9 ઓગસ્ટના રોજ શ્વાસ લેવામાં મુશ્કેલી અને ફેફસાંમાં પાણી ભરાવાની ફરિયાદને પગલે પૂર્વ કેન્દ્રીય નાણાંમંત્રી અરૂણ જેટલીને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં 15 દિવસની સારવાર બાદ આજે તેમનું નિધન થયું છે. અરૂણ જેટલી મોદી સરકારની પહેલી ટર્મમાં સૌથી પાવરફુલ નેતાઓમાંના એક હતા. તેઓ કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિમાં વડાપ્રધાન મોદીના ટ્રબલ શૂટર બનતા હતા.
અરૂણ જેટલીનો ગુજરાત અને મોદી સાથે લગભગ બે દાયકાથી ગાઢ સંબંધ રહ્યો છે. આ સિવાય અરૂણ જેટલી ગુજરાતના વેવાઈ પણ છે. જેટલીના પત્નીની ભત્રીજીના લગ્ન ગુજરાતમાં થયા છે. ભાજપના નેતા પરિન્દુ ભગત ઉર્ફે કાકુભાઇ અને જેટલી કૌટુંબીક વેવાઇ થાય.
18 વર્ષ સુધી રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું
જેટલીનો ગુજરાત સાથે મહત્વનો નાતો રહ્યો છે. રાજ્ય સભામાં સૌથી પહેલા તેઓ ગુજરાતમાંથી ચૂંટાયા હતા. 2002માં સૌથી પહેલા રાજ્યસભામાં સાંસદ ગુજરાતથી રહ્યા હતા.
2002થી 2018 સુધી ત્રણ ટર્મ ગુજરાતથી રાજ્યસભાના સાંસદ રહ્યા હતા. અને સાથે જ ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
2002માં મોદીની પડખે મજબૂતાઈથી ઉભા રહ્યા
માત્ર એટલું જ નહીં, વર્ષ 2002માં થયેલા ગોધરાકાંડ બાદ મોદીને ગુજરાતના મુખ્યમંત્રી પદેથી હટાવવાની લગભગ તૈયારીઓ થઈ ગઈ હતી. પરંતુ આ સમયે અડવાણીની સાથે અરૂણ જેટલી પણ તેમના સમર્થનમાં મજબૂતાઈથી ઉભા રહ્યા અને મોદીનું મુખ્યમંત્રી પદ પણ બચી ગયું હતું. આ ઘટના બાદ મોદી અને અરૂણ જેટલી એકબીજાની વધુ નજીક આવ્યા.
મોદી-શાહને કાયદાકીય મદદ કરી
વર્ષ 2002થી 2013 સુધીમાં ગુજરાતમાં અનેક ઘટનાઓ બની. જેમાં સોહરાબુદ્દીન અને ઈશરતજહાં ફેક એન્કાઉન્ટર કેસમાં પણ જેટલી અમિત શાહ અને મોદીની પડખે રહ્યાં. માત્ર એટલું જ નહીં, મીડિયામાં પણ તેઓ અનેકવાર મોદી-શાહનો બચાવ કરતા જોવા મળ્યા. તેની સાથે સાથે કાયદાકીય મદદ પણ કરી.
મોદી-શાહને ફસાવવાનો આરોપ મુકી તત્કાલીન પીએમ મનમોહન સિંહને પત્ર લખ્યો
મોદી અને શાહના સપોર્ટમાં જેટલીએ 27 સપ્ટેમ્બર 2013ના રોજ તત્કાલીન વડાપ્રધાન ડૉ.મનમોહનસિંહને પત્ર લખ્યો હતો. આ પત્રમાં અરૂણ જેટલીએ તત્કાલીન યુપીએ સરકાર પર તપાસ એજન્સીનો દૂરઉપયોગ કરીને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહને ફસાવવાનો આરોપ લગાવ્યો હતો. આ પત્રમાં જેટલીએ હરેન પંડ્યા હત્યા કેસથી લઈ સોહરાબુદ્દીન અને ઈશરત જહાં ફેક એન્કાઉન્ટર કેસ દ્વારા બીજેપીના સંબંધિત નેતાઓને ફસાવવાનો આરોપ મુક્યો હતો.
2013માં જેટલીએ મોદીના બચાવમાં તત્કાલિન વડાપ્રધાને પત્ર લખ્યો
વર્ષ 2014માં જ્યારે નરેન્દ્ર મોદીએ ગુજરાતની ગાદી છોડીને દિલ્હીની ગાદી સંભાળી ત્યારે દિલ્હી માટે તેઓ આઉટસાઈડર હતા. મોદી ભલે ગુજરાતના ત્રણ ત્રણવાર મુખ્યમંત્રી રહી ચૂક્યા હોય પણ તેઓ એક વાત સારી રીતે જાણતા હતા કે, દિલ્હી ગાંધીનગર નથી. અહીંની રીત-ભાત અને રંગ કંઈક અલજ છે. જેથી મોદીને પોતાની કેબિનેટમાં એક એવા વ્યક્તિની શોધ હતી જે દિલ્હી અને લુટિયન્સ ઝોનની રગેરગથી વાકેફ હોય. આ શોધ અરૂણ જેટલીમાં પુરી થઈ હતી. જેટલી એક માત્ર એવા વ્યક્તિ હતા જેઓ અમિત શાહ બાદ મોદીના સૌથી વધુ વિશ્વાસુ હતા.