વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી ગુજરાતમાં કોંગ્રેસની નબળી સ્થિતિને જોતા અરવિંદ કેજરીવાલ સતત ગુજરાત ઉપર નજર રાખીને બેઠા છે.
દિલ્હી CM અરવિંદ કેજરીવાલ આજે સુરતની મુલાકાતે
સુરતમાં સસ્તી વીજળી મુદ્દે કરી શકે છે મોટી જાહેરાત
દિલ્હી, પંજાબ બાદ ગુજરાતમાં થઇ શકે છે સસ્તી વીજળીની જાહેરાત
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ તમામ રાજકીય પક્ષો પોતપોતાની રીતે ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. એવામાં દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતની મુલાકાતે આવશે. અહીંયા તેઓ સુરતમાં સસ્તી વીજળીને લઇને મોટી જાહેરાત કરી શકે છે. તમને જણાવી દઇએ કે, કેજરીવાલ આજે સુરતની મુલાકાતે છે. ત્યારે સુરતમાં તેઓ આજે પ્રેસ કોન્ફરન્સ યોજશે. જેમાં તેઓ દિલ્હી, પંજાબ બાદ હવે ગુજરાતમાં પણ સસ્તી વીજળીની જાહેરાત કરી શકે છે.
જુઓ શું છે અરવિંદ કેજરીવાલનો આજનો કાર્યક્રમ?
કેજરીવાલ આજ રોજ ગુજરાતના પ્રવાસે આવશે ત્યારે તેઓ આજે સુરતના ટાઉનહોલ ખાતે જઇને પ્રેસ કોન્ફરન્સ યોજશે. જેમાં કેજરીવાલ મીડિયા અને ગુજરાતની જનતા સમક્ષ સસ્તી વીજળી મુદ્દે મોટી જાહેરાત કરશે અને ત્યાર બાદ તેઓ સાંજના 4:30 કલાકે દિલ્હી જવા રવાના થશે.
દેશના સર્વશ્રેષ્ઠ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી @ArvindKejriwal નું સુરત એરપોર્ટ ખાતે 'આપ' ગુજરાતના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. pic.twitter.com/Qb4JQ9Ayuy
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) July 20, 2022
અરવિંદ કેજરીવાલની એક મહિનામાં બીજી વારની મુલાકાતને જોતા એ સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે, ગુજરાતમાં AAP તરફથી પૂરેપૂરો ભાર આપવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઇએ કે, દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ગઇકાલે સુરત આવી પહોંચ્યા હતા. સુરત એરપોર્ટ પર તેઓનું ભવ્ય સ્વાગત પણ કરાયું હતું.
અમે ગુજરાતને શું આપવાના છીએ તેની લોકોને જાણકારી આપીશું: કેજરીવાલ
અહીં તેઓએ સુરત એરપોર્ટ પર મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 'ગુજરાતમાં 27 વર્ષના ભાજપ શાસનથી પ્રજા પરેશાન થઈ ગઈ છે. અમે ગુજરાતમાં આવ્યા છીએ. અને આવતીકાલે ટાઉનહોલ અને પ્રેસ કોન્ફરન્સમાં અમે ગુજરાતને શું આપવાના છીએ તેની લોકોને જાણકારી આપીશું. ગુજરાતમાં જો આપ ની સરકાર બનશે તો શું એજન્ડા હશે તેની જાણકારી આપીશું. ગુજરાતની જનતાએ મને ખૂબ પ્રેમ આપ્યો છે.'