લોરેન્સ બિશ્નોઇની સૂચનાથી કપિલ પંડિતે બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને ટાર્ગેટ કરવા માટે મુંબઇમાં રેકી કરી હતી. ધરપકડ થતા થયો ખુલાસો
સિદ્ધુ મુસેવાલાના મુખ્ય હત્યારાઓની ધરપકડ
હત્યારો કપિલ પંડિતે કહ્યું સલમાન ખાન પણ ટાર્ગેટ હતો
આરોપીઓની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે
સિદ્ધુ મુસેવાલાની હત્યાના ગુનામાં દીપક મુંડી સાથે ધરપકડ કરાયેલા કપિલ પંડિતે પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો કર્યો છે કે, લોરેન્સ બિશ્નોઇની સૂચનાથી તેણે બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને ટાર્ગેટ કરવા માટે મુંબઇમાં રેકી કરી હતી. રેકી કરતા લોકોને રોકાવાનો તમામ ખર્ચ તેની જવાબદારી હતી. સલમાન ખાનને મારવા માટે સંપત નેહરા સાથે મળીને આ પ્લાન બનાવવામાં આવ્યો હતો.
પ્રેસ કોન્ફરન્સમાં આપી માહિતી
પંજાબના ડીજીપી ગૌરવ યાદવે રવિવારે પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપતા કહ્યું કે, હરિયાણા પોલીસે સલમાન ખાન હુમલા મામલે અગાઉ ગેંગસ્ટર સંપત નેહરાની ધરપકડ કરી હતી. ડીજીપીએ કહ્યું કે, આ કેસમાં પણ પોલીસ કપિલ પંડિતની વિગતવાર પૂછપરછ કરશે. ગૌરવ યાદવે જણાવ્યું કે, મુસેવાલા હત્યા કેસમાં અત્યાર સુધીની તપાસમાં પોલીસે 23 આરોપીઓની ધરપકડ કરી છે. આ સિવાય 35 લોકોના નામ જાહેર કરવામાં આવ્યા છે. એન્કાઉન્ટરમાં બે આરોપી શૂટર માર્યા ગયા છે.
આરોપીઓ નેપાળથી દુબઈ જવાના હતા
ડીજીપીએ જણાવ્યું હતું કે રાજીન્દર ઉર્ફે જોકર પહેલેથી જ નેપાળમાં રહેતો હતો, જ્યારે કપિલ અને દીપક મુંડી પંજાબ પહેલા રાજસ્થાન અને ત્યારબાદ હરિયાણા, યુપી અને બિહાર થઈને પશ્ચિમ બંગાળ પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ નેપાળ બોર્ડર પર પહોંચ્યા હતા. દીપક મુંડી, રાજિન્દર જોકર અને કપિલ પંડિત નેપાળથી નકલી પાસપોર્ટ દ્વારા દુબઈ જવા માંગતા હતા, કારણ કે તેમને ત્યાં સ્થાયી થવાની ખાતરી આપવામાં આવી હતી. ત્રણેય આરોપીઓ નેપાળથી બેંગકોક થઈને દુબઈ જવાની યોજના બનાવી રહ્યા હતા.
મુસેવાલાની હત્યા અંગે વધુ તપાસ ચાલી રહી છે
ડીજીપી ગૌરવ યાદવે જણાવ્યું કે માણસા કોર્ટમાં રજૂ કર્યા બાદ તેમને 6 દિવસના પોલીસ રિમાન્ડ આપવામાં આવ્યા છે અને હવે તેમની પૂછપરછ બાદ મોટો ખુલાસો થવાની આશા છે. મુસેવાલાના પિતાની હત્યામાં ગાયક ઉદ્યોગના મોટા મોટા લોકો સંડોવાયેલા હોવાના આક્ષેપો અંગે ડીજીપીએ જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા તેમના નિવેદનો નોંધવામાં આવ્યા છે અને તેની તપાસ ચાલી રહી છે. ગૌરવ યાદવે દાવો કર્યો હતો કે, આ કેસમાં પોલીસ તેને કડક રીતે કોર્ટમાં રાખશે જેથી તમામ આરોપીઓને સજા થઇ શકે. ડીજીપીએ એવો પણ દાવો કર્યો છે કે, આ હત્યાના મુખ્ય સૂત્રધાર ગોલ્ડી બ્રારની પણ ટૂંક સમયમાં પોલીસ દ્વારા ધરપકડ કરીને પંજાબ લાવવામાં આવશે.