ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખી કેજરીવાલ દર અઠવાડિયે ગુજરાતનો પ્રવાસ ખેડી રહ્યા છે અને ગેરંટી રૂપે એક બાદ એક મહત્વની જાહેરાતો કરી રહ્યા છે.
AAPની વધુ એક ગેરન્ટી
સરકાર બનતા જ કરશે મોટી ભરતી
દિલ્લીના CM કેજરીવાલનું નિવેદન
ગુજરાત વિધાન સભાની ચૂંટણી આવી રહી છે ત્યારે હવે ગુજરાતમાં મોટા નેતાઓના આટાફેરા વધી રહ્યા છે. તેવામાં આજે AAP ના બે મુખ્યમંત્રી ગુજરાત પ્રવાસે આવ્યા છે. અરવિંદ કેજરીવાલ અને ભગવત માન આજે ગુજરાત પ્રવાસે આવ્યા છે. આજે અમદાવાદમાં 3 અલગ અલગ જગ્યાઓ પર સંવાદ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં બેરોજગારીને લઈ સરકાર પર આકારા પ્રહાર કર્યા હતા.
કેજરીવાલે ગુજરાતમાં સરકારી ભરતીના કાર્યક્રમની આપી ગેરંટી
કેજરીવાલે ગુજરાતમાં ભરતીને લઇને જાહેરાત કરતાં કહ્યું કે ગુજરાતમાં સરકાર બનતા જ મોટી ભરતી કરાશે. જૂલાઇ મહિના સુધી તલાટીની ભરતી થઇ જશે. TAT અને ટેટ-2ની ભરતી મે મહિનામાં કરીશું. ઉમેદવારોને પસંદગીના જિલ્લામાં નોકરી આપીશું. PSI-PIની ભરતી નવેમ્બરમાં શરૂ થશે. ડિસેમ્બરમાં નોકરી આપી દઇશું. તમામ ભરતીમાં વેઈટિંગ લિસ્ટ બનાવીશું જે એક વર્ષ માટે ચાલુ રહેશે. તમામ સરકારી પરીક્ષા આપવા જનાર ઉમેદવાર માટે સરકારી બસ ફ્રીની વ્યવસ્થા પણ કરશે. ગુજરાતમા 80% પ્રાઈવેટ નોકરીઓ ગુજરાતના બાળકો માટે રીઝર્વ રાખવામા આવશે.
અમારી સરકાર બનતા, કોઈપણ યુવાન સરકારી પરીક્ષા આપવા જશે, ત્યારે બસનુ ભાડું સંપૂર્ણ ફ્રી રહેશે. સરકારી પરીક્ષાઓ ફક્ત ચૂંટણીના સમયે નહી, પરંતુ અમારી સરકાર બનતાની સાથે લેવામા આવશે. ગુજરાતમા 80% પ્રાઈવેટ નોકરીઓ ગુજરાતના બાળકો માટે રીઝર્વ રાખવામા આવશે.#AKSanvadWithGujaratpic.twitter.com/xRG1hKa0ds
કર્મચારીઓ આંદોલન કરીને બદલાવ ઈચ્છી રહ્યા છેઃ કેજરીવાલ
કેજરીવાલે કહ્યું હતું કે, ફોરેસ્ટ ગાર્ડ, પોલીસ, પૂર્વ સૈનિકો, કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે. કર્મચારીઓ આંદોલન કરીને બદલાવ ઈચ્છી રહ્યા છે. એવુ લાગે છે કે આખુ ગુજરાત રસ્તા પર આવી ગયું છે. અમે રાજ્યના કર્મચારીઓ દુખી થયા છીએ, અમને એક મોકો આપો. કોઇ પણ રાજ્યમા સરકાર લાવી કે હરાવી તે કર્મચારીઓના હાથમાં છે. તેમણે ગેરંટી આપતા કહ્યું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે.
ખેડૂતો માટે કરી હતી જાહેરાતો
આ પહેલા તેમણે ખેડૂતો માટે કેટલીક જાહેરાતો કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, AAPની સરકાર બનશે તો બે લાખનું ખેડૂતોનું દેવુ માફ કરાશે. AAP સરકાર 5 પાકોને MSPથી ખરીદી કરશે. ખેડૂતોને દિવસે 12 કલાક વીજળી આપવામાં આવશે. જમીનના તમામ સર્વે રદ્દ કરીને ખેડૂતોને સાથે રાખી સર્વે કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પાક નિષ્ફળ જવાથી ખેડૂતોને 20 હજાર પ્રતિ એકર વળતર અપાશે. નર્મદાનું પાણી ખેડૂતોને જોઈએ તેમ કોઈ બાંધછોડ વગર આપવામાં આવશે.
વેપારીઓને રીઝવવા લ્હાણીઓનો વરસાદ
આ અગાઉ AAP સંયોજક અરવિંદ કેજરીવાલે વેપારીઓ માટે લહાણીનો વરસાદ કર્યો હતો.ગેરંટી આપતા કહ્યું હતું કે વેપારી માટે ભયનું વાતાવરણ નાબૂદ કરવામાં આવશે. ગુજરાતના દરેક વેપારીને યોગ્ય માન-સન્માન અપાશે.રેડ રાજ અને ભ્રષ્ટાચારમાંથી મુક્તિ આપી VAT અમ્નેસ્ટી સ્કીમ લાવવામાં આવશે. 6 મહિનાની અંદર VAT રીફંડ આપવામાં આવશે. વેપારીઓને સરકારમાં ભાગીદાર બનાવવામાં આવશે. દરેક વિસ્તારમાંથી પ્રતિનિધિત્વ આપી એડવાઇઝરી બોર્ડ બનાવીશું
સરકાર બની તો 18 વર્ષ ઉપરની તમામ મહિલાઓને અપાશે 1 હજાર રૂપિયા: કેજરીવાલ
મહિલાઓ માટે કેજરીવાલે કહ્યું હતું કે અમે જનતાના મુદ્દાની વાત કરીએ છીએ, રાજ્યમાં પ્રથમ વખત જનતાની સરકાર બનશે,અમે જનતાની વચ્ચે ગયા છીએ. અમારી પહેલી ગેરંટી મફત વીજળીની છે. અમારી સરકાર બનશે તો 10 લાખ નોકરીઓ આપીશું. અત્યાર સુધી 4 ગેરંટી આપી છે. આજે પાંચમી ગેરંટીની જાહેરાત કરું છું. 18 વર્ષથી ઉપરની તમામ મહિલાઓને દર મહિને 1 હજાર રૂપિયા આપીશું, કોલેજ જતી વિદ્યાર્થીઓ પાસે જવા માટેનું ભાડૂ નથી હોતું, જે મહિલા ઇચ્છે તેને 1 હજાર રૂપિયા આપીશું. આનાથી અર્થ વ્યવસ્થામાં મોટો ફેર પડશે, લોકોના હાથમાં પૈસા હશે તો ઇકોનોમીમાં વધારો થશે.મહત્વનું છે કે આ પહેલા કેજરીવાલ 300 યુનિટ ફ્રી વીજળી, રોજગારીલક્ષી જાહેરાત તેમજ આદિવાસીઓના હક્કોને લઈ જાહેરાત કરી ચૂક્યા છે.