ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટર વિરાટ કોહલીનુ ફોર્મ છેલ્લાં લાંબા સમયથી ચિંતાનો વિષય બન્યું છે. પરંતુ આ દરમ્યાન પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ દાવો કર્યો છે કે વિરાટ ટૂંક સમયમાં વર્લ્ડ ક્રિકેટમાં શાનદાર વાપસી કરશે.
ભારતીય ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ આપ્યું મોટુ નિવેદન
વિરાટ ટૂંક સમયમાં વર્લ્ડ ક્રિકેટમાં શાનદાર વાપસી કરશે
વિરાટને લઇને રવિ શાસ્ત્રીનું મોટુ નિવેદન
વિરાટે લગભગ ત્રણ વર્ષથી સદી બનાવી નથી અને ટીમમાં તેમને આટલી બધી તક મળતા સવાલ ઉઠી રહ્યાં છે. એવામાં એશિયા કપ વિરાટ માટે ખૂબ મહત્વનો રહેવાનો છે. તો વિરાટને લઇને હવે ભારતીય ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ એક મોટુ નિવેદન આપ્યું છે.
વિરાટ કરી શકશે વાપસી?
લાંબા સમયથી કંગાળ ફોર્મથી ઝઝૂમી રહેલા ભારતના સ્ટાર બેટર વિરાટ કોહલીનો બચાવ કરતા પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે ફિટનેસ, જીતની ભૂખ અને અને ઝૂનુન મામલે હજી પણ તેમની બરોબરી કરી શકે તેવુ કોઈ નથી અને તેઓ આ જરૂરી બ્રેક બાદ શાનદાર વાપસી કરશે. એશિયા કપમાં પાકિસ્તાનની સામે 28 ઓગષ્ટે યોજાનારી મેચ પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની 100મી ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ હશે. ગયા વર્ષે ટી-20 વિશ્વ કપમાં પાકિસ્તાન સામે હાર્યા બાદ ભારતના પ્રતિ સ્પર્ધી સામે આ પ્રથમ મેચ છે.
આઈપીએલ ના રમવાની આપી હતી સલાહ
શાસ્ત્રીએ એપ્રિલમાં કોહલીને ક્રિકેટમાંથી બ્રેક લેવા અને જરૂરી લાગે તો આઈપીએલ પણ નહીં રમવાની સલાહ આપી હતી. શાસ્ત્રીએ કહ્યું, મેં હાલમાં કોહલી સાથે વાતચીત કરી નથી. પરંતુ મોટા ખેલાડી હંમેશા સમય પર ચેતી જાય છે. એશિયા કપ પહેલા લીધેલો બ્રેક તેમના માટે ફાયદાકારક નિવડશે. જેમાં તેમણે આત્મમંથન કર્યુ હશે. લોકોની યાદશક્તિ વધારે હોતી નથી અને પાકિસ્તાન સામે તેઓ અર્ધસદી બનાવી લેશે તો પણ લોકો બધુ ભૂલી જશે.