાદીમાંથી બહાર કરવાનો આરોપ લગાવ્યો છે.
ધારાસભ્ય દેવના જણાવ્યા અનુસાર સોફ્ટવેરની મદદથી તમામ ઘુસણખોરોને યાદીમાં સામેલ કરી દેવામાં આવ્યાં છે, જ્યારે હિન્દુઓને બહાર રાખવાનું ષડયંત્ર કરવામાં આવ્યું છે. જ્યારે ભાજપના અન્ય નેતા મોમિનુલ ઓવલે પણ NRC પ્રક્રિયા પર સવાલ કર્યા.
19 લાખથી વધુ લોકો યાદીમાંથી થયા બહાર
આસામમાં રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC)ની અંતિમ યાદી 31 ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવી હતી. આ યાદી મુજબ આસામમાં 3,11,21,004 લોકો ભારતીય નાગરિકતા સાબિત કરી શક્યા છે.
જ્યારે પ્રમાણપત્ર નહી હોવાના કારણે 19,06,677 લોકોને યાદીમાંથી બહાર કરવામાં આવ્યાં છે. જો કે યાદીમાંથી બહાર રહેલા લોકોને પોતાની નાગરિકતા સાબિત કરવા માટે 120 દિવસ વધુ સમય આપવામાં આવ્યો છે. સરકારે જણાવ્યું છેકે આવા લોકોને કાયદાકીય મદદ પણ આપવામાં આવશે.