દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજને બદલે ખેડૂત આંદોલનનો ધ્વજ ફરકાવવાની ઘટના બન્યા બાદ વિપક્ષ સહિતના નેતાઓ લાલુઘૂમ થયા છે.
પ્રજાસત્તાક દિવસના અવસરે કોઈ બીજો નહી પરંતુ ફક્ત તિરંગો જ ફરકવો જોઈએ : શશી થરૃર
કોઈ પણ હોય લાલ કિલ્લા અને તિરંગાનું અપમાન સહન નહીં કરીએ : સંજય રાઉત
એનસીપી સુપ્રીમો શરદ પવારે પણ આ ઘટનાની ટીકા કરી
કોંગ્રેસ નેતા શશી થરૃરે ટ્વિટ કર્યું કે સૌથી દુર્ભાગ્યપૂર્ણ, મેં શરૃઆતથી ખેડૂતોના પ્રદર્શનને સમર્થન આપ્યું હતું પરંતુ હું અંધાધૂંધીની ઉપેક્ષા ન કરી શકું. પ્રજાસત્તાક દિવસના અવસરે કોઈ બીજો નહી પરંતુ ફક્ત તિરંગો જ ફરકવો જોઈએ.
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા જયવીર શેરગીલે પણ આ ઘટનાને વખોડી હતી. ભાજપ નેત રમેશ નાયડુએ લખ્યું કે દિલ્હીની સરહદથી શરૃ થયેલી ભીડે પોલિસ બેરિકેટસ તોડ્યા, તલવારો ચલાવી. ત્યાં સુધી આપણા સુરક્ષા દળોના પ્રતિરોધ છતાં પણ લાલ કિલ્લા સુધી પહોંચી ગયા હતા.
શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે જો સરકાર ઈચ્છેત તો આજની હિંસા અટકી શકતી હોત. દિલ્હીમાં જે ચાલી રહ્યું છે તેનું સમર્થન ન કરી શકીએ. કોઈ પણ હોય લાલ કિલ્લા અને તિરંગાનું અપમાન સહન નહીં કરીએ. પરંતુ માહોલ શા માટે બગડી ગયો. સરકાર ખેડૂત વિરોધી કાયદાઓ રદ કેમ કરતી નથી, કોઈ અદ્રશ્ય હાથ રાજનીતિ કરી રહ્યો છે.
એનસીપી સુપ્રીમો શરદ પવારે પણ આ ઘટનાની ટીકા કરતા જણાવ્યું કે લાલ કિલ્લાની પ્રાચીર પર તિરંગા સિવાય બીજો કોઈ પણ ધ્વજ ન ફરકાવી શકાય.
આમ આદમી પાર્ટીએ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું કે આજના પ્રદર્શન દરમિયાન થયેલી હિંસાની અમે આકરા શબ્દોમાં ટીકા કરીએ છીએ. ખેદજનક છે કે કેન્દ્ર સરકારે આ સ્થિતિને બગાડી દીધી છે. છેલ્લા બે મહિનાથી આંદોલન શાંતિપૂર્વક ચાલી રહ્યું છે.