દિલ્હીમાં કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે ત્યારે હવે કેજરીવાલ સરકાર ઍક્શનમાં આવી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે.
કેજરીવાલે લીધો મહત્વનો નિર્ણય
કોવિડને નાથવા લેવાયો નિર્ણય
દિલ્હી સરકાર એક્શન મોડમાં.
કોરોનાને નાથવા કેજરીવાલે બોલાવેલી આ બેઠકમાં આરોગ્ય પ્રધાન, મુખ્ય સચિવ અને આરોગ્ય મંત્રાલયના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પછી, પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન સીએમ કેજરીવાલે કહ્યું કે, આગામી દિવસોમાં કોરોનાના ટેસ્ટ ડબલ કરવામાં આવશે.
સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાના નવા કેસો વધી ગયા છે. આજે 1693 નવા કેસ નોંધાયા છે. કોરોના દર્દીઓના રિકવરી દરમાં વધારો થયો છે અને મૃત્યુઆંક ઘટતો જાય છે. એક સમય હતો જ્યારે 100 કરતા પણ વધુ મૃત્યુ થતાં હતા, આજે 20 કરતા ઓછા મૃત્યુ થઈ રહ્યા છે. 3700 બેડમાં દિલ્હીના 2900 દર્દીઓ દાખલ છે.
સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે અમે કોરોના સામે લડવા તૈયાર છીએ. અમારી પાસે 14 હજારથી વધુ બેડ છે, જેમાં 10 હજારથી વધુ બેડ ખાલી છે. એમ્બ્યુલન્સ પણ પૂરતી છે. કેસ વધી રહ્યા છે. તેને પહોંચી વળવા માટે અમે ટેસ્ટ વધારવાનો નિર્ણય કર્યો છે. અમે એક સપ્તાહની અંદર 40,000 ટેસ્ટ પ્રતિ દિન કરીશું.
સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે કેટલાક કોરોના સામેની લડત જીત્યા બાદ ઘરે પરત ફર્યા છે, પરંતુ તેમના લક્ષણો નથી જઈ રહ્યાં. શ્વાસ લેવામાં મુશ્કેલી ચાલુ રહે છે. સરકારે નિર્ણય કર્યો છે કે આવા લોકોને ઓક્સિમીટર આપવામાં આવશે. જો જરૂર પડે તો, તેમને ઓક્સિજન સિલિન્ડર પણ આપવામાં આવશે. આનાથી તેમને ફરીથી હોસ્પિટલમાં આવવાની જરૂર રહેશે નહીં.
દિલ્હીમાં દર્દીઓની કુલ સંખ્યા 1 લાખ 64 હજારને વટાવી ગઈ છે, જેમાંથી 11 હજાર 998 સક્રિય કેસ છે. છેલ્લા 24 કલાકમાં 1155 દર્દીઓ સાજા થયા છે. આ રીતે, અત્યાર સુધી 1 લાખ 47 હજાર 743 દર્દીઓ સાજા થયા છે.
મંગળવારે દિલ્હીમાં 17 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ રીતે, એકલા દિલ્હીમાં 4330 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે, ભારતમાં અત્યાર સુધીમાં 32 લાખથી વધુ કોરોના દર્દીઓની પુષ્ટિ થઈ છે, જેમાં 59 હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને 24 લાખથી વધુ લોકો સાજા થયા છે.