અમદાવાદઃ 260 કરોડના કૌભાંડમાં સંડોવાયેલ ભાર્ગવી શાહના 6 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. CID ક્રાઈમે ભાર્ગવીના રિમાન્ડ મેળવવા માટે તેને કોર્ટમાં રજૂ કરી હતી. 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી. આ સાથે જ સરકારી વકીલે મજબૂત દલીલો પણ કરી હતી.
સરકારી વકીલે કોર્ટ સમક્ષ કહ્યું કે આરોપીએ હજારો લોકોના કરોડો રૂપિયા ચાંઉ કર્યા છે. ભોગ બનનારા લોકોની સંખ્યા પણ ખુબ વધુ છે. આરોપી સમગ્ર કૌભાંડમાં વિનય શાહ સાથે હતા. છેલ્લા 25 દિવસથી ફરાર હતા. જેથી તેઓ આ 25 દિવસમાં ક્યાં-ક્યાં રોકાયા અને કોને-કોને મળ્યા સમગ્ર બાબતે માહિતી મેળવવાની છે.
જેથી કરીને 14 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવે. પરંતુ કોર્ટે સમગ્ર દલીલો સાંભળ્યા બાદ 6 દિવસના જ રિમાન્ડ મંજૂર કર્યા છે. જોકે આ 6 દિવસ દરમિયાન પણ મોટા ખુલાસા સામે આવી શકે છે.