ગૃહમંત્રી અમિત શાહે બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર સાથે રાજ્યની સ્થિતિને લઈ બિહારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર વાત કરી
બિહારમાં રામનવમીના દિવસે ભડકેલી હિંસા વચ્ચે મોટા સમાચાર
બિહારમાં પરિસ્થિતિ બેકાબૂ થતાં અમિત શાહ એક્શનમાં આવ્યા
કેન્દ્ર સરકાર અહીં વધુ અર્ધલશ્કરી દળો તૈનાત કરશે: અમિત શાહ
બિહારમાં રામનવમીના દિવસે ભડકેલી હિંસાની આગ હજુ ઠંડી પણ નથી થઈ અને શનિવારે રાત્રે બિહાર શરીફ અને સાસારામમાં ફરી મુશ્કેલી સર્જાઈ છે. શનિવારે સાંજે બિહાર શરીફના પહારપુરમાં 12 રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ સાથે સાસારામના શેરગંજ વિસ્તારમાં એક ધાર્મિક સ્થળની બહાર બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. આ તમામની વચ્ચે હવે ગૃહમંત્રી અમિત શાહે બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર સાથે રાજ્યની સ્થિતિને લઈને વાતચીત કરી છે. તેમણે બિહારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર રાજ્યપાલ સાથે વાત કરી.
શું કહ્યું અમિત શાહે ?
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, બિહારની સ્થિતિને જોતા કેન્દ્ર સરકાર અહીં વધુ અર્ધલશ્કરી દળો તૈનાત કરશે. ગૃહમંત્રીએ કહ્યું કે, બિહારના સંવેદનશીલ વિસ્તારોમાં કેટલીક કંપનીઓ તૈનાત કરવામાં આવી છે અને કેટલીક કંપનીઓ આજે પહોંચી જશે. તેમણે કહ્યું કે, અર્ધલશ્કરી દળોની તૈનાતી રાજ્ય પોલીસને સહકાર આપવા અને રાજ્યમાં શાંતિ સ્થાપવા માટે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 10 અર્ધલશ્કરી કંપનીઓ બિહાર મોકલવામાં આવી છે. જેમાં CRPF, SSB અને ITBPના જવાનોનો સમાવેશ થાય છે.
Union Home Minister Amit Shah speaks to Bihar Governor Rajendra Arlekar and takes stock of the situation in the State in view of recent incidents of violence and assured to provide Central Armed Police Forces (CRPF, SSB & ITBP): Sources
સાંપ્રદાયિક હિંસામાં એકનું મોત
બિહાર શરીફમાં સાંપ્રદાયિક હિંસામાં એક વ્યક્તિનું મોત થયું છે. ગત રાત્રે પહારપુર વિસ્તારમાં ગોળીબાર થયો હતો જેમાં કેટલાક લોકો ઘાયલ થયા હતા. પોલીસે મૃત્યુની પુષ્ટિ કરી છે. શનિવારે સાંજે હિંસા બાદ અહીં 12 રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો. બિહાર હિંસામાં અત્યાર સુધીમાં કુલ 106 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં બિહાર શરીફમાંથી 80 અને સાસારામમાંથી 26 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
સાસારામ બ્લાસ્ટમાં 6 લોકો ઘાયલ
આ દરમિયાન શનિવારે રાત્રે જિલ્લા મુખ્યાલય સાસારામના નગર પોલીસ સ્ટેશન વિસ્તારના શેરગંજ વિસ્તારમાં બોમ્બ વિસ્ફોટની ઘટનામાં 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને તાત્કાલિક સાસારામની સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સ્થાનિક ઈમ્તિયાઝે જણાવ્યું કે, ઘટના બાદ કોઈક રીતે સ્થાનિક લોકો ઘાયલોને સદર હોસ્પિટલમાં લઈ આવ્યા, પરંતુ જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલમાં સારવાર માટે કોઈ યોગ્ય વ્યવસ્થા નહોતી. સ્થાનિક લોકોએ જણાવ્યું કે, પોલીસ પ્રશાસને દાવો કર્યો હતો કે, વિસ્તારમાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે, પરંતુ અફસોસની વાત એ છે કે, બોમ્બ બ્લાસ્ટની ઘટના બાદ પણ કોઈ ઘાયલોને હોસ્પિટલ લઈ જતું ન હતું.
રાજ્યપાલે ગૃહમંત્રીને શું કહ્યું ?
સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય ગૃહ મંત્રાલયે હિંસા પછીની પરિસ્થિતિનો સામનો કરવામાં રાજ્ય પ્રશાસનને મદદ કરવા માટે બિહારમાં વધારાના અર્ધલશ્કરી દળો મોકલવાનો નિર્ણય કર્યો છે. ગૃહમંત્રીએ બિહારના રાજ્યપાલ સાથે વાત કરી અને સ્થિતિનો તાગ મેળવ્યો. ગૃહમંત્રીએ રાજ્યમાં હિંસા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, રાજ્યપાલે શાહને રાજ્યની વર્તમાન સ્થિતિ વિશે માહિતી આપી.
અમિત શાહ આજે નવાદામાં રેલી કરશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રવિવારે બિહારના નવાદા જિલ્લાના હિસુઆ વિસ્તારમાં રેલીને સંબોધિત કરવાના છે. આ માટે તેઓ શનિવારે સાંજે પટના પહોંચ્યા હતા. ત્યાં તેઓ રાજ્યના ભાજપના નેતાઓને પણ મળ્યા હતા. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રવિવારે સવારે સશસ્ત્ર સીમા બાલની પટણા ફ્રન્ટિયરની તેમની નિર્ધારિત મુલાકાત અનિવાર્ય કારણોસર રદ કરવામાં આવી છે. અમિત શાહ SSB ની 9 સ્થાપના જનતાને સમર્પિત કરવાના હતા તેમજ પટના ફ્રન્ટિયર ભવનના "ભૂમિ પૂજન" કરવાના હતા.