દુનિયાભરમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે ભારતના પાડોશી દેશો દ્વારા વારંવાર નિયંત્રણ રેખા પર અવળચંડાઇ કરવામાં આવી રહી છે. હાલમાં જ ભારત અને ચીન વચ્ચે નિયંત્રણ રેખા (LAC) પર તણાવ જોવા મળ્યો હતો. જો કે ભારતીય સેના પ્રમુખ મનોજ મુકુંદ નરવણેએ શુક્રવારના રોજ લદ્દાખમાં 14 કોરના મુખ્યાલય લેહની મુલાકાત લીધી હતી.
એક પ્રાપ્ત મળતી વિગત અનુસાર ભારતીય સેનાના પ્રમુખ મનોજ મુકુંદ નરવણેએ લદ્દાખના મુખ્યાલય લેહની મુલાકાત લીધી હતી. આ સંવેદનશીલ વિસ્તારની સુરક્ષાની સમીક્ષા કર્યા બાદ દિલ્હી પરત ફર્યાં હોવાનું સામે આવ્યું છે.
આ મુલાકાત ભારત દ્વારા ચીનના એ આરોપને ફગાવ્યાં બાદ કરવામાં આવી છે જેમાં બેઇજિંગ દ્વારા આરોપ લગાવામાં આવ્યો હતો કે સરહદ પર ભારતીય સૈનિકોએ તણાવની શરૂઆત કરી અને લદ્દાખ અને સિક્કિમ સેકટરોમાં LAC ક્રોસ કર્યું.
આ સાથે ચીને આરોપ લગાવ્યો હતો કે ચીનના સૈનિકોને ભારતીય સરહદ પર પેટ્રોલિંગ કરવાને લઇને અવરોધ ઉભો કરવામાં આવ્યો.
જો કે આ ઘટના પછી બંને પક્ષોના સૈનિકોએ શાંતિ અને તણાવને ઓછો કરવાનો પ્રયત્ન કર્યો. 5-6 મેના રોજ પેંગોંગ સરોવર પાસે થયેલી અથડામણ બાદ ચીન અને ભારત તરફથી સરહદ પર વધારાનો જવાનો તૈનાત કરવામાં આવ્યાં છે. ખાસ કરીને લદ્દાખની ગલવા ઘાટીમાં.