પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ભવ્ય શપથગ્રહણ સમારોહ યોજાઈ ગયો. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે જૂના અને નવા ચહેરાઓએ મંત્રી તરીકેનાં શપથ લીધાં. પરંતુ આ શપથગ્રહણ સમારોહમાં નરેન્દ્ર મોદીનાં એક સમયનાં ચાણક્ય કહેવાતા અને ખુદ પ્રધાનમંત્રી જેને `અમૂલ્ય રત્ન' ઓળખાવતા હતા તેવા અરુણ જેટલીની ખોટ સૌ કોઈને સાલી ગઈ. કેટલાંય ઐતિહાસિક નિર્ણયોનાં સાક્ષી રહી ચૂકેલા પૂર્વ નાણામંત્રી અરુણ જેટલી નવા મંત્રીમંડળમાં સામેલ થઈ શક્યા નથી. તો એનડીએ પાર્ટ-2 સરકારમાં પીએમનાં એક અમૂલ્ય રત્નની કેવી સાલશે ખોટ જોઈએ આ અહેવાલમાં.
આખરે નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં એનડીએ પાર્ટ-2ની સરકારની તાજપોશીનો ભવ્ય સમારંભ ઝાકમઝોળ રીતે ઉજવાઈ ગયો. જેમાં અનેક રાષ્ટ્રાધ્યક્ષો અને મહિમાવંત હસ્તીઓની હાજરીમાં પીએમ સાથે અનેક મંત્રીઓએ હોદ્દા અને ગુપ્તતાનાં સોગંધ લીધા. પરંતુ આ બધામાં અમિત શાહ પહેલાનાં એક સમયનાં મોદીનાં ચાણક્ય તરીકે ઓળખાતા અરુણ જેટલી ક્યાંય જોવા ન મળ્યાં. પીએમ મોદીની ખૂબ નજીક રહી ચૂકેલા અરુણ જેટલી પોતાની નાદુરસ્ત તબિયતને કારણે નતો સરકારમાં સામેલ થઈ શક્યા કે ન તો શપથગ્રહણ સમારોહમાં હાજર રહી શક્યાં.
ભારતનાં રાજકીય મંચ પર સાડાચાર દાયકાઓ સુધી એક પ્રખર અને વાકપટુ નેતા તરીકે તથા કુશળ રણનીતિકાર તરીકે છવાયેલા રહેલા અરુણ જેટલીની કમી નવા મંત્રીમંડળમાં જરૂર ખટકશે. તેમની ભૂમિકા ભલે હજુ સમાપ્ત ન થઈ હોય પરંતુ સ્વાસ્થ્યની સમસ્યાએ તેમને પડદા પાછળ જરૂરથી હડસેલી દીધાં છે. પોતાનાં કાર્યકાળમાં અનેક ઐતિહાસિક નિર્ણયોનાં સાક્ષી રહેલા અરુણ જેટલીનો એક નાણામંત્રી તરીકે અદભૂત વારસો રહ્યો છે. તેમના કાર્યકાળમાં દેશને ઘણી આર્થિક સફળતાનો સ્વાદ પણ ચાખવા મળ્યો તો કેટલાંક મોરચે તેઓ નિષ્ફળ પણ રહ્યાં. તેમનાં કાર્યકાળમાં નોટબંધી, જીએસટી જેવાં અનેક ઐતિહાસિક નિર્ણયો લેવાયાં.
અરુણ જેટલી પોતાનાં સુદીર્ઘ અને બહુઆયામી અનુભવો સાથે કેન્દ્રમાં મોદીની પ્રથમ સરકાર 2014થી 2019ના ગાળા દરમિયાન સરકારનો મુખ્ય ચહેરો બની રહ્યાં હતાં. સરકારની નીતિઓ અને યોજનાઓની પ્રશંસા કરવાની હોય કે વિપક્ષની ટીકાનાં તીર ઝીલવાના હોય દરેક મોરચે જેટલી આગળ જોવાં મળતા. જેટલી મોદી સરકારનાં સંકટમોચક બની રહેતા હતાં. પેટ્રોલનાં ભાવમાં ભડકો થતો હોય કે રાફેલ સોદા અને જીએસટીની જટિલતા સરકારને ગુંચવતી હોય.
જેટલીએ આ બાબતોને સામાન્ય લોકોની ભાષમાં સરળ શબ્દોમાં રજુ કરીને સરકારનો બચાવ કર્યો. તેમના કાર્યકાળમાં જીએસટી,નોટબંધી. ઈન્સોલવન્સી અને બેંકરપ્ટસી કોડ, જનધન, કેશ ટ્રાન્સફર જેવાં મહત્વનાં પગલા ઉઠાવાયા. બેંકોના બોર્ડમાં સુધારાની દિશામાં પહેલ. રાજકોષીય ખાદ્યને જીડીપીનાં 3 ટકા સુધી લાવવામાં સફળતા. છૂટક મોંઘવારી દર 7.72 ટકાથી ઘટાડીને 2.92 ટકા સુધી લાવવમાં સફળતા અને બેંકોની એનપીએ ઘટાડવામાં સફળતા અને યોજનાઓનો લાભ આધારના માધ્યમથી લાભાર્થી સુધી પહોંચાડવાની પહેલ આ બધાનો જશ એક નાણાંમંત્રી તરીકે અરુણ જેટલીને ફાળે જાય છે.
તો બીજી તરફ અર્થતંત્રની ગતિને ધીમી કરનારી ખામીઓ પણ તેમનાં જ ખાતામાં લખાયેલી છે. એપીએનો બોજ હળવો કરવામાં સફળતા ન મળી. એનબીએફસીનું ઋણ સંકટ હળવું કરવામાં નિષ્ફળતા. એફઆરડઆઈ બિલને પરત ખેંચી લેવી તે નાણામંત્રી તરીકે શરમિંદગીની વાત બની રહી. તેઓ જ્યારે સરકારમાં આવ્યા ત્યારે એક તેજ અર્થ વ્યવસ્થાનો વારસો મળ્યો હતો પરંત હવે તેઓ એક સુસ્ત અર્થવ્યવસ્થા છોડી રહ્યાં છે. જો કે તેમાં અનેક આંતરરાષ્ટ્રીય કારણો જવાબદાર હતા.
જો કે, હાલ તેમણે સ્વાસ્થ્યનાં કારણોસર નવી સરકારમાં કોઈ જવાબદારી સ્વીકારવાનો વિનમ્ર સ્વીકાર કરી દીધો છે. આ માટે તેમણે પીએમને પત્ર લખીને પણ વિનંતી કરી હતી. અને મૌખિક રીતે પ્રધાનમંત્રીને પણ પોતાની સ્થિતિ જણાવી દીધી છે. જો કે પોતાની બીમારી અંગે કશું વધારે જણાવ્યા વગર અરુણ જેટલી એ જણાવ્યું છે કે, તેઓ બહાર રહીને પણ સરકાર અને પાર્ટીને મદદ કરતા રહેશે. ગમે તેમ તોય એ તેજતર્રાર અને મુખર વ્યક્તિત્વનાં સ્વામી અરુણ જેટલીની ખોટ નવી કેબિનેટમાં સાલતી જ રહેવાની.