દિલ્હીમાં કોરોનાના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે, આ બધાની વચ્ચે સીએમ કેજરીવાલે આજે પાટનગરમાં સ્થિતિની સમીક્ષા કરી હતી.
સીએમ કેજરીવાલનું મોટું નિવેદન
દિલ્હીમાં રસીકરણના મુદ્દે આપ્યું મોટું નિવેદન
બધી જ રાજ્ય સરકારો પણ ચૂંટાયેલી છે : કેજરીવાલ
દિલ્હીની સ્થિતિ પર બોલતા સીએમ કેજરીવાલે કહ્યું હતું કે બધી જ રાજ્ય સરકારો પણ ચૂંટાઈને આવી છે, અને તેમની પાસે પણ પોતાના એક્સપર્ટ છે, ડોક્ટર્સ છે. સિનિયર અધિકારીઓ છે, ચૂંટાયેલા નેતાઓ છે અને બધી જ રાજ્ય સરકારો જવાબદાર સરકાર છે, પોતાના હિસાબે બધાનું રસીકરણ કરાવડાવે.
કેન્દ્ર સરકારે બધુ ટાઈટ કરી રાખ્યું છે
એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં સીએમ કેજરીવાલે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે નિયમોને ઘણું ટાઈટ કરી રાખ્યા છે, આટલું બધુ નિયંત્રણ શેના માટે છે? માત્ર વેક્સિનનું પ્રોડક્શન લિમિટેડ છે? તો તેના પર કેન્દ્ર પોતાનું નિયંત્રણ રાખે, બાકી બધુ રાજ્યો પર છોડી દેવું જોઈએ, ખાલી રાજ્યોની વચ્ચે બરાબર રીતે રસીનું વિતરણ થાય તે કેન્દ્ર સરકારે જોવું જોઈએ.
વધુમાં આ વિષય પર વાત કરતાં કેજરીવાલે કહ્યું હતું કે રાજ્ય સરકારો બધી ચૂંટાયેલી સરકારો છે, તેમની પાસ તંત્ર છે, નેતાઓ છે, અધિકારી અને ડોક્ટર્સ છે, તે પોતપોતાની રીતે હેલ્થ કેર સેન્ટર્સ ખોલશે, પોતાની રીતે લોકોને રસી લગાડશે, કારણ કે તે જનતાની નજીક છે, પ્રજા સીધો આક્ષેપ તો તેમની પર જ કરે છે અને જનતાની પ્રત્યે જવાબદારી રાજ્ય સરકારોની છે, માટે પ્રદેશ સરકારોને ખુલ્લી છૂટ આપી દેવી જોઈએ, ત્યારે જ રસીકરણને સફળ બનાવી શકાય છે.
પહેલા પોતાની ચિંતા કરી લે : સીએમ કેજરીવાલ
શું રાજ્યો સાથે કોઈ ભેદભાવ કરવામાં આવે છે કે કેમ? આ મુદ્દે કેજરીવાલે કહ્યું હતું કે હું આ મુદ્દે કોઈ પણ રાજનીતિમાં નાથી ઉતરવા માંગતો, અને તેમણે કહ્યું હતું કે અમારું પહેલાથી જ નક્કી છે કે અમે બધાંને સાથે લઈને જ ચાલશું, અમે કેન્દ્ર સરકારને પણ સાથે રાખીને ચાલ્યા, ભાજપ શાસિત નગર નિગમને પણ સાથે રાખ્યું, અને ધાર્મિક સંગઠનો અને એનજીઓને પણ સાથે રાખી છે.
અમે દિલ્હીના લોકો માટે જરૂર પડી તો રસીની ભીખ પણ માંગીશું
આ સિવાય તેમણે વધુમાં કહ્યું હતું કે દિલ્હીના લોકોના જીવની રક્ષા માટે અમે ગોઠણ ટેકવી દઇશું, હાથ જોડવા પડે તો તે પણ કરીશું, ક્યાંકથી ભીખ માંગીને રસી લાવવાની હશે, તો તે પણ કરીશું. હું પોતે પણ ભીખ માંગીને દિલ્હીની જનતા માટે વેક્સિન લઈ આવીશ, અને વધુમાં તેમણે કહ્યું હતું કે ભારત સરકાર દ્વારા બહારના ઘણા દેશોને રસી મોકલવામાં આવી છે અને હવે ભારતમાં પોતાના જ લોકો માટે રસીની અછત પડી રહી છે, આ યોગ્ય નથી, ભારત સરકારની જવાબદારી પોતાના લોકો પ્રત્યે પહેલા છે, પોતાના લોકોને વેકસિનેટ કરવાના છે, પછી ભલે બીજાને આપીએ, પહેલા પોતાની ચિંતા કરવાની જરૂર છે.