'AAPની સરકાર બનશે તો જૂની પેન્શન યોજના લાગુ કરાશે'
'31 જાન્યુઆરી પહેલા નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવશે'
ગુજરાત વિધાનસભા ચૂંટણીના મતદાનની તારીખનો કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયો છે. 1 અને 5 ડિસેમ્બર મતદાન થવાનું છે અને પરિણામ 8 ડિસેમ્બર જાહેર થવાનું છે. આ બધાની વચ્ચે અરવિંદ કેજરીવાલે શનિવારે એક મોટી જાહેરાત કરી છે કે, જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો જૂની પેન્શન યોજના લાગુ કરશે. ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરી રહેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સરકારી કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે. તેમણે જાહેરાત કરી છે કે, જો ગુજરાતમાં આપની સરકાર બનશે તો જૂની પેન્શન લાગુ કરવામાં આવશે. આમ આદમી પાર્ટીએ પંજાબ પણ આ બાબતે જાહેરાત કરી હતી અને 18 નવેમ્બરના રોજ જૂની પેન્શન યોજના લાગુ કરી દીધી છે. તમને જણાવી દઈએ જૂની પેન્શન યોજનાને લઈ કર્મચારીઓ આંદોલન કરી સરકાર સામે મોરચો માડ્યો હતો.
કેજરીવાલની કર્મચારીઓને ગેરંટી
સરકારી કર્મચારીની એક મુખ્ય માગણી હતી કે, જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે અને જેને લઈ કેજરીવાલે કહ્યું કે, ગુજરાતના બધા જ સરકારી કર્મચારીઓને ગેરન્ટી આપુ છું કે, જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો એક મહિનાની અંદર જ જુની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે. તેમણે કહ્યું કે અવું થશે તો જૂની પેન્શન યોજના બાબતે 31 જાન્યુઆરી પહેલા નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવશે. કહ્યું કે, પંજાબમાં જૂની પેન્શન યોજના લાગુ કરી છે.
કેજરીવાલનો કાર્યકર્તાઓને સૂચન
રાજ્યમાં ઘણા કર્મચારીઓ કોન્ટ્રાક્ટ પર કામ કરી રહ્યા છે. રાજ્ય પરિવહન વિભાગના કર્મચારીઓ, ડ્રાઇવર, કંડક્ટર, પોલીસ કર્મીઓ, હોમગાર્ડ્સ, અંગરક્ષકો, વીસી, આંગણવાડી કાર્યકરો, આશા વર્કરોને ઓછો પગાર મળે છે. તેમણે કહ્યું કે, હું તમામ કર્મચારીઓને મળ્યો છું અને તેમની સમસ્યાઓ જાણી છે તેમણે કહ્યું કે, હું તમામ કર્મચારીઓને વિનંતી કરું છું કે તમે અમારી સરકાર બનાવો. હું તમારી બધી સમસ્યાઓ સમાધાન લાવીશું તેની ખાતરી આપું છું. કેજરીવાલે પાર્ટીના કાર્યકર્તાઓ-પદાધિકારીઓને સૂચના આપતા કહ્યું કે ચૂંટણીમાં 5 દિવસ બાકી છે આ દિવસોમાં ફોન, વોટ્સએપ કે ઘરે-ઘરે જઈને વધુને વધુ લોકોને પરિવર્તનની વાત કરો અને આમ આદમી પાર્ટીની સરકાર બનાવવા માટે પ્રેરિક કરવા કહ્યુ્ં છે.
જૂની પેન્શન યોજના શુ છે લાભ
જૂની પેન્શન યોજનામાં નિવૃત્તિ સમયે કર્મચારીના પગારનો 50 ટકા પેન્શન તરીકે આપવામાં આવે છે. કારણ કે જૂની સ્કીમમાં સરકારી કર્મચારીના છેલ્લા બેઝિક પગાર અને મોંઘવારી દરના આંકડા અનુસાર પેન્શન નક્કી કરવામાં આવે છે. જૂની પેન્શન યોજનામાં ચુકવણી સરકારની તિજોરીમાંથી થાય છે. જૂની પેન્શન યોજનામાં પેન્શન માટે કર્મચારીઓના પગારમાંથી કોઈ પૈસા કાપવાની જરૂર નથી. જૂની પેન્શન યોજનામાં 20 લાખ રૂપિયા સુધીની ગ્રેચ્યુઇટીની રકમ મળતી હોય છે. નિવૃત્ત કર્મચારીના મૃત્યુ પર તેના પરિવારના સભ્યોને પેન્શનની રકમ મળે છે. જૂની પેન્શન યોજનામાં જનરલ પ્રોવિડન્ટ ફંડ એટલે કે GPFની જોગવાઈ છે. સૌથી મહત્વની બાબત એ છે કે જૂની પેન્શન યોજનામાં દર 6 મહિના પછી મળનારી ડીએની જોગવાઈ છે.