ભારતના ઘણા રાજ્યોમાં કોરોના વાયરસના કેસ ફરી વધી રહ્યા છે ત્યારે અરુણાચલ પ્રદેશમાં કોરોના વાયરસના એક્ટિવ કેસ શૂન્ય થયા છે.
અરુણાચલ પ્રદેશમાં એક્ટિવ કેસ ઝીરો
છેલ્લા 24 કલાકમાં એક પણ નવા કેસ નહીં
બીજી તરફ દેશના બીજા રાજ્યોમાં કેસમાં વધારો
કોરોના વાયરસની નવી લહેર ભારતમાં જોવા મળી રહી છે જેમાં ધીમે ધીમે કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે એક રાહતના સમાચાર પણ સામે આવ્યા છે. દેશના પૂર્વોત્તરના રાજ્ય અરુણાચલ પ્રદેશમાં કોરોના વાયરસના એક્ટિવ કેસની સંખ્યા ઘટીને શૂન્ય થઈ ગઈ છે. રાજ્યમાં કોરોના વાયરસના એક્ટિવ શૂન્ય થઈ ગઈ છે અને સ્વાસ્થ્ય અધિકારીએ કહ્યું કે કોરોના વાયરસના ત્રણ એક્ટિવ કેસ હતા, જેમાં ત્રણેય દર્દીઑએ કોરોનાને મ્હાત આપી દેતા હવે સંખ્યા શૂન્ય થઈ ગઈ છે.
અરુણાચલમાં મહામારી સામે મહાજંગ
અરુણાચલ પ્રદેશ રાજ્યમાં કોરોના વાયરસના કુલ 16,836 કેસ સામે આવ્યા હતા જેમાં 16,780 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી દીધી છે. સ્ટેટ સર્વિલાન્સ ઓફિસર લોબસાંગે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં એક પણ નવો કેસ સામે આવ્યો નથી. અરુણાચલ પ્રદેશમાં કોરોના વાયરસના કારણે 56 લોકોના મોત થઈ ચૂક્યા છે તથા રિકવરી રેટ 99.66 ટકા રહ્યો છે. આ સિવાય પોઝિટીવીટી રેટ જીરો થઈ ગયો છે. શનિવારે 312 સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી કોરોના વાયરસના એક પણ સામે આવ્યા નથી.
અન્ય રાજ્યોમાં ફરી વધી રહી છે ચિંતા
બીજી તરફ કોરોના મહામારી સામે વેક્સિનેશન માટે ખૂબ તેજીથી કામ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી 32,325 લોકોને કોરોના વાયરસની રસી આપી દેવામાં આવી છે. નોંધનીય છે કે ભારતમાં કોરોના વાયરસના કેસમાં ફરીથી વધારો જોવા મળ્યો છે. સતત ચોથા દિવસે 16 હજારથી વધારે કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, તમિલનાડુ અને ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં વધારો જોવા મળ્યો છે.