મોદી સરકારે આજે એક એવો ઐતિહાસિક નિર્ણય કર્યો છે કે જે નિર્ણયની યુગોયુગો સુધી નોંધ લેવાશે. ભારત દેશ 1947માં આઝાદ થયા બાદ કાશ્મીરના રાજા હરીસિંગે ભારત સાથે જોડાવા માટે કેટલીક શરતો મુકી હતી. જેના અનુસંધાને કાશ્મીરને વિશેષ દરજ્જો અપાયો હતો. આજે 5 ઓગસ્ટના રોજ કલમ 370 અને 35 A દૂર કરતા આગામી સમયમાં કાશ્મીરના વિકાસનો રસ્તો ખુલ્લો થઇ જશે.
રાષ્ટ્રપતિની સહીથી તૈયાર થયેલો આ મુસદ્દો છેલ્લા 72 વર્ષથી તમામ ભારતીયો માટે એક કોયડો બનીને રહી ગયો હતો. સાથે-સાથે રાજકીય નેતાઓની ઈચ્છાશકિતના અભાવે 370 અને 35 A નાબૂદ કરતા ન હતા. આ સાથે બંધારણ નિષ્ણાંતોમાં પણ 370 અને 35A દૂર કરવા અંગે વિવિધ મતમતાંતર પ્રવર્તતા હતા. જેના પર ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં 370 હટાવવા અંગેની જાહેરાત કરીને સાબિત કરી દીધું કે રાષ્ટ્રપતિની સહીથી લાગુ કરાયેલો વિશેષ દરજ્જો રાષ્ટ્રપતિની મંજૂરીથી હટાવી પણ શકાય છે.
કાશ્મીરમાં ઉદ્યોગ અને રોજગાર વધશે
આજે લેવાયેલા ઐતિહાસિક નિર્ણયથી હવે જમ્મુ અને કાશ્મીરમાં ઉદ્યોગો આવી શકશે. બીજા રાજ્યોના હોંશિયાર નાગરિકોને પણ સ્થાયી થવા સહિતના લાભો મળી શકશે. સાથે-સાથે રોજગારીના અભાવે આતંકવાદી જેવી પ્રવૃતિઓ સાથે જાડાયેલા રહેતાં સ્થાનિક યુવાનોને પણ નવો રસ્તો મળશે. જેના કારણે તેઓને હવે અલગાવવાદી નેતાઓ કે કહેવાતાં આતંકવાદી આકાઓના સહારે ઘર ચલાવવાની જવાબદારી નહીં રહે. જેના પગલે તેઓ સારી રીતે શિક્ષણ પણ મેળવી શકશે અને નોકરીઓ પણ કરી શકશે.
UAPA બિલ પહેલાં પાસ કરીને તૈયાર કર્યો પહેલેથી જ પ્લાન
શિક્ષણ મળતાં જ તેઓને આતંકવાદી પ્રવૃતિઓ કરાવતાં આકાઓ કે જેઓ જન્નત મળશે તેવા લોભામણા શબ્દોથી નિર્દોષ લોકોની હત્યાઓ કરાવતા હતા એ પણ બંધ થશે. ઉપરાંત મોદી અને શાહે 370 હટાવતાં પહેલાં ખૂબ જ ઝીણવટભરી સ્ટ્રેટેજી અપનાવી હતી. જેમાં UAPA બિલ સંસદમાંથી પાસ કરી દેવાયું હતું. જેથી કરીને હવે આ બિલને લાગુ કરતાં જ કોઇ પણ પથ્થરબાજ કે તેને આશરો આપનાર કે તેને આર્થિક રીતે ફાયદો કરાવનાર વ્યકતિને તુરંત જ ધરપકડ કરી આતંકવાદી ઘોષિત કરી શકાય. જેથી હવે જમ્મુ કાશ્મીરમાં એક પણ પથ્થરબાજ પકડાય કે તેને ઉશ્કેનાર પકડાય તો તુરંત તેને આંતકવાદી કાયદા હેઠળ જામીન પણ મળે નહીં. આથી હવે આવી પ્રવૃતિઓ પર પણ લગામ આવશે.
મહેબુબા અને ઓમરની નજરકેદ બાદ અટકાયત
આ સાથે જ મોદી શાહની જોડીએ પહેલાં અલગાવવાદી નેતાઓને પણ જેમાં પુરી તેમની સંપતિ અંગે પણ એનઆઇએને તપાસ કરવા આદેશ કર્યો જેથી કરીને હવે તેઓ પણ આતંકવાદી પ્રવૃતિઓ કરતાં લોકોને સપોર્ટ કરી શકે તેવી સ્થિતિમાં નથી રહી શક્યા. એટલું જ નહીં મોદી શાહની જોડીએ કાશ્મીરના સ્થાનિક નેતાઓ મહેબુબા મુફતી સૈયદ, ઓમર અબ્દુલ્લા સહિતના નેતાઓને પણ નજરકેદ બાદ અટકાયત કરી છે. જેથી કરીને તેઓ પણ કોઇ શંકાસ્પદ પ્રવૃતિમાં સામેલ થાય કે આતંકવાદીઓને ઉશ્કેરવાનું કામ કરે તો તેમના અસ્તિત્વ સામે પણ સવાલ થાય.
કેન્દ્રશાસિત પ્રદેશ બનવાથી વિકાસ વધશે
જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાથી સાચો વિકાસ હવે જ થઇ શકશે તેવું દ્રઢ પણ બધાએ માનવું પડશે. લદ્દાખમાં બૌદ્ધ અને શિખની પણ વસ્તી છે અને તેઓની પણ ઘણાં સમયથી એક માંગ હતી કે લદ્દાખને યુનિયન ટેરેટરી જાહેર કરી દેવામાં આવે. તેમની માંગ પૂરી કરીને તેમને પણ લઘુમતીનો દરજ્જો પણ આપી દીધો. જેથી કરીને સરકારી નોકરીઓમાં પણ તેમને લાભ થશે. જમ્મુ અને કાશ્મીરમાં વિધાનમંડળ રાખવામાં આવ્યું છે. પરંતુ તેઓ ઉપરાજ્યપાલની અંતર્ગત કામ કરશે. આથી હવે કેન્દ્રની તમામ સહાય સ્થાનિક નેતાઓના ઘરે કે તેમના કહેવા પ્રમાણે નહીં પરંતુ સીધી ઉપરાજયપાલના આદેશ અનુસાર લોકઉપયોગી યોજનામાં જશે. આ પગલું પણ લોકોના જીવનધોરણ ઊંચું લાવવામાં મદદ કરશે.
વૈશ્વિક રાજકારણમાં પડઘો પડ્યો
કોઇએ સાચું જ કહ્યું છે કે લોકશાહીમાં પણ દેશહિત માટે કઠોર નિર્ણય લેવાની પણ સરકારે મક્કમતા રાખવી જોઇએ અને મોદી સરકારે એ સાબિત કરી દીધું છે. આ નિર્ણયથી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાશે. તેમ જ મધ્યસ્થતાની શેખી મારતા અમેરિકા જેવા દેશની પણ બોલતી બંધ થઇ ગઇ છે તો POK પણ હવે ભારતનો હિસ્સો ગણી શકાશે. જેથી આગામી સમયમાં ત્યાં પણ ભારત કબ્જો કરી શકશે અને આતંકવાદી પ્રવૃતિઓ પર પણ કાબુ મેળી શકાશે.
રાજકીય રોટલા બંધ, વિકાસ શરૂ
આતંકવાદી પ્રવૃતિઓ માટે વેપારીઓ પાસેથી ખંડણીની વસૂલાત પણ કરાતી હતી અને હવે તેના પર પણ કન્ટ્રોલ લાવી શકાશે. કારણ કે હવે સ્થાનિક નેતાઓ માત્ર કહેવા પૂરતા રહેશે અને કન્ટ્રોલ તો સંપૂર્ણ કેન્દ્ર સરકારનો રહેશે. આર્મીને પણ હવે પૂરો પાવર મળી શકશે. અને એટલે જ જેહાદ કે કાશ્મીરની લડત માટે પોતાના રોટલા શેકતા અલગાવવાદી નેતાઓ કે આતંકવાદીઓના આકાઓ કે પછી સ્થાનિક નેતાઓના રાજકીય રોટલા શેકવાનું આ નિર્ણયથી અંત આવ્યો છે. ખરા અર્થમાં હવે કાશ્મીરનો વિકાસ શરૂ થયો છે તેવું કહેતાં જરા પણ અતિશયોક્તિ નહી કહેવાય.