ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ એક અદભૂત પ્રસ્તાવ મૂક્યો છે. તેમણે તેમના દેશની સરકારી એજન્સીઓને આગામી વર્ષે સિવિલ સર્વિસ અધિકારીઓની બે રેન્ક નાબૂદ કરવા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) દ્વારા તેમનું કામ કરાવવા જણાવ્યું છે. આની પાછળનો અસલી હેતુ અધિકારીઓનો બોજ ઓછો કરવો કે સરકારી ખર્ચ ઘટાડવાનો નથી. તેમનો ઉદ્દેશ સરકારમાં બાબુશાહીની પકડ ઓછી કરવાનો છે જે નવા રોકાણમાં અવરોધક છે.
ટેકનોલોજીના ડેવલપમેન્ટ સાથે એઆઇ અને મશીન લર્નિંગનો ઉપયોગ વિશ્વભરમાં અનેક ક્ષેત્રમાં શરૂ થયો છે. મોટાભાગે તેનો ઉપયોગ ખર્ચ બચાવવા માટે કરવામાં આવી રહ્યો છે. આગામી વર્ષોમાં તેનો ઉપયોગ હજુ વધતો રહેશે. જે કામ અનેક લોકો કે આખો વિભાગ મળીને કરતાં હતા તે ધીમેધીમે એઆઇ કરે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કૃત્રિમ રીતે વિકસાવેલી બુદ્ધિ. આમ તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર છેક ૧૯પ૦માં કામ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે તે ટેકનોલોજી ખરેખર ઉપયોગમાં લેવાતી થઇ છે. આ કમ્પ્યુટર સિસ્ટમ માનવ મગજની જેમ જ કામ કરે છે. મશીન લર્નિંગથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પોતાની ભૂલો સુધારે છે અને નવું નવું શીખે છે.
એઆઈએ રોબોટિક્સે ટેકનોલોજીને પણ સંપૂર્ણપણે બદલી દીધી છે. રોબોટ પણ હવે આ ટેકનિકથી નવું શીખવાની ક્ષમતાવાળા બનવા લાગ્યા છે. અત્યારના લેટેસ્ટ રોબોટ પરિસ્થિતિ મુજબ આપણી જેમ જ જાતે નિર્ણય લઇ શકે છે. જેમ જેમ એઆઈનો વ્યાપ વધતો જાય છે, તેમ તેમ દુનિયાભરમાં ચર્ચા જોર પકડી રહી છે કે તે માનવતા માટે ઉપયોગી છે કે ઘાતક?
કેટલાક માને છે કે તે ભવિષ્યમાં આ ટેકનિક હજારો કામદારો અને કર્મચારીઓને બેકાર બનાવી દેશે. અને તેમને ભૂખે મરવા માટે છોડી દેશે.જોકે ઘણા નિષ્ણાતો આ આશંકાને વધુ પડતી અથવા ખોટી માને છે. તેમના મતે એઆઇનો વ્યાપ જેમ જેમ વધશે તેમ નવી નોકરીઓ પણ પેદા થશે. સવાલ એટલો જ છે કે તમામે નવી ટેકનોલોજીથી સજજ થવું જોઇએ. એઆઈનો વ્યાપ વધતા ડ્રાઇવરોથી લઇને ડેટા એન્ટ્રી ઓપરેટરો સુધીના અનેક ફિલ્ડના લોકોને નોકરીઓ ગુમાવવી પડશે તેવી દહેશત પણ વ્યકત થઇ રહી છે. ત્યાં સુધી કે અમુક હદ સુધી ડોકટરો, વકીલોની નોકરી પર પણ જોખમ વધશે. જોકે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (ડબ્લ્યુઇએફ) તેની સાથે સંમત નથી. તેના ગત વર્ષના અહેવાલ એઆઈ આગામી કેટલાક વર્ષોમાં જેટલી નોકરીઓ ખતમ કરશે તેનાથી વધુ રોજગાર પેદા કરશે.માત્ર નોકરી અને તે માટેની લાયકાત બદલાશે.
અહેવાલમાં જણાવ્યા અનુસાર ર૦રપ સુધીમાં, અડધાથી વધુ કામ (લગભગ બાવન ટકા) મશીનો દ્વારા કરવામાં આવશે. અત્યારે આપણા કુલ કામમાંથી માત્ર ર૯ ટકા કામ મશીનો દ્વારા કરવામાં આવે છે. જ્યારે મશીનો મનુષ્ય કરતા વધારે કામ કરવાનું શરૂ કરે છે, ત્યારે ૭.પ કરોડ લોકોને આખી દુનિયામાં નોકરી ગુમાવવી પડશે. પરંતુ એઆઈને કારણે ૧૩.૩ કરોડ નવી નોકરીઓ પણ સર્જાશે.એટલે કે પ.૮ કરોડ વધુ લોકો માટે નોકરીની તક સર્જાશે. સૌથી ઝડપથી ઇ-કોમર્સ, સોશિયલ મીડિયા સ્પેશિયાલિસ્ટ અને ડેવલપર્સની હશે. સ્વાભાવિક છે કે એઆઇની ટેકનિકલ જાણકારી ધરાવતા લોકોને જ ભવિષ્યમાં પહેલા નોકરી મળશે. જોકે અત્યારે તો ઇન્ડોનેશિયાના અધિકારીઓ અને બીજા કેટલાક કર્મચારીઓને એઆઈને કારણે બેકારીનો સામનો કરવો પડશે.