ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે રાજકોટમાં વધુ એક ગેરંટી આપી છે. સાથે તેમણે ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે.
વિધાનસભાની ચૂંટણી પહેલા AAPના નેતાઓ સૌરાષ્ટ્રમાં સક્રિય
રાજકોટમાં અરવિંદ કેજરીવાલે આપી વધુ એક ગેરંટી
AAPની સરકાર બનવા પર ગાયની રખેવાડી માટે 40 રૂપિયા અપાશેઃ કેજરીવાલ
વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ કેન્દ્રીય નેતાઓ ગુજરાતમાં પ્રચાર અર્થે આવી રહ્યા છે. આ વખતે ગુજરાતમાં AAPની એન્ટ્રીથી ત્રિપાંખિયો ચૂંટણી જંગ થવાનો છે ત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ દર સપ્તાહે ગુજરાત આવી ગેરંટીઓ પર ગેરંટીનો વરસાદ કરી રહ્યા છે.
દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ અને પંજાબના CM ભગવંત માન ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ત્યારે આજે રાજકોટના નીલ સિટી રિસોર્ટ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વધુ એક ગેરંટી આપી હતી.
ગાય સાથે ગુજરાતમાં દુરવ્યહાર થાય છેઃ કેજરીવાલ
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું હતું કે, 'ગુજરાતમાં ગાય સાથે દુરવ્યવહાર થાય છે. મને અત્યાર સુધીમાં અનેક લોકોએ ફરિયાદો કરી છે. જો ગુજરાતમાં અમારી સરકાર બનશે તો ગાયની રખેવાળી કરવામાં માટે ગાયદીઠ 40 રૂપિયા પ્રતિ દિવસ આપવામાં આવશે.'
દરેક જિલ્લા મથકો એ પાંજરાપોળ બનશેઃ કેજરીવાલ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી દરેક જિલ્લામાં પાંજરાપોળ બનાવશે, ગાયો રસ્તા ઉપર ન આવે તેવા પ્રયાસો અમારી સરકાર કરશે. બીજી એક મહત્વપૂર્ણ વાત આજે કરવી છે, આઈબીનો એક રિપોર્ટ આવ્યો છે જેમાં જણાવામાં આવ્યું છે કે જો ગુજરાતમાં આજે ચૂંટણી યોજાય તો આજની તારીખમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે. જ્યારથી આ રિપોર્ટ આવ્યો છે ત્યારથી ભારતીય જનતા પાર્ટી બોખલાઈ ગઈ છે.
ભાજપ, કોંગ્રેસ મને ગાળો આપે છે તેનું કારણ છે IB રિપોર્ટઃ કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, આ રિપોર્ટ આવ્યા બાદ ભાજપ અને કોંગ્રેસ પાર્ટી બંને એક થઈ ગઈ છે, બંધ બારણે મીટિંગ કરી રહી છે. ભાજપ, કોંગ્રેસ મને ગાળો આપે છે તેનું કારણ IB રિપોર્ટ છે. ભાજપનો પૂરો પ્રયાસ છે કે કોઈપણ સ્થિતિમાં કોંગ્રેસને મજબૂત બનાવવામાં આવે જેથી એન્ટી બીજેપી મતો વહેચાઈ જાય. કોંગ્રેસને આ જવાબદારી સોંપવામાં આવી છે કે આમ આદમી પાર્ટીના જેટલા મત લઈ શકો એટલા લઈ લો. હું ગુજરાતના લોકોને કહેવા માંગુ છું કે બચીને રહો, સાવધાન રહો તમે કોંગ્રેસને વોટ આપશો તો ભાજપ જીતશે.
ગુજરાતમાં કોંગ્રેસની 10થી વધુ બેઠકો નથી આવી રહીઃ કેજરીવાલ
તેમણે જણાવ્યું હતું કે, આ ચૂંટણીમાં કોંગ્રેસની 10 કરતા વધારે સીટો નથી આવી રહી અને 10 સીટના ધારાસભ્યો પણ ચૂંટણી બાદ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે. ગુજરાતીઓ પરિવર્તન ઈચ્છે છે.
AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રીશ્રી અરવિંદ કેજરીવાલ અને Punjab CM ભગવંત માનની રાજકોટ ખાતે મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ #LIVEhttps://t.co/liC2Pvuv27
કચ્છના ગાંધીધામથી અરવિંદ કેજરીવાલની વધુ એક ગેરંટી
અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે કચ્છના ગાંધીધામથી જાહેરસભાને સંબોધતા કેજરીવાલે મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે, 'મને આપ સૌના આશીર્વાદ મળ્યા છે એટલે ગુજરાતમાં હવે પરિવર્તન આવીને જ રહેશે. હું અહીંથી એલાન કરું છું કે, ડિસેમ્બરમાં સરકાર બનશે, 1 માર્ચથી વીજળીનું બિલ ઝીરો આવશે. 18 વર્ષથી ઉપરની તમામ મહિલાઓના એકાઉન્ટમાં દર મહિને 1000 રૂ. આપીશું.'
કચ્છના દરેક ગામડાઓમાં સ્કૂલો ખોલીશું: કેજરીવાલ
વધુમાં એલાન કરતા કહ્યું હતું કે, 'કચ્છના દરેક ગામડાઓમાં સ્કૂલો ખોલવામાં આવશે. તમારા છોકરાઓને સારું શિક્ષણ આપીશું, તમારા બાળકો મોટા થઇને તમારી ગરીબી દૂર કરશે, તમારું નામ રોશન કરશે.' આ સિવાય વ્યક્તિની સારવારને લઇને કહ્યું હતું કે, 'દિલ્હીમાં અમે સરકારી હોસ્પિટલોમાં સારવાર પણ મફત કરી દીધી છે. હું અહીંથી એલાન કરું છું કે કચ્છના દરેક જિલ્લાની અંદર એક મોટી સરકારી હોસ્પિટલ ખોલીશું. કોઇને પણ પ્રાઇવેટમાં જવાની જરૂર નહીં પડે. તમારી તમામ સારવારનો ખર્ચ અમે મફત કરી દઇશું.'
મને રાજનીતિ કરતા નથી આવડતીઃ CM કેજરીવાલ
વધુમાં કહ્યું કે, 'હું છેલ્લા કેટલાક મહિનાથી ગુજરાત આવું છું, મને ગુજરાત તરફથી ખૂબ જ પ્રેમ મળ્યો છે. હું બસ એટલું જ કહી શકીશ કે જ્યારે ડિસેમ્બર બાદ અમારી સરકાર બનશે ત્યારે હું તમારું એક-એક કામ કરી આપીશ, જે અમે કહીએ છીએ. મને રાજનીતિ કરતા નથી આવડતી. હું એક સામાન્ય માણસ છું. ખબર નહીં પણ ઉપરવાળાની કૃપાથી હું દિલ્હીનો CM બની ગયો. મને ભ્રષ્ટાચાર કરતા નથી આવડતો, મને માત્ર કામ કરતા જ આવડે છે.'