ગુજરાતમાં ચૂંટણી આવે એ પહેલાં જ રાજકીય નેતાઓની એન્ટ્રી સતત વધી રહી છે. ત્યારે આ જ સપ્તાહે PM મોદી અને આજ રોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ગુજરાત આવશે.
કેજરીવાલ આવતીકાલે સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજા કરશે
આવતીકાલે રાજકોટમાં ઉદ્યોગકારો અને વેપારીઓ સાથે કરશે બેઠક
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે રાજકોટ આવશે. રાજકોટ એરપોર્ટ પર આવ્યા બાદ તેઓ સાંજે સોમનાથ જશે. જ્યાં તેઓ આવતીકાલે 26 તારીખે સવારમાં સોમનાથ મંદિરે દર્શન કરી પૂજા કરશે. બાદમાં તેઓ સોમનાથથી રાજકોટ પરત ફરશે. રાજકોટમાં તેઓ ઉદ્યોગકારો અને વેપારીઓ સાથે ટાઉન હોલમાં બેઠક કરશે. બેઠકમાં તેઓ GST સહિતના પ્રશ્નો અંગે વેપારીઓ સાથે ચર્ચા કરશે. આવતીકાલે બપોરના 12 વાગ્યે ટાઉન હોલ ખાતે આ બેઠક યોજાશે. વેપારીઓ સાથેની આ બેઠકમાં ચૂંટણી ઢંઢેરાને લઈને કેજરીવાલ મોટી જાહેરાત કરશે.
PM મોદી પણ 28-29 જુલાઈએ આવશે ગુજરાત પ્રવાસે
બીજી બાજુ ખુદ વડાપ્રધાન મોદી પણ તારીખ 28-29 જુલાઈએ ગુજરાતના પ્રવાસે આવશે. જેમાં તેઓ કચ્છથી લઇને અમદાવાદ સુધી અનેક કાર્યક્રમોમાં જોડાશે. ગાંધીનગર અને સાબરકાંઠાના કાર્યક્રમોમાં પણ તેઓ હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે, PM મોદી 15 જુલાઈથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવવાના હતા. પરંતુ ભારે વરસાદના કારણે તેમનો ગુજરાત પ્રવાસ મોકુફ રાખવામાં આવ્યો હતો.
PM મોદી સાબર ડેરીના કાર્યક્રમમાં રહેશે હાજર
PM મોદીના ગાંધીનગરના કાર્યક્રમની જો વિગતવાર વાત કરીએ તો, તેઓ GIFT સિટીની પણ મુલાકાત લેશે. ગાંધીનગરમાં તેઓ બુલિયન એક્સચેન્જની પણ મુલાકાત લેશે. આ સાથે PM નરેન્દ્ર મોદીનો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં પણ કાર્યક્રમ યોજાશે. હિંમતનગરમાં તેઓ સાબર ડેરીના કાર્યક્રમમાં હાજર રહેવાના છે. એટલે કે આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ફોકસ ઉત્તર ગુજરાત વધારે હોઇ શકે છે.