ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)ની સિનિયર સિલેક્ટર કમિટીએ દુબઈમાં ચાલી રહેલા એશિયા કપ ટૂર્નામેન્ટમાં રમી રહેલી ટીમ ઈન્ડિયામાં ત્રણ ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. આ ફેરફાર મુજબ ટીમના ત્રણ ઈજાગ્રસ્ત પ્લેયર્સ હાર્દિક પંડ્યા અક્ષર પટેલ અને શાર્દૂલ ઠાકુર એશિયા કપમાંથી બહાર થઈ ગયા છે. BCCIએ ગુરુવારે તેની જાણકારી આપી.
BCCIએ કહ્યું ''ટીમ ઇન્ડિયામાં હાર્દિક અક્ષર અને શાર્દૂલના સ્થાને એશિયા કપ માટે હવે દીપક ચહર રવિન્દ્ર જાડેજા અને સિદ્ધાર્થ કૌલને સામેલ કરવામાં આવ્યા છે.'' બોર્ડે કહ્યું ''હાર્દિકને પાકિસ્તાન વિરુદ્ધની મેચ દરમિયાન પીઠમાં ઈજા થઈ હતી. BCCIની મેડિકલ ટીમ તેની તપાસ કરી રહી છે. આ ઈજાના કારણે તે બાકી બચેલી મેચોમાં ભારતીય ટીમ સાથે નહીં રમી શકે.''
NEWS: Hardik Axar & Shardul ruled out of #AsiaCup2018
આ ઉપરાંત BCCIએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે અક્ષરને પણ પાકિસ્તાન વિરુદ્ધ મેચમાં ફિલ્ડિંગ દરમિયાન ડાબા હાથની આંગળીમાં ઈજા થઈ હતી. તેની ઈજાને સ્કેન બાદ એશિયા કપમાંથી તેને બહાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. BCCIએ કહ્યું હોંગકોંગ વિરુદ્ધની મેચ દરમિયાન શાર્દૂલને રાઇટ હિપમાં ઈજા થઈ હતી. આ કારણથી તે પણ એશિયા કપમાં નહીં રમી શકે. તેના સ્થાને સિદ્ધાર્થને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. બોર્ડે કહ્યું કે ''એશિયા કપની બાકી બચેલી મેચો માટે હાર્દિકના સ્થાને દીપક અને અક્ષરના સ્થાને જાડેજા ટીમમાં સામેલ થશે.''