પોળમાં રહેતો એક છોકરો ગુજરાતી રંગભૂમિનું સ્ટેજ ગજવશે અને ફિલ્મોમાં પોતાનું આગવું નામ કરશે તેવી કોને ખબર હતી?
અરવિંદ રાઠોડનું નિધન
12 વર્ષ નકલી નામ સાથે જીવ્યા
2 વર્ષ લીધો હતો એક્ટિંગમાંથી બ્રેક
પિતા દરજીકામ કરતા અને પોતે પણ કપડાના કટિંગ કર્યા અને ઇસ્ત્રી કરી, પિતાને પુત્ર એક્ટિંગ કરે તે ગમતુ નહી તેમ છતાં દરેક પરિસ્થિતિમાંથી બહાર નીકળીને સફળ અભિનેતા બનનાર આ વ્યક્તિ એટલે અરવિંદ રાઠોડ.
એક્ટિંગનો હાથ ઝાલીને તેઓ ખુબ આગળ આવ્યા. પિતાજીને પસંદ નહોતુ તેમ છતાં સ્કૂલમાં નાટકો કર્યા બાદમાં એક મિત્ર સાથે રહીને રમત રમતમાં ફોટોગ્રાફી શીખી લીધી અને અખબારમાં ફોટો જર્નાલિસ્ટ તરીકેનું કામ મળી ગયુ હતુ.
સારા કપડા પહેરવાનો શોખ હતો એટલે તેનાથી ખૂબ મદદ મળી હતી. મોરારજી દેસાઇ આવાના હોય તો ખાદીના અને જવાહરલાલ નહેરૂ આવવાના હોય તો કાળી શેરવાની પહેરીને જતા જેનાથી અલગ તસવીર સહેલાઇથી મળી જતી હતી.
મુંબઇમાં ફોટોગ્રાફી કરતા કરતા અરુણા ઇરાની એક નાટક કરી રહ્યા હતા અને તેમાં એક્ટર રિપ્લેસ કરવાનુ થયુ ત્યારે અરુણાના પિતાએ અરવિંદને બોલાવીને કહ્યું કે, તું નાટક કર પરંતુ નામ બદલીને. જો નાટક હીટ થઇ જાય તો અખબારની નોકરી છોડી દેવાની શરત પણ હતી. નાટક ભજવાયુ અને સ્ક્રીનમાં ફોટો છપાયો, 12 વર્ષ સુધી અરવિંદે રાજેશ કુમારના નામથી કામ કર્યુ. શરત અનુસાર અખબારની નોકરી છોડી દીધી હતી.
ધીરે ધીરે તેમણે બોલીવૂડ તરફ ડગ માંડ્યા અને સેલેબ્સની તસવીર ક્લિક કરતા કરતા પોતે જ સેલિબ્રિટી બની ગયા હતા. ગુજરાતી ફિલ્મોમાં તેમણે ઘણી ફિલ્મોમાં કામ કર્યુ અને પોતાની એક આગવી ઓળખ બનાવી લીધી.
આજે તે જ અરવિંદ રાઠોડનું નિધન થયુ છે. પદ્મારાણી સાથે તેમણે ખુબ કામ કર્યુ અને એક્ટ્રેસને કેન્સર થયુ તે બાદ તેમણે પણ 2 વર્ષ એક્ટિંગમાંથી બ્રેક લીધો હતો. 2018માં ફરી તે એક્ટિંગ ક્ષેત્રે પરત ફર્યા હતા. આજે તેમણે આપણી વચ્ચેથી વિદાય લીધી છે.