ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે સેના પ્રમુખ નરવણેએ સેનાના અધિકારીઓને ગમે તે પરિસ્થિતિ માટે તૈયાર રહેવાનો નિર્દેશ આપ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણેએ ફીલ્ડ કમાન્ડરોને સરહદ પર કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર રહેવા અને સૌથી વધુ કાર્યવાહીની તૈયારીઓ માટે સૂચના આપી છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા સેના પ્રમુખ નરવણે લખનઉ ગયા હતા, જ્યાં તેમણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી. તેમજ તમામ સ્તરના કમાન્ડરો સાથે પણ મુલાકાત અને ચર્ચા કરી હતી. ઉલ્લેખનીય છે કે સેના પ્રમુખ બે દિવસથી આસામના તેજપુર અને લખનઉની મુલાકાતે છે.
સેન્ટ્રલ કમાન્ડના મુખ્યાલયની મુલાકાત લીધી
સેના પ્રમુખે લખનઉ છાવણીમાં આવેલા સેન્ટ્રલ કમાન્ડના મુખ્યાલયની મુલાકાત લીધી હતી. જે દરમિયાન સેનાના અધિકારીઓએ તેમને ઓપરેશનલ અને અન્ય માહિતી આપી હતી.
ભારત અને ચીન વચ્ચે ચાલી રહ્યો છે વિવાદ
મહત્વનું છે કે ભારત અને ચીન વચ્ચે છેલ્લા ઘણા સમયથી તણાવ ચાલી રહ્યો છે. ચીનના સૈન્યની લદ્દાખમાં ઘુસણખોરીના કારણે બંને દેશોના સૈન્ય વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. હજુ પણ આ વિવાદનો કોઇ અંત આવ્યો નથી.