વિરોધપક્ષના નેતાના નિવાસ્થાને યોજાયેલી બેઠકમાં ગુજરાત કોંગ્રેસના મુખ્ય નિરીક્ષક અશોક ગેહલોતે કોંગ્રેસ નેતાઓને ઠપકો આપ્યો હતો. તેઓએ ઉમેદવારોની પસંદગીમાં દખલગીરી કરવા બદલ ઠપકો આપ્યો હતો.
કોંગ્રેસના મુખ્ય નિરીક્ષક અશોક ગેહલોતનો કોંગ્રેસ નેતાઓને ઠપકો
ઉમેદવારોની પસંદગીમાં દખલગીરી કરવા બદલ આપ્યો ઠપકો
પબ્લિક મિટિંગ નિષ્ફળ જતી હોવાથી નેતાઓને આપ્યો ઠપકો
આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થવાની છે, ત્યારે 27 વર્ષથી સત્તા માટે ભૂખી કોંગ્રેસે તૈયારી તેજ કરી દીધી છે. જે અંતર્ગત ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાત કોંગ્રેસના મુખ્ય નિરીક્ષક અશોક ગેહલોતે ગુજરાતમાં ધામાં નાંખ્યા છે. આ તમામ વચ્ચે અશોક ગેહલોતે કોંગ્રેસ નેતાઓને ઠપકો આપ્યો છે.
કોઈ ખર્ચ ન કરતું હોવાનો નેતાઓનો બચાવ
વિરોધપક્ષના નેતાના નિવાસ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં અશોક ગેહલોતે ઉમેદવારોની પસંદગીમાં દખલગીરી કરવા બદલ અને પબ્લિક મિટિંગ નિષ્ફળ જતી હોવાથી કોંગ્રેસ નેતાઓને ઠપકો આપ્યો હતો. તો ઉમેદવાર નક્કી ન હોવાથી મીટિંગ માટે કોઈ ખર્ચ ન કરતું હોવાનો નેતાઓએ બચાવ કર્યો હતો. આ બેઠકમાં અશોક ગેહલોત, પ્રભારી રઘુ શર્મા, જગદીશ ઠાકોર, સુખરામ રાઠવા, ભરતસિંહ સોલંકી, અમિત ચાવડા, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા.
કોંગ્રેસ વાયદાઓની લ્હાણી કરી
આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને તમામ પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ અને ભાજપની સાથે આ વખતે આમ આદમી પાર્ટી પણ કમરકસીને મેદાનમાં ઉતરી છે. સામાન્ય રીતે ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે મહત્વનો જંગ જોવા મળતો હતો, પરંતુ આ વખતે AAP પુરતી તૈયારી સાથે મેદાનમાં છે. AAPએ ઉમેદવારોની સાત યાદી પણ જાહેર કરી દીધી છે. સાથે મતદારોને રીઝવવા કેજરીવાલ ગેરંટી ઉપર ગેરંટી આપી રહ્યા છે, ત્યારે હવે આમ આદમી પાર્ટીના રસ્તે કોંગ્રેસ પણ જોવા મળી રહી છે. લાભ પાંચમના શુભ દિવસે કોંગ્રેસે વાયદાઓની લ્હાણી કરી.
લાભપાંચમના દિવસે કોંગ્રસે વાયદાઓની લ્હાણી કરી
ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સિદ્ધાર્થ પટેલે સરકાર બનશે તો કોંગ્રેસ શું કરશે તેના વચનો આપ્યા. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યના તમામ નાગરિકોને રૂ. 10 લાખ સુધીનું આરોગ્ય વીમા કવચ કોંગ્રેસ આપશે. ખેડૂતોનું દેવું માફ કરાશે અને દિવસે વીજળી કોંગ્રેસ મફત આપશે. ઘરનું 300 યુનિટ વીજળી ફ્રી, ગેસનો સિલિન્ડર રૂ. 500માં કોંગ્રેસ આપશે. 10 લાખ લોકોને રોજગારી આપવામાં આવશે
27 વર્ષમાં ભાજપની સરકારમાં થયેલા કૌભાંડમાં તપાસ થશે: પટેલ
તેઓએ મોટું નિવેદન આપતા કહ્યું હતું કે, સરકાર બનતા જ 27 વર્ષમાં ભાજપની સરકારમાં થયેલા કૌભાંડમાં તપાસ થશે. કૌભાંડમાં સંડોવાયેલા તમામ લોકોને કોંગ્રેસ સરકાર જેલભેગા કરશે. કોંગ્રેસ સરકાર રાજ્યમાં જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો ગ્રામીણની જેમ શહેરોમાં પણ મનરેગા યોજના શરૂ કરવામાં આવશે.
ચૂંટણી ટાણે વચનોની લ્હાણી
મહત્વનું છે કે, આમ આદમી પાર્ટી દ્વારા પણ ગુજરાતને ફ્રીમાં વીજળી આપવાનો વાયદો કરવામાં આવ્યો છે ત્યારે કોંગ્રેસ પણ જેમ આમ આદમી પાર્ટીએ પંજાબમાં ચૂંટણી પહેલા વાયદા કર્યા હતા તે પેટર્ન ગુજરાતમાં અનુસરી રહી હોય તેમ લાગી રહ્યું છે. મહત્વનું છે કે આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાશે જેને લઇને ગુજરાત કોંગ્રેસ એક્ટિવ મોડમાં આવી ગયુ છે. ગુજરાતની જનતાનો વિશ્વાસ જીતવા માટે વચનોની લ્હાણી તો કરી દીધી પરંતુ આવનારા સમયમાં જોવાનું એ રહેશે કે ગુજરાતની જનતા કોની પર પસંદગીનો કળશ ઢોળશે.