દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ફરી ગુજરાત આવશે. તારીખ 12 અને 13 સપ્ટેમ્બરના રોજ કેજરીવાલ આજે અમદાવાદના કાર્યક્રમોમાં હાજરી આપશે.
અરવિંદ કેજરીવાલ ફરીવાર ગુજરાતના પ્રવાસે આવશે
આજે અને આવતીકાલે કેજરીવાલ આવશે અમદાવાદ
સંવાદ કાર્યક્રમમાં ફરીવાર કરી શકે છે વાયદાઓની લ્હાણી
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ શરૂ થઇ ગયા છે. ત્યારે દરેક રાજકીય પક્ષો પોતપોતાની રીતે તૈયારીમાં જોતરાઇ ગયા છે. તમામ પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર તેજ કરી દેવાયો છે. એવામાં અરવિંદ કેજરીવાલ ફરીવાર ગુજરાત આવશે. અરવિંદ કેજરીવાલ રાજ્યમાં આવીને પ્રચાર કરશે. કેજરીવાલ અમદાવાદમાં વિવિધ એસોસિએશનના લોકો સાથે મુલાકાત પણ કરશે.
કેજરીવાલ વિવિધ એસોસિએશનના લોકો સાથે મુલાકાત કરશે
તદુપરાંત કેજરીવાલ ઓટો ડ્રાઇવર્સ, ટ્રેડર્સ અને વકીલો સાથે પણ મુલાકાત કરશે. AAPના ટાઉનહોલ કાર્યક્રમ અંતર્ગત કેજરીવાલ સંવાદ કરશે. મહત્વનું છે કે, AAP તરફથી લોકોને મોટા મોટા વાયદા અપાઇ રહ્યાં છે. AAP દ્વારા અગાઉ વિદ્યાર્થીઓ અને ખેડૂતો માટે મોટી જાહેરાતો પણ કરાઇ છે. ત્યારે આજના સંવાદ કાર્યક્રમમાં પણ ફરીવાર વાયદાઓની લ્હાણી થઇ શકે છે.
અરવિંદ કેજરીવાલે અગાઉ અનેક વાયદાઓની લ્હાણી કરી હતી
ઉલ્લેખનીય છે કે, અરવિંદ કેજરીવાલે અગાઉ ચૂંટણીલક્ષી જીત હાંસલ કરવા ગુજરાતની જનતાને અનેક મોટા વાયદાઓ કર્યા હતા. જેમાં અરવિંદ કેજરીવાલે સુરતમાં દિલ્હી અને પંજાબ બાદ ગુજરાતમાં પણ સસ્તી વીજળી અંગે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, 'ગુજરાતમાં જો અમારી સરકાર બની તો સરકાર બનતાની સાથે જ 3 મહિનાની અંદર દરેક પરિવારને 300 યુનિટ મફત વીજળી મળશે. બીજી ગેરંટી એ કે જો વીજળી જ ના મળે તો, અમે દરેક પરિવારને 24 કલાક સુધી મફત વીજળી મળશે.'
જો અમારી સરકાર બનશે તો જૂના ઘરેલુ વીજબિલો માફ કરીશું : કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે સુરતમાં ફ્રી વીજળી અને સસ્તી વીજળીને લઇને ગેરંટી આપતા જણાવ્યું કે, 'જો અમારી સરકાર બની તો સરકાર બનતા જ 3 મહિનાની અંદર અમે તમામ પરિવારોને 300 યુનિટ મફત વીજળી પ્રદાન કરીશું. તમામ શહેરો અને ગામડાઓમાં 24 કલાક વીજ પુરવઠો પૂરો પાડીશું તેમજ 31 ડિસેમ્બર 2021 સુધીના જૂના ઘરેલુ વીજબિલો માફ કરી દેવાશે. ફ્રી વીજળી આપવી એ એક મેજિક છે અને આ મેજિક ઉપરવાળાએ મને જ આપી છે. દિલ્હી અને પંજાબમાં કરી બતાવ્યું તે અમે હવે ગુજરાતમાં કરીશું.'
ગેરંટી પૂરી નહીં કરીએ તો ફરી વોટ માંગવા નહીં આવીએ : કેજરીવાલ
કેજરીવાલે કહ્યું, 'સરકારે 15 લાખ આપવાની વાતો કરી હતી પરંતુ અમે કોઇ રાજનીતિ નથી કરી રહ્યાં. કારણ કે AAP ઇમાનદાર લોકોની પાર્ટી છે. અમે જે કહીએ છીએ તે કરીએ છીએ. ગેરંટી પૂરી નહીં કરીએ તો ફરીથી વોટ માંગવા નહીં આવીએ.'