ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ રાજ્યમાં તમામ પક્ષો ગુજરાતમાં તખ્તો તૈયાર કરી રહ્યાં છે. તમામ રાજકીય પક્ષો ચૂંટણીમાં જીત મેળવવા પોતપોતાની રીતે રણનીતિ ઘડી રહ્યાં છે.
વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસની તડામાર તૈયારીઓ
સિનિયર ઓબ્ઝર્વર અશોક ગેહલોત આવતીકાલે આવશે ગુજરાત
નવા નિમાયેલા ઓબ્ઝર્વર મિલિંદ દેવરા પણ ગુજરાત આવશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. જેના અનુસંધાને સિનિયર ઓબ્ઝર્વર અશોક ગેહલોત આવતીકાલે ગુજરાત આવશે. નવા નિમાયેલા ઓબ્ઝર્વર મિલિંદ દેવરા પણ ગુજરાત આવશે.
રાજસ્થાન મંત્રીમંડળના કેટલાંક સભ્યો પણ ગુજરાત આવશે
રાજસ્થાન મંત્રીમંડળના કેટલાંક સભ્યો પણ ગુજરાત આવશે. પ્રદેશ પ્રમુખ, પ્રભારી અને હોદ્દેદારો સાથે મહત્વની બેઠક કરશે. બેઠકમાં લોકસભા સીટ દીઠ એક પ્રભારી નક્કી કરાશે. સંગઠનના બાકીના માળખા અંગે પણ બેઠકમાં ચર્ચા કરાશે. તેમજ ડિસ્ટ્રીક્ટ અને તાલુકા મંડળ કામગીરી વગેરેની સમીક્ષા પણ કરવામાં આવશે.
ગુજરાતના 26 સંસદીય મતવિસ્તાર માટે નિયુક્ત કરાયેલા ત્રણ રાજ્યો જેવાં કે, રાજસ્થાન, છત્તીસગઢ અને મહારાષ્ટ્રના કુલ 37 નિરીક્ષકો 19 જુલાઈના રોજ રાજ્યની મુલાકાત લેશે. આ પહેલા ગુજરાત અને ઉપરોક્ત ત્રણ રાજ્યોના કોંગ્રેસના ધારાસભ્યો 18 જુલાઈએ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન કરશે.
20 જુલાઈએ અશોક ગેહલોત અને રઘુ શર્મા તમામ નિરીક્ષકો અને ધારાસભ્યોને સંબોધશે
વધુમાં તમને જણાવી દઇએ કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (GPCC) ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, તારીખ 20 જુલાઈના રોજ અશોક ગેહલોત અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા આગામી વિધાનસભા ચૂંટણીની વ્યૂહરચના ઘડવા માટે તમામ નિરીક્ષકો અને ધારાસભ્યોને સંબોધશે.
મહત્વનું છે કે, વર્ષ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન અશોક ગેહલોત ગુજરાતના જનરલ સેક્રેટરી ઈન્ચાર્જ હતા. જેમની હેઠળ પાર્ટીએ 77 બેઠકો જીતી હતી. આ વર્ષના અંત સુધીમાં ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચૂંટણી યોજાવાની હોવાથી કોંગ્રેસે ફરી એકવાર રાજસ્થાનના CMને કમાન સોંપી છે. કોંગ્રેસે ગુજરાત ચૂંટણી માટે અશોક ગેહલોત ઉપરાંત ટીએસ સિંહ દેવ અને મિલિંદ દેવરાને નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે.