આસામ પોલીસ અને કેન્દ્રીય અર્ધસૈનિક દળોની ર૧૮ કંપનીઓની તહેનાતી વચ્ચે ગત ૩૧ ઓગસ્ટની સવારે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા ચીફ કો-ઓર્ડિનેટર પ્રતીક હજેલાની આગેવાનીમાં એનઆરસીએ નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (એનઆરસી)નો ફાઈનલ ડ્રાફ્ટ જારી કર્યો. તેનું કારણ ગેરકાયદે અપ્રવાસીઓની પરિભાષા નક્કી કરવા માટે ચલાવવામાં આવતું દાયકા લાંબું આંદોલન છે.
પહેલી વખત વર્ષ ૧૯પ૧માં એનઆરસી બનાવવામાં આવ્યું હતું અને ર૦૧પ બાદ આસામમાં તેને અપડેટ કરવામાં આવી રહ્યું હતું, જેથી વિદેશી નાગરિકોની જાણ થઈ શકે અને તેમના નાગરિકતાના અધિકારને સમાપ્ત કરી શકાય.
૩૧ ઓગસ્ટ સુધી ૩.ર૯ કરોડ અરજદારમાંથી ૧૯,૦૬,૬પ૭ને એનઆરસીના ફાઈનલ ડ્રાફ્ટમાંથી બહાર રાખવામાં આવ્યા છે, જોકે આ દરેક વ્યક્તિ પાસે હાલની ૧૦૦ ફોરેનર્સ ટ્રિબ્યૂનલ્સમાં અપીલ દાખલ કરવા માટે ૧ર૦ દિવસનો સમય છે, જેણે આગામી ૬ મહિનામાં આ તમામ કેસ પૂર્ણ કરી દેવાના રહેશે. એક મહિનાની અંદર આવાં ર૦૦ વધુ ટ્રિબ્યૂનલ્સની સ્થાપના પણ થવાની છે.
૩૦ જુલાઈ, ર૦૧૯ની યાદી અનુસાર ર,૮૯,૮૩,૬૭૭ લોકોને આ યાદીમાં સામેલ થવા યોગ્ય અને ૪૧ લાખ લોકોને અયોગ્ય જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ નવી યાદીનો બંને તરફના લોકો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે.
સૌથી ચોંકાવનારી વાત એ છે કે ભારતીય સેનામાંથી નિવૃત્ત જેસીઓ મોહમ્મદ સનુલ્લાહ જેવા લોકો, જેમણે વિદેશી જાહેર થવાના કારણે થોડા દિવસો જેલમાં પણ ગુજાર્યા તેમને આ યાદીમાંથી બહાર કરવામાં આવ્યા છે, જ્યારે તેમની બે પુત્રીઓ અને પુત્રને નહીં.
એ જ રીતે વર્ષ ૧૯૬પના યુદ્ધમાં પોતાના શૌર્ય બદલ વીરચક્રથી સન્માનિત અને બાંગ્લાદેશને આઝાદ કરવા માટે ૧૯૭૧ના યુદ્ધમાં રણનીતિઓ ઘડવામાં સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવનારા બ્રિગેડિયર કે.પી. લાહિરીનું નામ પણ આ અંતિમ યાદીમાં નથી. એક સદી પહેલાં પૂર્વ આસામ સિલ્કની નિકાસ કરનારા રાધાકૃષ્ણ સરસ્વતી પરિવારના કેટલાક સભ્યનાં નામ પણ આ યાદીમાં નથી.
આ બધી કદાચ આપણા ન્યાયતંત્રની કે પછી વ્યવસ્થાતંત્રની ત્રુટીઓ પણ હોઈ શકે છે, જેમાં સુધારો થઈ શકે છે, પરંતુ ઓલ આસામ સ્ટુડન્ટ્સ યુનિયન યાદીમાંથી બહાર કરવામાં આવેલા લોકોની ઓછી સંખ્યાના મુદ્દે ભારે નારાજ છે. તેને લાગે છે કે આ સંખ્યા બહુ ઓછી છે અને તે આ મુદ્દાની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારીમાં પણ છે.
બાંગ્લાદેશ સરકાર આ લોકોને પરત સમાવવાનો સાફ ઈનકાર કરી ચૂકી હોવાથી હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે એનઆરસીની તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ગેરકાયદે અપ્રવાસીઓનું આખરે શું થશે? શું તેમને બંધક શિબિરોમાં રાખવામાં આવશે અને તેનાથી શું અપરાધને પ્રોત્સાહન નહીં મળે?
ભારત સરકાર બાંગ્લાદેશ પર રાજનૈતિક દબાણ ઊભું કરીને તેમને બાંગ્લાદેશીઓના રૂપમાં સ્વીકાર કરવા મજબૂર કરી શકે તો તે બહુ મોટી વાત ગણાશે. આવા સંજોગોમાં ભારત અને બાંગ્લાદેશના સંબંધો પણ જોખમમાં મુકાઈ શકે છે.
આ તબક્કે એક મહત્ત્વપૂર્ણ સવાલ એ પણ ઊઠી રહ્યો છે કે શું હવે બાંગ્લાદેશ સાથે જોડાયેલી આપણી સરહદ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે ખરી અને શું હવે અપ્રવાસીઓ આપણા દેશમાં નહીં જ આવે તેની કોઈ ખાતરી છે? આ સવાલનો જવાબ કદાચ આપણી સરકાર પાસે પણ નથી અને માટે જ એનઆરસીના મુદ્દે હજુ ઘણી અનિશ્ચિતતાઓ પ્રવર્તી રહી છે.
આમ તો એનઆરસી એ આસામના જ લોકોની વર્ષોજૂની માગણી હતી, જેને મનાવવા માટે તેમણે બહુ લાંબો સંઘર્ષ કરવો પડ્યો છે અને ભૂતકાળની કેન્દ્ર સરકારોએ ફક્ત પોતાની વોટબેન્ક બચાવવા માટે આ માગણીની સાફ અવગણના કરી છે. વર્ષ ૧૯પ૧માં આસામના તત્કાલીન મુખ્યપ્રધાન ગોપીનાથ બારદોલોઈની માગણી પર તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ પહેલી વખત એનઆરસી જારી કરી હતી.
દેશના વિભાજન બાદ પૂર્વ પાકિસ્તાનમાંથી મોટી સંખ્યામાં ભાગીને આવેલા શરણાર્થીઓનો બારદોલાઈ આસામમાં વસાવવાનો વિરોધ કરી રહ્યા હતા. વર્ષ ૧૯૭૧માં જ્યારે બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામ શરૂ થયો ત્યારે ફરી એક વખત મોટી સંખ્યામાં પાકિસ્તાન (હાલનું બાંગ્લાદેશ)માંથી શરણાર્થીઓ આવીને આસામમાં વસ્યા હતા.
આંકડાઓ અનુસાર લગભગ ૧૦ લાખ શરણાર્થીઓ આ દરમિયાન આવ્યા હતા. ૧૬ ડિસેમ્બર, ૧૯૭૧ના રોજ જ્યારે બાંગ્લાદેશનું નિર્માણ થયું ત્યારે કેટલાક લોકો પરત ફર્યા, પરંતુ મોટા ભાગના આસામમાં જ રહી ગયા હતા. એનઆરસીનો ફાઈનલ ડ્રાફ્ટ સામે આવ્યા બાદ આસામ અને સમગ્ર દેશમાં રાજનૈતિક ભૂકંપ આવ્યો છે.
આ મુદ્દે વિપક્ષ અને સત્તારૂઢ પક્ષ આમનેસામને આવી ગયા છે. આસામમાં વિદેશીઓની સંખ્યા કરોડોની છે એ દાવાની પોલ પણ અંતિમ યાદીએ ખોલી નાખી છે. સરકારે હવે ઘણા મોરચે એકસાથે લડવાનું છે અને આ રાહ આસાન નહીં હોય. અનેક સળગતી સમસ્યાઓ તૈયાર છે પણ હાલ તેનો કોઈ નક્કર હલ નજરે પડતો નથી.•