ફૂડ ડિલિવરી એપ પરથી ખાવાનું મંગાવી રહેલા લોકોએ હવે બને તો આવું કરવાનું બંધ કરવું જોઈએ કારણ વિશ્વ આરોગ્ય સંગઠને એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
ફૂડ ડિલિવરી એપ પરથી ખાવાનું મંગાવતા લોકો થઈ જશો સાવધાન
વિશ્વ આરોગ્ય સંગઠને કર્યો છે ચોંકાવનારો ખુલાસો
ઓનલાઈન ફૂડ મંગાવતા લોકોમાં વધી રહી છે મેદસ્વિતા
ઓનલાઈન ફૂડ ઓર્ડર કરતા લોકોએ હવે ખરેખર સાવધાન થઈ જવાની જરુર છે. ઓનલાઈન મંગાવેલું ખાવાનું ખાવાને કારણે લોકોમાં હવે ફાલતુ ચરબી વધી રહી છે અને તેઓ વધારે જાડિયા થઈ રહ્યાં હોવાનો ખુલાસો વિશ્વ આરોગ્ય સંગઠને કર્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (who) અનુસાર, યુરોપના લગભગ 60 ટકા પુખ્ત વયના લોકો અને ત્રીજા ભાગના બાળકો વધુ વજનવાળા અને મેદસ્વી છે. યુરોપથી આગળ અમેરિકા છે, જ્યાં મેદસ્વિતાએ મહામારીનું રૂપ લઈ લીધું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના રિજનલ ડિરેક્ટર (યુરોપ) ડો.હેન્સ ક્લુજ કહે છે કે મેદસ્વીપણું એક એવો રોગ છે જે કોઈ મર્યાદાને ઓળખતો નથી. યુરોપના ઘણા પ્રદેશોમાં લોકો એક યા બીજી રીતે મેદસ્વી હોય છે. તેને નિયંત્રિત કરવાનો એકમાત્ર રસ્તો એ છે કે એક મજબૂત આરોગ્ય મિકેનિઝમ વિકસાવવું.
ફૂડ ડિલીવરી એપના કારણે લોકો થઈ રહ્યાં છે જાડિયા
ડબ્લ્યુએચઓના તાજેતરના અહેવાલ મુજબ ફૂડ ડિલીવરી એપના કારણે લોકો સતત ઓબેસિટીનો શિકાર બની રહ્યા છે.યુરોપમાં કુલ મૃત્યુમાં 13% મૃત્યુ પાછળ મેદસ્વીપણું એક મુખ્ય કારણ છે. આ અહેવાલમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે યુરોપમાં કેન્સરને કારણે દર વર્ષે ઓછામાં ઓછા 2,00,000 લોકો મૃત્યુ પામે છે અને મેદસ્વીપણું એ મુખ્ય કારણ છે.
ફૂડ ડિલિવરી એપ પરથી મંગાવેલા ભોજનમાં વધારે ફેટ અને શર્કરા હોય છે
વિશ્વના તમામ વિકસિત અને વિકાસશીલ દેશો દિવસેને દિવસે ડિજિટલ બની રહ્યા છે.હવે તમામ પ્રકારની સુવિધાઓ ફોનમાં મળે છે. લોકો હવે ખાવાનું પણ ઓનલાઈન ઓર્ડર કરી રહ્યાં છે પરંતુ તેઓ જાણતા નથી કે ઓનલાઈન ઓર્ડર કરેલા ભોજનમાં વધારે પડતી ફેટ અને ઉચ્ચ શર્કરા હોય છે તે મેદસ્વિતાને જન્મ આપે છે. નિષ્ણાંતો અને ડબલ્યુએચઓએ આવા લોકોની ચેતવણી આપી છે.
મેદસ્વિતાને કારણે આટલા પ્રકારની બીમારીઓ થાય છે
શરીરમાં બિનજરુરી ચરબી જમા થઈ જવાને કારણે ઘણા રોગોને આમંત્રણ મળે છે. જેમાં 13 પ્રકારના કેન્સર, ટાઇપ-2 ડાયાબિટીસ, હૃદયની સમસ્યા અને ફેફસાના રોગનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, તે અપંગતાનું પણ એક મોટું કારણ છે.
ઘરનું ખાવું વધારે યોગ્ય
નિષ્ણાંતોએ એવું પણ કહ્યું છે કે ઓનલાઈન ખાવાનું ખાવાને બદલે ઘરેલુ ખોરાક વધારે હેલ્ધી છે. એટલે બને ત્યાં સુધી ઓનલાઈન ખાવાનું મંગાવીને ટાળવું જોઈએ.