CRPFમાં ફરજ બજાવતો જવાન છેલ્લા 19 વર્ષથી ગાયબ છે. જેને શોધવા અમદાવાદ ખાતે રહેતા માતા-પિતા દર-દર ભટકતા હોવા છતાં તેનો ક્યાંય પત્તો મળ્યો નથી.
CRPFમાં ફરજ બજાવતો જવાન 19 વર્ષથી લાપતા
CRPFના અધિકારીઓ ગેરમાર્ગે દોરતા હોવાની રાવ
દીકરાની રાહમાં ઝૂરે છે મા-બાપ
અમદાવાદના અંસારી પરિવારે દેશની સેવા કાજે પોતાના દીકરાને મોકલ્યો હતો. પરંતુ 19 વર્ષના વહાણા વીતી જવા છતાં દીકરો આજ સુધી ઘરે પરત ન આવ્યો હોવાથી પરિવારજનોની આંખો તરસી રહી છે. 2003માં દિનેશ અંસારી નામનો યુવાન બિહાર ખાતે CRPFમાં ફરજ પર હતો. આ દરમિયાન 4 ડિસેમ્બરના દિવસે મકામઘાટથી રહસ્યમય રીતે લાપતા થઈ ગયો હતો. જેનો આજ સુધી તેનો કોઈ પત્તો લાગ્યો નથી. જેને લઈને પરિવારજનો ઊચક જીવે જીવન પસાર કરી રહ્યા છે. ડોર બેલ વાગતાની સાથે જ આશાનો દરિયો જાગે છે અને દરવાજો ખોલતા જ ફરી નિરાશા સિવાઈ કાંઈ મળતું ન હોય તેવી સ્થિતિ જન્મી છે.
મા-બાપ કહે છે અધિકારીઓ ગેરમાર્ગે દોરી રહ્યા છે!
દિનેશ નામનો CRPF જવાન 2003થી લાપતા બન્યો હોવા છતાં દિનેશ ભાગી ગયો હોવાનું CRPFના અધિકારીઓ જણાવી રહ્યા છે. આ મા-બાપ પોતાના દીકરાની માહિતી માંગી રહ્યા છે. પરંતુ સરકાર અને CRPFના અધિકારીઓ માત્ર ગેરમાર્ગે દોરી રહ્યા હોવાની રાવ કરવામાં આવી રહી છે. દીનેશના પિતા થાવરાજી અંસારીએ આર્મીમાંથી નિવૃત થયા બાદ દીકરો પણ દેશની રક્ષા કરે તેવુ સપનુ જોયુ હતું અને દેશ સેવા માટે દીકરાને મોકલ્યો હતો પરંતુ દીકરો લાપતા બનતા માતા-પિતા સહિતના પરિવારજનો પર ઉપાધિના વાદળો ઘેરાયા છે.
વ્હાલસોયાની જલક માટે તરસતી વૃદ્ધ માતા-પિતાની નજર
હદ તો ત્યારે થઈ કે આ માતા-પિતાને દીકરો પરત આવ્યો ન હોવા છતાં તેમની કોઇ મદદ પણ કરવામાં આવતી નથી. સામાન્ય રીતે સાત વર્ષ સુધી જો કોઈનો પતો ન મળે તો સરકાર મૃત જાહેર કરે છે. પરંતુ દિનેશભાઈના લાપતા થયાના 19 વર્ષ થઈ ચુકયા છે. તેમ છતા ન તેમને મૃત જાહેર કરીને પરિવારને સહાય આપવામાં આવે છે. કે ન તો તેમને શોધવાનો પ્રયાસ કરવામા આવે છે. જે પરિવારે દેશ સેવાને પ્રથમ મહત્વ આપ્યું છે આજે તેમનો જ દીકરો દેશની સેવા કરતા-કરતા ગાયબ થઈ જાય અને સરકાર કે, CRPF તેની શોધ ન કરે કે ન તેના પરિવાર સામે જોય તો તેનાથી મોટી દુઃખની વાત શું હોઈ શકે..? આ વૃદ્ધ મા-બાપની આંખો આજે પણ વ્હાલસોયા દીકરાની એક જલક જોવા માટે તરસી રહી છે.