કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ પદની ચૂંટણી પહેલા અશોક ગેહલોત એક્શનમાં
આજે મોડી રાત્રે રાજસ્થાનના તમામ કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક બોલાવી
બેઠકમાં પોતાની અધ્યક્ષ પદની ઉમેદવારી અને રાજસ્થાનમાં રાજકીય ભવિષ્ય વિશે વાત કરી શકે છે ગેહલોત
કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે આગામી સમયે ચૂંટણી યોજાનાર છે. તેવામાં હવે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે આજે મોડી રાત્રે રાજસ્થાનના તમામ કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક બોલાવી છે. એવું મનાઈ રહ્યું છે કે, તેમણે અધ્યક્ષની ચૂંટણી પહેલા મેદાનમાં ઉતરવાનું શરૂ કરી દીધું છે. મળતી માહિતી મુજબ નવા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના ઘરે સ્વાગત માટે ધારાસભ્યોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ પછી 10 મુખ્યમંત્રી ગેહલોત ધારાસભ્યો સાથે બેઠક કરશે.
રાજયસ્થાનના મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અશોક ગેહલોત ધારાસભ્યો સાથેની બેઠકમાં પોતાની અધ્યક્ષ પદની ઉમેદવારી તેમજ રાજસ્થાનમાં રાજકીય ભવિષ્ય વિશે વાત કરી શકે છે. કોંગ્રેસ પરિવારના નજીકના ગણાતા ગેહલોત અધ્યક્ષ પદ માટે ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. આ સાથે તેમની એક મોટી ચિંતા રાજસ્થાનને લઈને છે કે, સચિન પાયલટ અહીંથી જતાની સાથે જ તેમનું કદ વધી ન જાય. આવી સ્થિતિમાં તેઓ રાજસ્થાન કોંગ્રેસના ધારાસભ્યોને વિશ્વાસમાં લઈને ભવિષ્યની દિશા નક્કી કરવા અંગે નિર્ણય લઈ શકે છે. જણાવી દઈએ કે, સચિન પાયલટ દિલ્હીમાં પહેલા પણ મીટિંગ કરી ચુક્યા છે.
મહત્વનું છે કે, કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે ત્યારે અશોક ગેહલોતની સક્રિયતાનું ઘણું મહત્વ છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં અશોક ગેહલોત અને શશિ થરૂર વચ્ચે ટક્કર માનવામાં આવી રહી છે. ગઈકાલે શશિ થરૂરે પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. આ દરમ્યાન સોનિયાએ સ્પષ્ટ કર્યું હતું કે, ચૂંટણી નિષ્પક્ષ રીતે થશે. પક્ષ કોઈ સત્તાવાર ઉમેદવાર ઊભો રાખશે નહીં.
ક્યારે છે કોંગ્રેસના અધ્યક્ષની ચુંટણી ?
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયા 24 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. આ માટે 30 સપ્ટેમ્બર સુધીમાં ઉમેદવારી પત્ર ભરવામાં આવશે. જો પ્રમુખ પદ માટે બે કે તેથી વધુ ઉમેદવારો દ્વારા ઉમેદવારી કરવામાં આવશે તો 17 ઓક્ટોબરે મતદાન થશે. કોંગ્રેસ પ્રમુખની ચૂંટણીનું પરિણામ 19 ઓક્ટોબરે આવશે.