વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં તમામ રાજકીય પક્ષોના કેન્દ્રીય નેતાઓના ધામા વધી ગયા છે. ત્યારે આજે પણ કેજરીવાલ, મનીષ સિસોદિયા, રાઘવ ચઢ્ઢા, ભગવંત માન અને સ્મૃતિ ઇરાની ગુજરાતના પ્રવાસે છે.
કચ્છના ગાંધીધામથી અરવિંદ કેજરીવાલની વધુ એક ગેરંટી
અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન છે કચ્છના પ્રવાસે
તમામ મહિલાઓને દર મહિને રૂ. 1000 આપીશું: કેજરીવાલ
દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ અને પંજાબના CM ભગવંત માન આજે કચ્છના પ્રવાસે છે. ત્યારે તેઓએ કચ્છના ગાંધીધામથી જાહેરસભાને સંબોધતા કેજરીવાલે મોટી જાહેરાત કરતા જણાવ્યું કે, 'મને આપ સૌના આશીર્વાદ મળ્યા છે એટલે ગુજરાતમાં હવે પરિવર્તન આવીને જ રહેશે. હું અહીંથી એલાન કરું છું કે, ડિસેમ્બરમાં સરકાર બનશે, 1 માર્ચથી વીજળીનું બિલ ઝીરો આવશે. 18 વર્ષથી ઉપરની તમામ મહિલાઓના એકાઉન્ટમાં દર મહિને 1000 રૂ. આપીશું.'
કચ્છના દરેક ગામડાઓમાં સ્કૂલો ખોલીશું, દરેક જિલ્લાની અંદર એક સરકારી હોસ્પિટલ ખોલીશું: કેજરીવાલ
વધુમાં એલાન કરતા કહ્યું કે, 'કચ્છના દરેક ગામડાઓમાં સ્કૂલો ખોલવામાં આવશે. તમારા છોકરાઓને સારું શિક્ષણ આપીશું, તમારા બાળકો મોટા થઇને તમારી ગરીબી દૂર કરશે, તમારું નામ રોશન કરશે.' આ સિવાય વ્યક્તિની સારવારને લઇને કહ્યું કે, 'દિલ્હીમાં અમે સરકારી હોસ્પિટલોમાં સારવાર પણ મફત કરી દીધી છે. હું અહીંથી એલાન કરું છું કે કચ્છના દરેક જિલ્લાની અંદર એક મોટી સરકારી હોસ્પિટલ ખોલીશું. કોઇને પણ પ્રાઇવેટમાં જવાની જરૂર નહીં પડે. તમારી તમામ સારવારનો ખર્ચ અમે મફત કરી દઇશું.'
હાલ દિલ્હી અને પંજાબમાં વીજબિલ ઝીરો આવે છે: કેજરીવાલ
કેજરીવાલે ઝીરો વીજબિલને લઇને જાહેરાત કરતા કહ્યું કે, 'અમે દિલ્હીમાં તમામ વીજબીલ ઝીરો કરી દીધા છે. પંજાબમાં પણ તમામના વીજબિલ ઝીરો કરી દીધા. દિલ્હી અને પંજાબના તમામના જૂના બિલ પણ માફ કરી દીધા છે. આથી હવે દિલ્હી અને પંજાબમાં વીજબિલ ઝીરો આવે છે.'
વધુમાં કહ્યું કે, 'હું છેલ્લા કેટલાક મહિનાથી ગુજરાત આવું છું, મને ગુજરાત તરફથી ખૂબ જ પ્રેમ મળ્યો છે. હું બસ એટલું જ કહી શકીશ કે જ્યારે ડિસેમ્બર બાદ અમારી સરકાર બનશે ત્યારે હું તમારું એક-એક કામ કરી આપીશ, જે અમે કહીએ છીએ. મને રાજનીતિ કરતા નથી આવડતી. હું એક સામાન્ય માણસ છું. ખબર નહીં પણ ઉપરવાળાની કૃપાથી હું દિલ્હીનો CM બની ગયો.'
વધુમાં કહ્યું કે, 'મને ભ્રષ્ટાચાર કરતા નથી આવડતો, મને માત્ર કામ કરતા જ આવડે છે. મારી પાસેથી તમે સ્કૂલ બનાવડાવો, હું સ્કૂલ બનાવી દઇશ. મારી જોડેથી તમે હોસ્પિટલ બનાવડાવી દો, હું હોસ્પિટલ બનાવી દઇશ. હું સાત વર્ષથી દિલ્હીનો મુખ્યમંત્રી છું, 6 મહિનાથી ભગવંત માન પંજાબના મુખ્યમંત્રી છે, અમે જનતાની સેવા કરી છે, અમે પરેશાન લોકોની મુશ્કેલી દૂર કરી છે, અમે રાષ્ટ્ર નિર્માણનું કામ કરાવ્યું છે.'