જોધપુરઃ આસારામ વિરુદ્ધ યૌનશોષણ કેસમાં ચુકાદાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. 25 એપ્રિલ એટલે કે આવતીકાલે જોધપુર કોર્ટ આસારામની સજા પર ચુકાદો સંભળાવશે. આસારામને આ કેસમાં ઓછામાં ઓછી 3 વર્ષ અને વધુમાં વધુ ઉંમર કેદની સજા થઈ શકે છે.
જેમાંથી આસારામે જેટલા વર્ષ સજા ભોગવી છે તે બાદ થઈ જશે. અને જો આસારામને નિર્દોષ છોડવામાં આવે તો પણ જેલથી રાહત નહીં મળે. જો આસારામ નિર્દોષ છૂટે તો સુરત રેપ કેસમાં ગુજરાત પોલીસને સોંપવામાં આવશે. આસારામ પર 15 અને 16 ઓગસ્ટ 2013ની રાત્રીએ પીડિતા પર બળાત્કાર ગુજાર્યો હોવાનો આરોપ લાગ્યો છે.
આરોપ છે કે જોધપુરના એક ફાર્મ હાઉસમાં આસારામે સારવારના બહાને યૌનશોષણ કર્યું હતું. આસારામના કેસનો ચુકાદો આવવાનો છે. ત્યારે જોધપુરમાં 10 દિવસ માટે કલમ 144 લાગુ કરી દેવાઈ છે. તો આસારામે પણ પોતાના ભક્તોને પત્ર લખીને શાંતિ જાળવવાની અપીલ કરી છે.
જોકે સુરક્ષાને ધ્યાને રાખીને સમગ્ર જોધપુરમાં પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. અને જોધપુર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે.