ગુજરાતના નવા મુખ્યમંત્રી પદે ભૂપેન્દ્ર પટેલ પદનામિત થતા ભાજપ-કોંગ્રેસ અને આપની કેવી રહેશે સ્થિતિ. ભુપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવા પાછળ ની રણનીતિ
ગુજરાતના મુખ્યમંત્રી પદ પર ભૂપેન્દ્ર પટેલ
કોંગ્રેસ-આપ સામે ભાજપની નવી રણનીતિ
ખોડલ ધામ -ઉમિયા ધામ વચ્ચે મજબૂત કડી
ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે કેન્દ્રિય નિરીક્ષકોએ ભુપેન્દ્ર પટેલનું નામ જાહેર કરતા જ વધુ એક અન -અપેક્ષિત નામ સામે આવી ગયું. ભુપેન્દ્ર પટેલ,પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદી બહેન પટેલના વિશ્વાસુ અને નજદીકી ગણાય છે. અમદાવાદના ઘાટલોડીયા મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા ભુપેન્દ્ર પટેલ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી છે અને આનંદી બહેનની બેઠક ઘાટલોડીયા પરથી તેમના અનુગામી છે. આ પૂર્વે અમદાવાદ રૂરલડેવલપમેંટ ઓથોરીટીના ચેરમેન અને મહાનગર પાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચુક્યા છે.
પાટીદારોના રોષ-રીસ શાંત થશે.
ખોડલ ધામના ચેરમેન નરેશ પટેલે જે નિવેદન આપ્યું હતું તેના સમીકરણો ગુજરાત ભાજપે ગંભીરતાથી બેસાડ્યા હોય તેમ 2022 મા ગુજરાતના મુખ્યમંત્રી પાટીદાર સમાજના હોય તેવી લાગણી અને માંગણીને ભાજપે અને ખાસ કરીને કેન્દ્રીય નેતૃત્વએ ચાર મહિનામાં જ પૂર્ણ કરી દીધી છે. હવે અહીં સવાલ એ છે કે, ભુપેન્દ્ર પટેલ આગામી વિધાનસભા ચૂંટણી -2022માં મુખ્યમંત્રીનો ચહેરો રહેશે ? ભુપેન્દ્ર પટેલના મુખ્યમંત્રી બનતા સૌથી મોટો સવાલ એ બન્યો છે કે, ભાજપ ગુજરાતમાં પણ ઉત્તરપ્રદેશની સાથે ચૂંટણી કરાવશે ? ઉત્તરપ્રદેશમાં માર્ચ મહિનામાં વિધાનસભાની ચૂંટણી છે ત્યારે, ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલનું મુખ્યમંત્રી બનવું એ ચૂંટણી સુધીની વ્યવસ્થા હોવાનું પણ માનવામાં આવે છે. જો ગુજરાતમાં વહેલી ચૂંટણી થાય તો.
ભૂપેન્દ્ર પટેલ વ્યવસાયે બિલ્ડર છે. પાટીદાર સમાજમાં તેમનું પણ પ્રભુત્વ છે,કડવા પાટીદાર સમાજમાંથી આવતા ભૂપેન્દ્ર પટેલ ઈજનેર છે . હવે ઉમિયાધામ અને ખોડલધામ વચ્ચે સમાજનો મુખ્યમંત્રી આગામી ચૂંટણીમાં 'વોટ સેતુ' બનશે. આમ થવાથી સમગ્ર પાટીદાર સમાજને એક સુત્રે સાંકળી શકાશે.અને વિરોધી દળોની કારી નહિ ફાવે.
આમ આદમી પાર્ટીની વધશે મુશ્કેલી
ગુજરાતના 17 મુખ્યમંત્રી તરીકે પાટીદાર સમાજના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વરણી થતા,સુરતના જે પાટીદારોએ આમ આદમી પાર્ટીનો ઝંડો લહેરાવ્યો તેમ પાટીદારના ગઢ ઘાટલોડીયાના યુવા પાટીદારો આમ આદમી તરફ ના જાય અને સામાજિક એકતા બની રહે તેવો ઘાટ છે. પાટીદાર અનામત આંદોલન વેળા રાણીપ-ઘાટલોડીયા,નિકોલ જેવા વિસ્તારોમાં આંદોલન વેગ પકડી ગયું હતું. આ વેળા,આનંદી બહેન જે ઘાટલોડીયા વિસ્તારના ધારાસભ્ય અને મુખ્યમંત્રી પણ હતા.સમગ્ર આંદોલનનો અપજશ આનંદીબહેનના શિરે આવ્યો હતો અને આનંદી બહેને સોશીયલ મીડિયા મારફતે પોતાનું રાજીનામું ધરી દીધું હતું. ગુજરાતના પાટીદાર આમ આદમી પાર્ટી તરફ ઝોક નાં દર્શાવે ,અને ખોડલ ધામ ચેરમેન નરેશ પટેલે જે આમ આદમી પાર્ટીના વખાણ કર્યા હતા તેઓ સહિતના યુવાઓને ભાજપે ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવી ભાજપમાં શ્રદ્ધાનો સંચાર કર્યો છે.
કોંગ્રેસમાં શું થશે ?
ગુજરાતના મુખ્યમંત્રી પદે ભૂપેન્દ્ર પટેલની વરણી થતા હવે કોંગ્રેસની મૂર્છા ભાંગશે.ગુજરાતની સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં કોંગ્રેસનો રકાસ થતા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામાં મોવડી મંડળને ધરી દીધા હતા. હવે કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને પ્રદેશ પ્રમુખ બનાવી ગુજરાતની આગામી વિધાનસભા ચૂંટણીનું સુકાન સોંપાય શકે છે. એટલે ગુજરાતમાં અન્ય સમાજ કરતા પાટીદાર સામે પાટીદારનું કાર્ડ ખેલાય તો નવાઈ નહિ રહે.
ગુજરાતમાં મંત્રી મંડળનું વિસ્તરણ બાકી છે. મંત્રી મંડળના વિસ્તરણમાં વિસ્તાર અને જ્ઞાતિ -જાતિના સમીકરણ પણ જોવાશે. પાટીદાર મુખ્યમંત્રી થવાથી નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રી બનશે કે કેમ ? તેઓને જોઈતા વિભાગનો પોર્ટફોલિયો મળશે કે કેમ ? અત્યારે આ ચર્ચા એરણે છે.
આ સિવાય મંત્રી મંડળ વિસ્તરણમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે કહ્યું તેમ, બે નાયબ મુખ્યમંત્રીની ફોર્મુલા બની શકે છે.એક ઓબીસી અને એક આદિવાસી નેતાને પણ સ્થાન મળી શકે છે.
મંત્રી મંડળના વિસ્તરણ પર દારો-મદાર
ગુજરાતને 17 મા મુખ્યમંત્રી પદે ભૂપેન્દ્ર પટેલ સોમવારે શપથ લેશે. રવિવારે મોડી સાંજે ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે મંત્રી મંડળના વિસ્તરણ અંગે ચર્ચા-વિચારનાં થશે. ગુજરાતમાં વિધાન સભા ચૂંટણી ણે હજુ એક વર્ષની વાર છે ત્યારે, નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માટે 'રાત થોડી અને વેશ ઝાઝા' જેવી સ્થિતિ બનશે. ગુજરાતના વિકાસની યોજનાઓ સાથે પણ,શિક્ષણ-સ્વાસ્થ્ય,રોજગાર જેવી યુવા વિકાસને અવરોધરૂપ માળખું મજબૂત કરવું પડશે. 2017 થી શિક્ષના પ્રશ્નો ખાસ કરીને, શાળાઓ માટે ફી રેગ્યુલેશન કમિટીના પ્રશ્નોનું હજુ પણ નિરાકરણ નાં આવવું ઉપરાંત કોરોના કાળમાં બાળકોના વાલીઓ ફી નથી ભરી શક્યા તેવા પ્રશ્નો પણ ઉદાભવશે.
કુલ મળીને, નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલણી રાહબરીમાં આગામી વિધાન સભા ચૂંટણી લડાય તો 'કામ કરી બતાવવું પડશે. જેમાં સંગઠને પણ ગ્રામીણ માળખું વધુ મજબૂત કરવું પડશે. ખાસ કરીને જ્ઞાતિ-જાતિનો સમન્વય સમન્વય જરૂરી બનશે.