છેલ્લાં કેટલાંક સમયથી અર્જુન કપૂર તથા મલાઈકા અરોરાના લગ્નને લઈ ચર્ચા ચાલતી હતી. લગ્નની ડેટ, ડેસ્ટિનેશન સહિતની માહિતી બહાર આવી હતી. પહેલાં ચર્ચા હતી કે બંને 19 એપ્રિલના રોજ લગ્ન કરશે. ત્યારબાદ એમ કહેવામાં આવ્યું કે હવે બંને જણા જૂનમાં લગ્ન કરવાના છે. લગ્નને લઈ અર્જુન કપૂરે મીડિયા ઈન્ટરવ્યૂમાં વાત કરી હતી.
અર્જુનને જ્યારે મલાઈકા તથા તેના સંબંધો અંગે સવાલ કરવામાં આવ્યો તો તેણે જવાબ આપ્યો નહોતો. જોકે, લગ્નના સવાલ પર અર્જુન કપૂરે કહ્યું હતું કે. મોટાભાગના પુરૂષો લગ્ન બાદ ટાલીયા થાય છે, લગ્ન પહેલાં નહીં. સાવ સાચી વાત કરે તો તે હાલમાં લગ્ન કરવાનો નથી. તેણે ક્યારેય કોઈ વાત છુપાવી નથી પરંતુ તેની પર્સનલ લાઈફ થોડી તો અંગત રહેવી જોઈએ. હાલમાં તેની પર્સનલ તથા પ્રોફેશનલ લાઈફમાં ઘણી જ શાંતિ છે અને તે રાત્રે આરામથી સૂઈ જાય છે.
અર્જુન કપૂરે સાવકી બહેનો જાહન્વી-ખુશી કપૂર સાથેના સંબંધો પર કહ્યું હતું કે, તે હજી તેમને ઓળખી રહ્યો છે અને તે આ વિશે વાત કરવા તૈયાર નથી. તેને લાગે છે કે જો તે આ સંબંધો પર વધુ વાત કરશે તો નજર લાગી જશે. તેઓ બહુ જ ખરાબ પરિસ્થિતિમાં એકબીજાની નિકટ આવ્યા છે. તેમનું એક વોટ્સએપ ગ્રૂપ છે અને તેનાથી તેઓ કનેકટે્ડ રહે છે. તે હજી જાહન્વી તથા ખુશીને સમજી રહ્યો છે.''
ઉલ્લેખનીય છે કે બોની કપૂરે 1983માં મોના શૌરી સાથે પ્રથમ લગ્ન કર્યાં હતાં. આ લગ્નથી બોની-મોના અર્જુન કપૂર તથા અંશુલાના પેરેન્ટ્સ બન્યા હતાં. જોકે, 1996માં બોની કપૂરે એક્ટ્રેસ શ્રીદેવી સાથે બીજીવાર લગ્ન કર્યાં હતાં. શ્રીદેવીએ જાહન્વી તથા ખુશીને જન્મ આપ્યો હતો. જોકે, અર્જુન કપૂર તથા અંશુલાએ ક્યારેય શ્રીદેવી તથા તેની બંને દીકરીઓ સાથે કોઈ વ્યવહાર રાખ્યો નહોતો. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં દુબઈમાં શ્રીદેવીનું આકસ્મિક નિધન થતાં જાહન્વી-ખુશી તથા અર્જુન-અંશુલા એકબીજાની નિકટ આવ્યા હતાં.
24મેના રોજ અર્જુન કપૂરની 'ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ' રિલીઝ થવાની છે. આ સિવાય અર્જુન કપૂર 'પાનીપત'ના શૂટિંગમાં વ્યસ્ત છે.