અશોક ગેહલોત આજે રાજસ્થાનના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપે તેવી શક્યતા છે. આ દરમિયાન સચિન પાયલટને રાજસ્થાનના નવા મુખ્યમંત્રી બનાવવાની અટકળો
રાજસ્થાનમાં રાજકીય હલચલ તેજ થઇ
અશોક ગેહલોત આજે રાજીનામું આપે તેવી શક્યતા
નવા મુખ્યમંત્રી માટે સચિન પાયલટ અને સીપી જોશીનું નામ
રાજસ્થાનમાં રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. અશોક ગેહલોત આજે (રવિવારે) રાજસ્થાનના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપે તેવી શક્યતા છે. આ દરમિયાન સચિન પાયલટને રાજસ્થાનના નવા મુખ્યમંત્રી બનાવવાની અટકળો લગાવવામાં આવી રહી છે. જણાવી દઈએ કે સચિન પાયલટ દિલ્હીથી જયપુર માટે રવાના થઈ ગયા છે. આજે જયપુરમાં વિધાયક દળની બેઠક થશે, જેમાં નવા સીએમના નામ પર મોહર લાગી શકે છે. જો કે સીએમ પદ માટે કોંગ્રેસ નેતા સીપી જોશીના નામની પણ ચર્ચા ચાલી રહી છે.
રાજસ્થાનમાં હોઈ શકે છે 2 ડેપ્યુટી સીએમ
સૂત્રોના જણાવ્યા અનુસાર આજે જયપુરમાં ધારાસભ્ય દળની બેઠકમાં રાજસ્થાનના નવા મુખ્યમંત્રીના નામની સાથે બે ડેપ્યુટી સીએમના નામની પણ જાહેરાત થઈ શકે છે. જણાવી દઈએ કે અશોક ગેહલોત કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવા જઈ રહ્યા છે. 26 કે 28 સપ્ટેમ્બરે અશોક ગેહલોત કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ઉમેદવારી કરી શકે છે.
વિધાનસભા પક્ષની બેઠકમાં ઠરાવ પસાર કરવામાં આવશે
ગાંધી પરિવાર દ્વારા જાહેરાત કરવામાં આવી ચૂકી છે કે આ વખતે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે તેમના પરિવારનો કોઈ પણ સભ્ય ચૂંટણી લડશે નહીં. જયપુરમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતના નિવાસસ્થાને કોંગ્રેસ વિધાયક દળની બેઠક યોજાશે, જેમાં રાજસ્થાનમાં નેતૃત્વ પરિવર્તનને લઈને એક પ્રસ્તાવ પાસ કરવામાં આવશે. રાજસ્થાનમાં ચહેરો બદલવાનો નિર્ણય કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી લેશે તેવો પ્રસ્તાવ મૂકવામાં આવી શકે છે.
ગેહલોત મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપે તેવી શક્યતા
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવતા પહેલા પોતાના પદ પરથી રાજીનામું આપી દે તેવી શક્યતા છે. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC) રાજસ્થાનના પ્રભારી અજય માકન અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે આજે (રવિવારે) સાંજે 7 વાગ્યે યોજાનારી બેઠકમાં હાજર રહેશે. આ પહેલા શનિવારે અજય માકને કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. AICC ના મહાસચિવ (સંગઠન) કેસી વેણુગોપાલે કહ્યું હતું કે, કોંગ્રેસ અધ્યક્ષે રવિવારે સાંજે સાત વાગ્યે જયપુરમાં યોજાનારી રાજસ્થાન કોંગ્રેસ વિધાયક દળની બેઠક માટે મલ્લિકાર્જુન ખડગે અને અજય માકનને નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે.