ઊંઝાના ધારાસભ્ય આશા પટેલે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધુ હતુ. જેને લઈને તેઓનું ભાજપમાં જોડાવા સહિતની અનેક અટકળો વહેતી થઈ હતી. ત્યારે મળતી માહિતી મુજબ દિનેશ પટેલને ઊંઝા APMCના ચેરમેન બનાવવા આશા પટેલે રાજીનામું ધર્યુ હોવાની વાત સામે આવી છે.
બિલ્ડર દિનેશ પટેલે આશાબેનને MLA બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. દિનેશ પટેલ ભાજપના પ્રદેશ મહામંત્રી કે.સી પટેલના વેવાઈ છે અને તેઓ ઊંઝા APMCના ચેરમેન બનવા માંગે છે. મહત્વનું છે કે ઉત્તર ગુજરાતના રાજકારણનો પાયો જ ઊંઝા APMC ગણાય છે અને આ બેઠક પર પૂર્વ ધારાસભ્ય નારણભાઈ લલ્લુભાઈ પટેલનો રાજકીય દબદબો રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. ઊંઝાના કોંગ્રેસના ધારાસભ્ય આશાબેન પટેલે રાજીનામું આપી દીધું છે. આશાબેન પટેલે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું સોંપ્યું છે અને વિધાનસભા અધ્યક્ષે પણ રાજીનામું સ્વીકારી લીધું છે.
આશાબેન પટેલે સ્વેચ્છાએ રાજીનામું આપ્યું હોવાનું સામે આવ્યું છે. આશા પટેલે રાજીનામું આપતાં વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ 76 થઈ ગયું છે. આશાબેન પટેલે સ્વેચ્છાએ રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે.
જોકે ઊંઝામાં APMCની ચૂંટણી પહેલા આશાબહેને રાજીનામું આપી દેતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. મળતી માહિતી મુજબ પક્ષમાં સતત આશા પટેલની અવગણના કરવામાં આવી રહી હતી. જેથી તેઓ નારાજ ચાલી રહ્યા હતા અને રાજીનામા પાછળ આ કારણ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે.
નારાજગીનો દોર યથાવત
છેલ્લા કેટલાક સમયથી નારાજગીનો દોર ચાલી રહ્યો છે. જેની શરૂઆત કોંગ્રેસની રાધનપુર બેઠકના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કરી હતી. ગુજરાત કોંગ્રેસમાં કકળાટ ઘટવાને બદલે વધુ વકરી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. લોકસભા ચૂંટણીને હવે થોડો જ સમય બાકી છે ત્યારે કોંગ્રેસ માટે આંતરિક કલેહ વધી રહ્યો છે.
હાલમાં જ કોંગ્રેસી નેતાઓ નારાજ હોવાને કારણે દિલ્હીથી અમુક નેતાઓને તેડું પણ આવ્યું હતું. હવે આ નારાજ નેતાઓમાં વધુ એક નામ ઉમેરાઈ ગયું છે. બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ હવે પક્ષથી નારાજ હોવાના અહેવાલ મળી રહ્યાં છે. ત્યારે આગામી સમયમાં કોંગ્રેસમાં નવા-જૂની થવાના એંધાણ વધી ગયા છે તેમ કહી શકાય.
પક્ષમાં અલ્પેશ ઠાકોર અને ઠાકોર સેનાના કાર્યકરોની અવગણનાને લઈને ધવલસિંહ ઝાલા નારાજ હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમણે કહ્યું છે કે હવે અલ્પેશ ઠાકોર જે નિર્ણય લેશે તે મને માન્ય રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના નારાજ નેતાઓની યાદીમાં પહેલેથી જ અલ્પેશ ઠાકોરનું નામ અગ્રેસર છે. આવામાં હવે ધવલસિંહ ઝાલાનું નામ પણ ઉમેરાઈ જતાં ગુજરાત કોંગ્રેસ સહિત હાઈકમાન્ડનું ટૅન્શન પણ વધશે તેવું કહી શકાય.