અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં ધોમધખતા તાપમાં પાણીની વિકટ સમસ્યા ઉભી થઇ છે. જયાં લોકો 1 કિલોમીટર પગપાળા ચાલીને મેળવે છે પાણી. અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલ નાપડા ગામ આવેલ છે. જયાં ઠાકોર સમાજ અને વણઝારા સમાજના 170 ઘરોની 1 હજાર જેટલી વસ્તી છે.
પરંતુ ઉનાળાની શરૂઆતથી આ વિસ્તારમાં પાણીના સ્તર નીચે જતાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે.મહિલાઓ બાળકો એકથી બે કિલોમીટર સુધી દૂરથી પાણી મેળવે છે. ગામમાં એક જ હેન્ડપંપ હોવાથી મહિલાઓ સવારથી પાણી માટે લાઈનમાં ઉભી રહે છે. છતાં પૂરતું પાણી મળતુ નથી.
આપને જણાવી દઇએ કે પાણીની સમસ્યા ઉનાળામાં મહિલાઓ માટે ખુબજ આકરી બની છે.ધોમધખતા તાપમાં મહિલાઓને વગર ચપ્પલે દૂર સુધી પાણી ભરવા જવું પડે છે.ત્યારે કિલોમીટર દૂર કલાકોની મથામણ બાદ મળતું એક કે બે ઘડા પાણી પરિવારને પીવડાવવું ઘર વપરાશમાં વાપરવું કે પશુધનને પીવડાવવું તે મોટો સવાલ છે.
આ અંગે મહિલાઓ સહિત સ્થાનિક લોકોએ પંચાયતમાં રજૂઆતો કરી છે.તેમ છતાં કોઈ ઉકેલ આવ્યો નથી.હાલ તો મહિલાઓ પાણીને લઇને આકરી બની છે.ત્યારે બંધ પડેલા સંપ બોર અધિકારીઓ ચાલુ કરાવે છે કે નહી તે આવનાર સમયમાં ખબર પડશે.
ઉલ્લેખનીય છે કે ઉનાળો જામી પડ્યો છે અને સરકાર સબ સલામતના દાવા કરી રહી છે ત્યારે તાજેતરમાં આવેલ એક રિપોર્ટ પ્રમાણે રાજ્યના 204 જળાશયોમાં માત્ર 27% જ પાણીનો જથ્થો વધ્યો છે ત્યારે પાણીની સમસ્યાથી પીડાતા અનેક પ્રદેશોમાં પાણી મળી રહે તે માટે સ્થાનિક તંત્ર અને રાજ્યની સરકાર કોઇ જાગૃત પગલા લે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.