નિત્યાનંદના આશ્રમથી ગુમ થયેલી નિત્યાનંદિતાના વિવાદ બાદ ખોટા દસ્તાવેજો રજૂ કરવા બાબતે ગઇ કાલે જિલ્લા શિક્ષણાધિકારીએ ડીપીએસ ઇસ્ટ સ્કૂલના ટ્રસ્ટી અને પૂર્વ પ્રિન્સિપાલ વિરુદ્ધ ફરિયાદ કરી છે. નિત્યાનંદ આશ્રમને નિયમો નેવે મૂકી ૧ રૂપિયાના ટોકન ભાડે જમીન આપવાના કૌભાંડમાં સપડાયેલી ડીપીએસના કેલોરેક્સ ફાઉન્ડેશનના મંજુલા શ્રોફ અને હિતેન વસંત પૂર્વ પ્રિન્સિપાલ અનિતા દુઆએ બોગસ દસ્તાવેજ બનાવીને તેને ઉપયોગ કરીને કૌભાંડ આચર્યું છે. ફરિયાદ નોંધાતાં ત્રણેય આરોપીઓ ભૂગર્ભમાં જતા રહ્યા છે. પોલીસ હવે ત્રણેય આરોપીઓની સીધી ધરપકડ કરશે.
ઉલ્લેખનીય છે કે ગઇ કાલે સાંજે શિક્ષણાધિકારી વિવેકાનંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા. જ્યાં પાંચ કલાક સુધી ચાલેલા હાઇવોલ્ટેજ ડ્રામા બાદ પોલીસે મોડી રાતે ૧૧ વાગે અનિતા દુઆ, હિતેન વસંત અને મંજુલા શ્રોફ સામે આઇપીસી ૪૬૭, ૪૬૮ (બોગસ દસ્તાવેજો બનાવવા) આઇપીસી ૪૭૧ (દસ્તાવેજનો ખરા તરીકે ઉપયોગ કરવો) તેમજ ૧૨૦ બી (પોતાના ઇરાદાને પાર પાડવા માટે કાવતરું ઘડવું)નો ગુનો દાખલ કર્યો છે.
આ મામલે અમદાવાદ જિલ્લા ડીવાયએસપી કે.ટી.કામરિયાએ જણાવ્યુ છે કે ત્રણેય વિરુદ્ધમાં આઇપીસી ૪૬૭, ૪૬૮ની કલમ હેઠળ ગુનો દાખલ કરાયો. જેમાં મહત્તમ આજીવન કેદની સજાની જોગવાઇ છે. તેથી ત્રણેય આરોપીઓની સીધી ધરપકડ કરવામાં આવશે. સાત વર્ષથી નીચેની સજાની જોગવાઇ હોય તો નોટિસ આપીને પહેલાં નિવેદન માટે બોલાવવામાં આવે છે. ગુનો દાખલ થયા બાદ પોલીસ તેમની ધરપકડ કરવા તેમના ઘરે પહોંચી ત્યારે તેઓ ગુમ હતા.
અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી રાકેશ રાજેન્દ્ર વ્યાસે વિવેકાનંદ પોલીસ સ્ટેશનમાં ડીપીએસ સ્કૂલના પૂર્વ પ્રિન્સિપાલ અનિતા દુઆ, કેલોરેક્સ ફાઉન્ડેશનના મંજુલા શ્રોફ અને હિતેન વસંત વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. ડીપીએસ-ઈસ્ટ સ્કૂલના તત્કાલીન આચાર્ય અનિત દુઆ (રહે. આરોહી રોટલ બંગલોઝ, બોપલ)એ શિક્ષણ વિભાગના નામે સીબીએસઈ સમક્ષ ખોટી એનઓસી રજૂ કરી હતી.
જેમાં ૧૧-૦૯-૨૦૦૯ના રોજ કરેલી દરખાસ્તમાં અંગ્રેજીમાં હિતેન વસંત (ફોર કેલોરેક્સ ફાઉન્ડેશન, ટ્રસ્ટી)એ સહી કરી હતી તેમજ ૨૧-૦૧-૨૦૧૨ની દરખાસ્તમાં અંગ્રેજીમાં (ફોર કેલોરેક્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન, ડાયરેક્ટર)ના સિક્કા પર મંજુલા એસ. (મંજુલા શ્રોફે) સહી કરી છેતરપિંડી કરી હતી.
સ્કૂલની જમીન સંસ્થાની માલિકીની ન હોવાથી તેમજ તે બિનખેતીમાં પણ ફેરવાઈ ન હોવાથી સરકારે એનઓસી આપી ન હતી. આ કારણની જાણ પણ સરકારે સ્કૂલને કરી હતી. આ પછી ૨૦૧૨માં સ્કૂલે ફરીથી શરતી એનઓસી આપવા રજૂઆત કરી હતી પણ સરકારે તે પણ નકારી કાઢી હતી.
આ ત્રણેયે ભેગા મળી વર્ષ ૨૦૧૦માં સ્કૂલે CBSEની માન્યતા પ્રાપ્ત કરવા માટે રાજ્ય સરકારને ખોટું એનઓસી રજૂ કર્યું હતું. સરકારે CBSE બોર્ડ પાસેથી માગેલા દસ્તાવેજોમાં આ ભાંડો ફૂટ્યો હતો. સ્કૂલની જમીન બિનખેતીની ન થઈ હોવાને કારણે રાજ્ય સરકારે સ્કૂલને વર્ષ ૨૦૧૦ અને ૨૦૧૨માં એનઓસી આપી ન હતી. તેમ છતાં સ્કૂલે બારોબાર ખોટું એનઓસી રજૂ કરી દીધું હતું.
ઉલ્લેખનીય છે કે મંજૂલા પૂજા શ્રોફ કેલોરેકસ ફાઉન્ડેશનના સીઇઓ છે અને ગુજરાતમાં પેજ-૩ કલ્ચરમાં આગળ પડતું નામ ધરાવે છે. કેલોરેકસ ફાઉન્ડેશન હેઠળ કેટલીક સંસ્થા ચલાવે છે. ગુજરાતમાં મંજૂલા પૂજા પાસે ડીપીએસની ફ્રેન્ચાઇઝી છે. તેઓ મોટા નેતાઓ અને અધિકારીઓ સાથે પણ ઘરોબો ધરાવે છે.
નિત્યાનંદના હાર્ડકોર અનુયાયી છે. આઇઆઇએમમાંથી એમબીએ થયા છે. ત્યારે હિતેન વસંત નેતાઓ-અધિકારીઓ સાથે ઘરોબો ધરાવે છે. મંજૂલા પૂજા શ્રોફની ડીપીએસ સ્કૂલમાં પણ ટ્રસ્ટી છે અને કર્ણાવતી યુનિ.માં ગવર્નિગ મેમ્બર છે. હિતેન વસંત એલ.જે. કોલેજમાં ગવર્નિંગ બોડીમાં છે.