જમ્મુના લખનપુરમાંથી પકડાયેલા જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓના હેન્ડલર અને અન્ય સાથીદારોને પકડવા પોલીસે કાશ્મીરથી લઈને પંજાબ સુધી દરોડા પાડ્યા હતા. આ દરમિયાન પુલવામાથી વધુ બે શકમંદોને પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યા છે.
બીજી તરફ પકડાયેલા આતંકવાદીઓના મોબાઇલ ફોનને ફૉરેન્સિક તપાસ માટે મોકલી દેવામાં આવ્યા છે. તપાસ અધિકારીઓનો દાવો છે કે, ટૂંક સમયમાં કાશ્મીરી આતંકવાદીઓ અને ખાલિસ્તાની ઉગ્રવાદીઓના ગઠબંધન અને એક મોટા હવાલા નેટવર્કનો પર્દાફાશ થશે.
જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરાયા બાદ આતંકવાદી અને અલગતાવાદી એજન્ડાની નિષ્ફળતાથી નિરાશ થયેલા પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ પણ સાવ હતાશ થઈ ગઈ છે. આઈએસઆઈ આતંકવાદી સંગઠન જૈશ દ્વારા જમ્મુ-કાશ્મીરમાં મોટા હુમલાઓને અંજામ આપવા માંગે છે. સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓએ ગત સપ્તાહે જ આ ષડયંત્રનો પર્દાફાશ કરી તમામ એજન્સીઓને એલર્ટ કરી દીધી હતી.
કાશ્મીર ઘાટીમાં આતંકવાદીઓને આધુનિક હથિયારોની ખેપ પૂરી પાડવા માટે આઈએસઆઈએ તેના પંજાબમાં સક્રિય નેટવર્કની મદદ લીધી હતી. અમૃતસરમાં આ નેટવર્ક પાસેથી હથિયાર લઈને એક ટ્રકમાં કાશ્મીર પરત ફરી રહેલા જૈશના ત્રણ આતંકવાદીઓની લખનપુરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ઉબેદ, જહાંગીર અને સબીલ નામના આ ત્રણ આતંકવાદીઓ કાશ્મીરના રહેવાસી છે. હાલમાં ત્રણેય પોલીસ રિમાન્ડ પર છે અને તેમની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ આતંકવાદીઓ પાસેથી મળેલા પૂરાવાઓના આધારે કાશ્મીરથી લઈને પંજાબ સુધી અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. દક્ષિણ કાશ્મીરમાં પાંચ શકમંદોની અટકાયત કરવામાં આવી હતી. આ જ કેસમાં વધુ બે લોકોને પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યા હતા. તેમાંથી એક ટ્રક માલિકનો ખાસ વિશ્વાસુ હોવાનું કહેવાય છે. બીજી તરફ ટ્રક માલિકની શોધખોળ પણ ચાલુ છે.
પકડાયેલા આતંકવાદીઓના મોબાઇલ ફોનમાંથી મળેલા કેટલાંક નંબર અને એસએમએસના આધારે પોલીસે કેટલાક લોકોની ઓળખ કરી લીધી છે. આ તમામને પૂછપરછ માટે બોલાવવામાં આવી રહ્યા છે અથવા તેમના ઘર કે કામના સ્થળે દરોડા પાડીને તેમની અટકાયત કરવામાં આવી રહી છે. આતંકી પાસેથી મળેલા મોબાઇલ ફોનના ડેટાની સંપૂર્ણ અને વિસ્તૃત તપાસ માટે ફૉરેન્સિક તપાસ પણ ચાલી રહી છે.