પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન પોતાના રાષ્ટ્રને સંબોધિત કરી રહ્યા છે. પોતાના સંબોધનમાં ઇમરાન ખાન કાશ્મીર મુદ્દા પર રોદણા રોઇ રહ્યા છે. ઇમરાન ખાને ભારતને કાશ્મીર મુદ્દા પર ન્યૂક્લિયર હુમલાની ધમકી આપતા કહ્યું કે આપણે કાશ્મીર માટે કોઇપણ હદે જઇશું.
પોતાના સંબોધનમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું કે આજે અમે કાશ્મીર મુદ્દે આપની સાથે વાત કરીશું. એમણે કહ્યું કે, આપણે એવા મંચ પર આવી ગયા છીએ. જ્યાં નિર્ણય લેવાની જરૂર છે કે કાશ્મીર પર શું કરવું જોઇએ. ઇમરાન ખાને ભારતને કાશ્મીર મુદ્દા પર ન્યૂક્લિયર હુમલાની ખોખલી ધમકી આપતા કહ્યું કે અમે કાશ્મીર માટે કોઇપણ હદે જઇશું. અમે કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કર્યું છે.
ઇમરાન ખાને કહ્યું કે, જ્યારે મારી સરકાર આવી તો મારી પહેલી કોશિશ હતી રોજગાર વધારવામાં આવે. જળવાયુ પરિવર્તન ભારત અને પાકિસ્તાન બંનેને પ્રભાવિત કરે છે. તેથી આપણે દરેક પાડોશી દેશો સાથે મિત્રતા કરવા માંગતા હતા. મેં કહ્યું હતું કે હિન્દુસ્તાન એક પગલુ આગળ આવશે તો અમે આપની તરફ બે પગલા આગળ આવીશું.
ઇમરાન ખાને કહ્યું કે મેં ભારતને કહ્યું હતું કે કાશ્મીર મુદ્દાનો ઉકેલ વાતચીતથી નીકળે. પરંતુ અમને મુદ્દા મળતા રહ્યા, જ્યારે પણ અમે કાશ્મીર પર વાત કરવા માંગતા હતા, તેઓ (ભારત) આતંકવાદ પર બોલતા રહ્યા. ત્યારબાદ ભારતમાં ચૂંટણી આવી અને અમે તેમના પાકિસ્તાન વિરોધી અભિયાનો જોયા.
ઇમરાન ખાને કહ્યું કે અમે કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં સફળ રહ્યા. અમે વિશ્વના તમામ પ્રમુખ દેશોને આ સંબંધમાં વાતચીત કરી છે. યૂનાઇટેડ નેશનમાં 1965 બાદ પહેલીવાર કાશ્મીર મુદ્દા પર ચર્ચા થઇ. વિદેશી મીડિયાએ તેના પર ચર્ચા કરી. ઇમરાન ખાને કહ્યું કે હું યૂએનના જનરલ એસેમ્બલીમાં 27 સપ્ટેમ્બરે કાશ્મીર મુદ્દા પર ચર્ચા કરીશ. વૈશ્વિક મંચ પર કાશ્મીર મુદ્દાને ઉઠાવીશ.