કોરોના સંક્રમણ પછી અચાનક આરોગ્ય વિભાગની આંખ ખૂલી અને ચોમાસામાં દેડકા નીકળે તેવી રીતે નકલી ડોક્ટરો મળી રહ્યા છે
ગુજરાતમાં બોગસ તબીબોની ભરમાર
જયાં જુઓ ત્યાં `મુન્નાભાઈ MBBS'!
ત્રણ મહિનામાં 74 બોગસ તબીબ ઝડપાયા
રાજ્યમાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે. તો બીજી તરફ ઉંઘતું તંત્ર પણ અચાનક એકાએક જાગ્યું છે. અને બોગસ ડોક્ટરોને ઝડપવા દોડમ દોડ કરી રહ્યું છે. છેલ્લા એક મહિનામાં રાજ્યમાંથી 70થી વધુ બોગસ ડોક્ટરો ઝડપાયા છે. પરંતુ સવાલ એ છે કે, ગામડા લેવલે બોગસ ડોક્ટરો કેમ ફૂલ્યા-ફાલ્યા છે? કેમ બોગસ ડોક્ટરોની દુકાનો ગામડાઓમાં ચાલી રહી છે?
કોરોનાએ આપણી આરોગ્ય સુવિધાઓને તો ઉઘાડી પાડી જ દીધી છે. પરંતુ તેની સાથે-સાથે ગામડા લેવલે આરોગ્યની કેટલી સુવિધાઓ ઉભી કરાઈ તેની પણ પોલંપોલ હવે ખુલ્લીને આંખે વળગી છે. કારણ કે, રાજ્યના ગામડાઓમાં બોગસ ડોક્ટરોની દુકાનો હવે ધમધમી રહી છે. છેલ્લા એક જ મહિનામાં અચાનક જાગેલા તંત્રએ રાજ્યમાંથી 74 બોગસ ડોક્ટરો ઝડપી પાડ્યા છે. જેઓ કોઈપણ પ્રકારની ડીગ્રી-કે સર્ટિફિકેટ વિના ગામડાઓમાં દવાખાના ચલાવી રહ્યા હતા. ડિગ્રીની વાત તો દૂર પરંતુ કેટલાક લોકો તો માત્ર 8 થી 10 ધોરણ ભણેલા હોવાનું પણ સામે આવ્યું છે.
સરકાર વાતો તો ખુબ મોટી-મોટી કરે છે કે, અમે આરોગ્યને લઈને આ કર્યું, પરંતુ હકીકત એ છે કે, ગામડા લેવલે આરોગ્યને લઈને કોઈ સુવિધાઓ જ નથી. ક્યાંક 5થી 7 ગામડા વચ્ચે એક આરોગ્ય કેન્દ્ર આવેલું છે. અને તેમાં પણ ડોક્ટરોનો અભાવ છે. એટલે કે, ત્યાં પણ કાગડા ઉડી રહ્યા છે. તેવામાં સ્વાભાવિક છે કે, ગામડાના લોકોને સામાન્ય બિમારીમાં શહેરમાં જઈને MBBS કે MD ડોક્ટરની દવા અને સારવાર લેવી પોસાય નહીં. કારણ કે, તેમની ફી જ 400 થી 500 રૂપિયા હોય છે. અને આજ કારણ પણ છે કે, ગામડાઓમાં બોગસ ડોક્ટરોની દુકાનો ચાલી રહી છે.
સામાન્ય રીતે ગામડામાં જે બોગસ ડોક્ટરો દવાની દુકાનો ચલાવે છે તેઓ 10 થી 12 ધોરણ સુધી ભણેલા હોય છે. આ બોગસ ડોક્ટરો પહેલા એકથી બે વર્ષ કોઈ હોસ્પિટલમાં કમ્પાઉન્ડર કે, નર્સની નોકરી કરે છે. અને દવા આપતા અને ઈન્જેક્શન આપતા શીખી લે છે. હોસ્પિટલમાં પ્રેક્ટિસ લીધા પછી નોકરી છોડી ગામડો પોતાનું દવાખાનું શરૂ કરે છે. જેમાં સામાન્ય બિમારી જેમ કે, તાવ, સરદી, ઉધરસ, માંથુ જેવી કોઈ બિમારી થાય તો તેની દવા અને ઈન્જેક્શન આપે છે. પરંતુ હાલ કોરોના કાળમાં તો આ બોગસ ડોક્ટરોએ પણ લાખો રૂપિયાની કમાણી કરી છે. લોકોને ઘરે સારવારના નામે ઈન્જેક્શનો અને ગ્લુકોઝના બાટલા ચડાવી ખુબ રૂપિયા ખંખેર્યા છે. પરંતુ છેલ્લા એક મહિનાથી SOGની ટીમ આવા ડોક્ટરો પર્દાફાશ કરવામાં લાગી છે. પરંતુ અહીં તેમને પકડાવાથી પણ શું ફરક પડવાનો છે.. તે પણ સૌથી મોટો સવાલ છે.
સવાલ અહીં એ થાય છે કે, બોગસ ડોક્ટરોને પકડવાથી શું સમસ્યાનું સમાધાન થઈ જશે? કેમ ગામડાઓમાં બોગસ ડોક્ટરોની દુકાનો ધમધમે છે? શું ગામડાઓમાં સરકારી આરોગ્યની સેવાઓ ધૂળ ખાઈ રહી છે? શું આરોગ્ય સેવાઓથી હજૂ વિકાસશીલ ગુજરાતના ગામડા વંચિત છે? બોગસ ડોક્ટરોને પકડવાથી શું ગ્રામ્ય લેવલે આરોગ્ય સુવિધા સુધરી જશે? અહીં બોગસ ડોક્ટરોને ઝડપવા એ સારી બાબત છે. પરંતુ તેમને ઝડપ્યા પછી પણ આરોગ્યની સેવાથી વંચિત લોકોનું શું. તે સૌથી મોટો સવાલ છે.