ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટા ભંગાણના એંધાણ, અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાય તેવી શક્યતા
2022 ચૂંટણી પહેલા કોંગ્રેસ તૂટવાના એંધાણ
વધુ એક કોંગ્રેસના દિગ્ગજ નેતા પક્ષથી નારાજ
ગુજરાતમાં વધુ એક વખત કોંગ્રેસ તૂટવાના એંધાણ
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષપલટાનો દોર શરુ થઇ ગયો છે. તો બીજી તરફ પાર્ટીનો જૂથવાદ પણ સપાટી પર આવી રહ્યો છે. પાર્ટીથી નારાજ થયેલા ધારાસભ્યોના રિસામણા મનામણા ચાલી રહ્યા છે. ત્યારે કોંગ્રેસમાં વધુ એકવાર ભંગાણ થવાના એંધાણ વર્તાયા છે. કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા ધારાસભ્ય અશ્વિન કોટવાલ 6 એપ્રિલે ભાજપમાં જોડાશે તેવી શક્યતાઓ વર્તાઇ રહી છે.
અશ્વિન કોટવાલ જોડાશે ભાજપમાં ?
જી, હા છેલ્લા ઘણા સમયથી અશ્વિન કોટવાલની કોંગ્રેસ પ્રત્યેની નારાજગી જોવા મળી રહી છે. તેઓ કોંગ્રેસથી છેડો ફાડશે તેવી વાતોએ જોર પકડ્યુ હતું ત્યારે હવે તેઓ ભાજપમાં 6 એપ્રિલના રોજ જોડાઇ શકે છે તેવી શક્યતા વર્તાઇ રહી છે. જો કે આ મામલે અશ્વિન કોટવાલ મામલે હજુ સુધી સત્તાવાર જાહેરાત કરી નથી. પરંતુ થોડા સમય પહેલા જ ખેડબ્રહ્મા તાલુકા પંચાયત પણ તૂટી હતી. ખેડબ્રહ્મા તાલુકા પંચાયત અશ્વિન કોટવાલના વિસ્તારની છે. કોટવાલ પ્રદેશ હાઇકમાન્ડ સમક્ષ નારાજગી પણ વ્યક્ત કરી ચૂક્યા છે.
અશ્વિન કોટવાલ કોંગ્રેસથી છે નારાજ
છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના કાર્યક્રમોમાં અશ્વિન કોટવાલની ગેરહાજરી જોવા મળી રહી છે. આદિવાસી સત્યાગ્રહમાં તેઓ ગેરહાજર રહ્યા હતા. તેમજ વિધાનસભામાં ST વિભાગની ચર્ચામાં પણ ગેરહાજર રહ્યા હતા. પોતે આદિવાસી હોવાથી આ ચર્ચામાં રસ લે અને હાજરી આપે તે મહત્વનું હોય છે. ત્યારે સમગ્ર વિધાનસભા સત્રમાં કોટવાલ નિષ્ક્રિય રહ્યા હતા. જે જોતા અશ્વિન કોટવાલ કોંગ્રેસથી નારાજ હોવાનું સ્પષ્ટ જણાયુ હતું, મહત્વનું છે કે વિધાનસભાના વિપક્ષના નેતા ન બનાવતા કોટવાલ નારાજ છે. કોટવાલ છેલ્લા ઘણા સમયથી ગૃહમાં પણ ગેરહાજર રહ્યા હતા.
કોંગ્રેસની વધશે મુશ્કેલી
મહત્વનુ છે કે ખેડબ્રહ્મા સીટ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસનો ગઢ રહી છે. અહીં કોંગ્રેસ 3-4 ટર્મથી જીતતી આવી છે. અશ્વિન કોટવાલ થકી કોંગ્રેસ ઉત્તર ગુજરાતમાં આદિવાસી વિસ્તારોમાં સારુ પ્રભૂત્વ મેળવી રહી છે. આવા સમયમાં કોંગ્રેસ આદિવાસી મતદારોને પોતાની તરફ આકર્ષવા માટેના જે કાર્યક્રમો કરી રહી છે તેમાં અશ્વિન કોટવાલની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી. ત્યારે હવે અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાઇ શકે છે તેવુ સામે આવતા કોંગ્રેસમાં મોટુ ભંગાણ સર્જાશે.જે આવનાર ચૂંટણીને લઇને આદિવાસી મતવિસ્તારોનો આકર્ષવા કોંગ્રેસ માટે ઘણી ચિંતાજનક સાબિત થઇ શકે છે.