સત્યૈન્દ્ર જૈન તિહાર જેલમાં તો સિસોદીયા સીબીઆઈ કસ્ટડીમાં
દિલ્હીની શાસક આમ આદમી પાર્ટીને તેનો અત્યાર સુધીનો તગડો ઝટકો લાગ્યો છે. દિલ્હી સરકારના બે મંત્રીઓએ રાજીનામા ધરી આપ્યું છે. તાજેતરમાં દારુ કૌભાંડમાં ફસાયેલા ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયા અને મની લોન્ડરીંગ કેસમાં પહેલેથી જ જેલમાં બંધ સત્યૈન્દ્ર જૈને તેમના હોદ્દા પરથી રાજીનામા આપી દીધાં છે. સીએમ અરવિંદ કેજરીવાલે તેમના બન્નેના રાજીનામા સ્વીકારી લીધા છે.
સિસોદીયાને બેવડો ફટકો
દિલ્હીની નવી આબકારી નીતિ ગેરરીતિ કેસમાં સિસોદીયા ગઈકાલથી સીબીઆઈની કસ્ટડીમાં છે. સુપ્રીમે પણ તેમને જામીન માટે હાઈકોર્ટ જવાનું કહી દીધું છે. સીબીઆઈ દ્વારા આરોપી બનાવાયેલા ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયાએ તેમના રિમાન્ડને સુપ્રીમમાં પડકાર્યાં હતા જેની પર ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાનીવાળી ખંડપીઠે સુનાવણી યોજી હતી. ખંડપીઠે સિસોદીયાને કહ્યું કે તમારે જામીન માટે હાઈકોર્ટનો સંપર્ક સાધવો જોઈએ. સિસોદીયા પાસે ઘણા કાનૂની વિકલ્પો ઉપલબ્ધ છે.
Delhi ministers Manish Sisodia and Satyendar Jain resign from their posts in the state cabinet; CM Arvind Kejriwal accepts their resignation. pic.twitter.com/rODxWkSoc9
સીધા સુપ્રીમ ન આવી જવાય, હાઈકોર્ટમાં જાઓ
ચીફ જસ્ટીસે મનીષ સિસોદીયાના વકીલને કહ્યું કે તમે સુપ્રીમ કોર્ટમાંથી સીધા જામીન અને અન્ય રાહત માંગી રહ્યા છો. તમે અર્નબ ગોસ્વામી અને વિનોદ દુઆ કેસ ટાંક્યા છે. પણ તે તદ્દન જુદો જ હતો. તમારે નીચલી કોર્ટમાંથી જામીન મેળવવા જોઈએ, એફઆઈઆર રદ કરાવવા માટે હાઈકોર્ટમાં જવું જોઈએ. સિસોદિયા તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ એ એમ સિંઘવીએ કહ્યું, "મને માત્ર ત્રણ મિનિટ માટે બોલવા દો. મને (સિસોદિયાને) માત્ર બે વાર પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. ધરપકડ પહેલા અર્નેશ કુમાર મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણયનું પાલન કરવામાં આવ્યું ન હતું. મારા પર પુરાવા સાથે છેડછાડનો આરોપ નથી, ન તો મને ભાગી જવાનો ડર લાગતો હતો. સીજેઆઈએ કહ્યું કે આ વાતો સાચી હોઈ શકે છે, પરંતુ સુપ્રીમ કોર્ટ સીધી સુનાવણી ન કરી શકે. કોર્ટે કહ્યું કે મનીષ સિસોદીયાએ જામીન માટેની એફઆઈઆર રદ કરવાની માંગ માટે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક સાધવો જોઈએ.
મની લોન્ડરિંગમાં ફસાયેલા સત્યૈન્દ્ર જૈનનું પણ રાજીનામું
મની લોન્ડરિંગ કેસમાં પહેલેથી જ તિહાર જેલમાં બંધ રહેલા સત્યૈન્દ્ર જૈન પણ મંત્રી પદેથી રાજીનામું ધરી આપ્યું છે.
ભાજપે સીએમ કેજરીવાલના રાજીનામાની માંગ કરી
બંને મંત્રીઓના રાજીનામા બાદ ભાજપના સાંસદ મનોજ તિવારીએ સીએમ કેજરીવાલ પર નિશાન સાધ્યું હતું. મનોજ તિવારીએ ટ્વિટ કરીને લખ્યું, "સુપ્રીમ કોર્ટના જબરદસ્ત ઠપકાના કારણે આમ આદમી પાર્ટીની ઉંઘ ઉડી ગઈ છે... આખરે મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈને રાજીનામું આપવું પડ્યું હતું. કેજરીવાલજી, નૈતિકતાના આધારે, તમારે પણ રાજીનામું આપી દેવું જોઈએ.
છેલ્લા મહિનાઓમાં ત્રણ મંત્રીઓનું રાજીનામું
દિલ્હીની આપ સરકારમાંથી અત્યાર સુધીમાં રાજેન્દ્ર પાલ ગૌતમ, મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન સહિત કુલ ત્રણ મંત્રીઓએ રાજીનામાં આપી દીધાં છે. ગત વર્ષે રાજેન્દ્ર પાલ ગૌતમે વિવાદિત નિવેદન બાદ સીએમ કેજરીવાલને પોતાનું રાજીનામું સોંપી દીધું હતું.