રાજસ્થાનના મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા અશોક ગેહલોતે ગુજરાતમાં દારૂબંધીને લઇને વિવાદાસ્પદ નિવેદન આપતાં રાજ્યનું રાજકારણ ગરમાયું છે. જેમાં ભાજપ-કોંગ્રેસ આમને સામને જોવા મળી રહ્યાં છે. કોંગ્રેસના નેતાઓ અશોક ગેહલોતના સમર્થનમાં ઉતર્યા છે જ્યારે ભાજપના નેતાઓએ આ નિવેદનનો વિરોધ કર્યો છે. ભાજપે કહ્યું છે કે અશોક ગેહલોતે ગુજરાતની જનતાની માફી માંગવી જોઇએ.
ગેહલોતનું નિવેદન ગુજરાતની જનતા માટે આઘાતજનકઃ ભરત પંડ્યા
કોંગ્રેસ નેતાઓ અશોક ગેહલોતના સમર્થનમાં ઉતર્યા
જીતુ વાઘાણીએ કહ્યું કે કોંગ્રેસે ગુજરાત અને ગાંધીજીનું અપમાન કર્યું
અશોક ગેહલોત પર ભાજપના ભરત પંડયાનું નિવેદન
દારૂને લઇને અશોક ગેહલોતે આપેલા નિવેદન પર રાજ્યમાં ભાજપ-કોંગ્રેસ આમને સામને જોવા મળ્યાં છે. જેમાં ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ કહ્યું કે અશોક ગેહલોતનું નિવેદન ગુજરાતની જનતા માટે આઘાતજનક છે. ઘર શબ્દ વાપરી યુવાઓ અને મહીલાઓનું અપમાન કર્યું. કોંગ્રેસ હંમેશા ગુજરાતની પ્રગતિથી ઇર્ષા કરે છે. કોંગ્રેસ નર્મદાના પાણી વિરોધી અને દારૂ સમર્થક છે.
અશોક ગેહલોતના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ
અશોક ગેહલોતના દારૂબંધી મામલે આપેલા નિવેદન બાદ ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ આમને સામને આવી ગયા છે. જેમાં કોંગ્રેસના નેતાઓ અશોક ગેહલોતના સમર્થનમાં ઉતર્યાં છે. કોંગ્રેસ નેતા મનિષ દોશીએ કહ્યું કે ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે અને ભાજપ નિષ્ફળતા છુપાવવા માટે આ પ્રકારનું નિવેદન આપી રહ્યું છે.
અશોક ગેહલોતના નિવેદન પર જીતુ વાઘાણીનું નિવેદન
ગેહલોતના નિવેદનને લઇને ગુજરાતમાં કોંગ્રેસ-ભાજપ એકબીજા આમને સામને નિવેદન આપી રહ્યાં છે. કોંગ્રેસના નેતા મનિષ દોશીએ આપેલા નિવેદન પર ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કહ્યું છે કે કોંગ્રેસ ગુજરાત અને ગાંધીજીનું અપમાન કર્યું છે.
ગુજરાતની દારૂબંધી પર ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીનું નિવેદન
રાજ્યમાં દારૂબંધીને લઇને ચાલી રહેલા નિવેદનો પર ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ગુજરાતમાં ઘરે ઘરે દારૂ પીવાતો હોવાની વાતને ખોટી ગણાવી છે. જિજ્ઞેશ મેવાણીએ કહ્યું કે દારૂ પર તમામ ગુજરાતીઓ જવાબદાર નથી. ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ છે મને વિધાનસભામાં 5 મીનીટ આપો હું પોલી ખોલીશ. મારા નિવેદન પર સરકાર મારી સામે કેસ કરી શકે છે.
અશોક ગેહલોતના સમર્થનમાં આવ્યાં બ્રિજેશ મેરજા
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુજરાતમાં ઘરે-ઘરે દારૂના વેચાણ થતું હોવાનું નિવેદન આપીને ગાંધીના ગુજરાતને બદનામ કર્યું છે. જો કે ગુજરાતના કોંગ્રેસના નેતાઓ ગેહલોતના સમર્થનમાં ઉતરી આવ્યાં છે. કોંગ્રેસના ધારસભ્ય લલિત કગથરાએ ગેહલોતને સમર્થન કર્યું છે. અશોક ગેહલોતને માફી માગવાની કોઇ જ જરૂર નથી. રાજ્યમાં દારૂબંધી હોવી જોઇએ પણ તેનું કડક પાલન થતું નથી. મેરજાએ કહ્યું કે મોરબીમાં તો દૂધ કરતાં દારૂ વધુ વેચાય છે.