અમદાવાદની ઉદગ્મ સ્કૂલે ફરી એકવાર મનમાની શરૂ કરી દીધી છે. નિયમ વિરુદ્ધ સ્કૂલ સંચાલકોએ વિદ્યાર્થીઓને બે દિવસની રજા આપી દીધી છે. જેના કારણે સમગ્ર મામલો ગરમાયો છે.
અમદાવાદની ઉદગમ સ્કૂલની મનમાની
નિયમ વિરુદ્ધ સ્કૂલમાં આપી બે દિવસની રજા
ટ્રાન્સ્પોર્ટેશનમાં સમસ્યા સર્જાતા આપી રજા
ઉદગમ સ્કૂલે નથી લીધી રજાની મંજૂરી-DEO
કોરોના મહામારીના સમયથી ચર્ચામાં રહેનાર અમદાવાદની ઉદગમ સ્કૂલ ફરી ચર્ચામાં આવી છે. ઉદગમ સ્કૂલના સંચાલકોએ ફરી નિયમોને નેવે મૂકીને એક મનસ્વી નિર્ણય લેતા વાલીઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે. આ વિશે જાણવા મળી રહ્યું છે કે, આજે થલતેજની ઉદગમ સ્કૂલ સંચાલકોએ ધોરણ. 1 થી 5 ના વિદ્યાર્થીઓને બે દિવસની રજા આપી દીધી છે. જ્યારે ધોરણ 6 થી 11 ના વિદ્યાર્થીઓને આજે રજા અપાઈ છે. તેમજ ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે સેલ્ફ ટ્રાન્સપોર્ટેશનની મદદથી સ્કૂલે પહોંચવા આદેશ કરાયો છે. જેના કારણે સમગ્ર મામલો ગરમાયો છે
ટ્રાન્સ્પોર્ટેશનમાં સમસ્યા સર્જાતા આપી રજા
આમ ઉદગમ સ્કૂલના સંચાલકોએ નિયમ વિરુદ્ધ જઈ જાતે જ વિદ્યાર્થીઓને બે દિવસની રજા આપી દીધી છે. મહત્વનું છે કે, ઉદગમ સ્કૂલમાં ટ્રાન્સપોર્ટેશનની સમસ્યા સર્જાતા સ્કૂલે જાતે જ ઓફલાઇન વર્ગો બંધ કરી દીધા છે. ગઈકાલે (સોમવાર) ટ્રાન્સપોર્ટેશન મામલે થયેલી સમસ્યા બાદ સ્કૂલ સંચાલકોએ વિદ્યાર્થીઓને રજા આપતા વાલીઓ સ્કૂલની મનમાની સામે રોષે ભરાયા છે.
ઉદગમ સ્કૂલ દ્વારા કોઇ મંજૂરી નથી લેવાઇઃ DEO
તમને જણાવી દઈએ કે કોઈપણ સ્કૂલ જિલ્લા શિક્ષણાધિકારીની પરવાનગી વગર ચાલુ દિવસમાં બાળકો માટે રજા જાહેર ના કરી શકે, તેમ છતાં નિયમોને ઘોળીને પી જઈને ઉદગમ સ્કૂલે જાતે જ મનસ્વી નિર્ણય લઈ લીધો છે. આ ઘટના વિશે અમદાવાદ શહેર DEO એ જણાવ્યું છે કે સ્કૂલે આકસ્મિક રજા માટે પૂર્વ મંજૂરી લેવાની રહે છે, પરંતુ આવી કોઈ મંજુરી સંચાલકો દ્વારા લેવાઈ નથી.
વારંવાર ઉદગમ સ્કૂલની મનમાની સામે શિક્ષણ વિભાગ લાચાર
વારંવાર ઉદગમ સ્કૂલની મનમાની સામે શિક્ષણ વિભાગ લાચાર બની રહ્યું છે. તે સવાલ એવા ઉભા થાય છે કે ઉદગમ સ્કૂલ સામે શિક્ષણ વિભાગ લાચાર કેમ છે? કેમ કોઈ કાયદેસરની કાર્યવાહી કરતી નથી? શું શિક્ષણ વિભાગ કોઈ દબાણ હેઠળ છે? જેવા અનેક સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે.
રજૂઆત કરવા વાલીઓ પહોંચ્યા
મહત્વનું છે કે, ઉદગમ સ્કૂલના વિદ્યાર્થીઓને થયેલી સમસ્યા અંગે વાલીઓ રજૂઆત કરવા સ્કૂલે પહોંચ્યા છે. પરંતુ વાલીઓ સ્કૂલ પર પહોંચે એ પહેલાં જ દરવાજા પર બાઉન્સર ગોઠવી દેવાયા હતા. વાલીઓએ સંચાલકોને મળવા માટે રજુઆત કરી હતી. ત્યારે બાઉન્સરો દ્વારા વાલીઓને સ્કૂલમાં પ્રવેશતા અટકવાયા હતા