દ્વારકામાં અર્જુન મોઢવાડીયાએ પૂર્વ ધારાસભ્ય પબુભાને નામચીન લતીફ સાથે સરખાવતા વાઘેર સમાજમાં અર્જૂન મોઢવાડિયા સામે વિરોધ નોંધાવી સોશિયલ મીડિયામાં માફી માગે તેવી ઉગ્ર લાગણી
દ્વારકામાં અર્જુન મોઢવાડીયા સામે વિરોધ
પૂર્વ ધારાસભ્ય પબુભાને લતીફ સાથે સરખાવાયા
મોઢવાડીયા માફી માંગે તેવી લાગણી ઉગ્ર
દેવભૂમિ દ્વારકામાં કોંગ્રેસની ચિંતન શિબિરમાં રાહુલ ગાંધીના આગમન સમયે વિવાદનાં મંડાણ થયા હતા. ચિંતન શિબિરમાં પોતાના ઉદબોધન દરમિયાન કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ પૂર્વવ ધારાસભ્ય અને વાઘેર સમાજના મોભી ગણાતા પબુભા માટે જે શબ્દો ઉચ્ચાર્યા તેથી સમાજે વિરોધ નોંધાવ્યો છે. અર્જુન મોઢવાડીયાએ પૂર્વ ધારાસભ્ય પબુભાને નામચીન લતીફ સાથે સરખાવતા વાઘેર સમાજમાં અર્જૂન મોઢવાડિયા સામે વિરોધ નોંધાવી મોઢવાડીયા સોશિયલ મીડિયામાં માફી માગે તેવી ઉગ્ર લાગણી પ્રવર્તી છે.
શું કહ્યું રાહુલ ગાંધીએ ?
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસની ત્રિ-દિવસીય શિબિર દ્વારકા ખાતે ચાલી રહી છે. ચિંતન શિબિરના બીજા દિવસે રાહુલ ગાંધી હાજર રહ્યા હતા. તેમણે 2022ની ચૂંટણી અંગે રાહુલ ગાંધીનું પક્ષપલટું નેતાઓને લઈને મોટું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં બે વર્ગ છે એક ડંડો ખાય છે અને બીજો ACમાં બેસે છે. અમે ભાજપને વિનંતી કરીએ છીએ કે, ACમાં બેસતા લોકોને લઈ જાય અમને એવા લોકો જોઈએ છે કે, જેનામાં DNA કોંગ્રેસનું હોય કોંગ્રેસને માત્ર 25 લોકોની જરૂર છે. જેઓ લડત માટે તૈયાર હોય
કોંગ્રેસનો પાયો સૌરાષ્ટ્ર
ગુજરાત કોંગ્રેસે છેલ્લા પાંચ વર્ષમાં કેટલાય વહેણ જોઈ લીધા છે. ગુજરાત વિધાનસભા 2017 ની ચૂંટણીમાં પ્રતિદ્વંદી ભાજપને માત્ર 99 બેઠકના 'ડબલ ડીજીટ'માં સમેટી નાખવામાં કોંગ્રેસનો મોટો ફાળો હતો. કહો કે, સૌરાષ્ટ્રમાં ભાજપના સુપડા સાફ થઇ ગયા હતા. ભાજપના વિજયોત્સવમાં રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીને 'સુપડા સાફ' થયા હોવા અંગે પ્રશ્ન પૂછતા તેઓ પણ દિગ્મૂઢ થઇ ગયા હતા. આ વખતે સૌરાષ્ટ્રમાં બેઠકો નાં જીતી શકવાનો રંજ તેઓના ચહેરા પર સ્પષ્ઠ કળાતો હતો. રાજ્ય સભા ચૂંટણી વખતે શંકર સિંહ પહેલા કેટલાક સીટીંગ ધારાસભ્યો કોંગ્રેસ છોડીને જતા રહ્યા હતા. ત્યાર બાદ ફરીથી કેટલાક ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ગયા. માર્ચ -2020માં 3 ધારાસભ્યો અને ત્યાર બાદ વધુ પાંચ ધારાસભ્યો ભાજપમાં જોડાતા ઓક્ટોબરમાં 8 બેઠકો પર વિધાનસભા ચૂટણીઓ આવી. જેમાં તમામ પાટલી બદલું જીતી ગયા હતા. એક માત્ર લીબડી બેઠક પરનાં ઉમેદવાર કિરીટસિંહ જીતુભા રાણા જુના ભાજપાઈ છે તેઓને ટીકીટ અપાતા તેઓ જીતી ગયા હતા. જે હાલમાં ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રી છે.
'કોંગ્રેસ તારા વળતા પાણી'- 1990 પછી ક્રમશ;
1990 પછી ગુજરાતમાં કોન્ગ્રેસના વળતા પાણી એવા શરુ થયા કે તળિયું ધીમે-ધીમે દેખાવા લાગ્યું. માધવસિંહ, અમર સિંહ, ઝીણાભાઈ દરજી, અને પાછળથી ચીમનભાઈ પટેલ (જનતાદળ -ગુજરાત )નાં સમયથી જ એક બીજાને હરાવવા-હંફાવવાની રમત શરુ થઇ. આટલું ઓછું હોય તેમ શંકરસિંહ ની એન્ટ્રી 1996 -1997 માં થઇ. ભાજપમાં 'ગજ'નહિ વાગવાની ગંધ આવતા જ 'બાપુ' સક્રિય થયા. રાજપા બની,મુખ્યમંત્રી બન્યા. એ ત્રણ ચાર વર્ષમાં તો સુરેશ મહેતા, દિલીપ પરીખ, કેશુભાઈ અને બાદમાં નરેન્દ્ર મોદી રાજ્યની ધૂરા સંભાળી ચુક્યા હતા.
શા માટે રાજા રણછોડની ભૂમિ દ્વારિકા ?
વાત કોંગ્રેસની પડતી અને રાહુલના દ્વારકા આગમનની છે. ગુજરાતમાં સૌરાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારો સિવાય કોંગ્રેસનું કોઈ હાલ પુરતું પ્રભુત્વ નથી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી,કે મહાનગર પાલિકાની ચૂંટણીઓમાં ભારે રકાસ થયો છે. સુરત-રાજકોટ જેવા મહાનગરમાં મહાપાલિકામાં રીતસર 'નામું' નખાઇ ગયું. હવે બધો દારોમદાર નવા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર પર છે. દ્વારકામાં શિબિરનું મોટું કારણ, દ્વારકા ગુજરાતની આશ્થાનું કેન્દ્ર છે અને સમુદ્રી તટનાં એટલે જાફરાબાદ, અમરેલી, રાજુલા કોડીનાર,વેરાવળ,માંગરોળ,જુનાગઢ , કેશોદ જામનગર જેવા પંથકથી નજીક પણ છે એટલે ઉત્તર ગુજરાત તો ઠાકોર સંભાળી લેશે. પણ સૌરાષ્ટ્ર સરકે તો બધું સરકી જાય તેવો ઘાટ હોવાથી શિબિર દ્વારકામાં અને રાહુલ ગાંધીની ઉપસ્થિતિ કોંગ્રેસ માટે કેટલી કારગર નીવડે છે તે આવનાર સમયમાં ખબર પડશે.